Monday, July 29, 2013

સમિતિ : કાળા કાગડાંઓને દૂધે ધોઈને આબરૂ પાછી અપાવવાનું તરકટ !

ઈન્ડિયન પ્રોસ્ટિટ્યુટ લીગ ઉપ્સ.... ઈન્ડિયન પ્રિમિયર લીગને ઈન્ડિયન પ્રોસ્ટિટ્યુટ લીગ કહેવામાં પ્રામાણિકતાથી પેટિયું રળીને ધંધો કરતી બિચારી પ્રોસ્ટિટ્યુટ્સની પવિત્રતા જોખમાવાનો ભય છે. આઈપીએલનાં કામચલાઉ હાંસિયામાં ધકેલાયેલા પ્રમુખ શ્રીનિવાસન અને રાજસ્થાન રોયલ્સના સહમાલિકને બદલે શિલ્પા શેટ્ટીના પતિ તરીકે વધારે ઓળખાતાં રાજ કુન્દ્રાને હાઈકોર્ટના બે ભૂતપૂર્વ જજોએ ક્લિન ચીટ આપીને ગુમાવેલી આબરૂ અને ઑક્યુપેશન પાછા મેળવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે. બક્ષીસાહેબે લખ્યું છે કે " હિન્દુસ્તાનનાં નગરોમાં ક્રિકેટ એ મધ્યવર્ગી મધ્યબુદ્ધિ અને નિમ્નવર્ગી નિમ્નબુદ્ધિ વયસ્કો અને સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ફેલ થતાં બચ્ચાંઓ જેટલો આઈ-ક્યુ ધરાવનારા મર્દો માટે નશો છે." આવા મંદબુદ્ધિ ચાહકોની બહુમતી હશે ત્યાં સુધી કૌભાંડોની હારમાળાં સર્જાય તો પણ ક્રિકેટની રમતનો વાળ વાંકો થવાના કોઈ આસાર દેખાતા નથી.





જો કે, કેટલાંક પ્રશ્નો ઊભા થયા વિના રહેતા નથી. સૌપ્રથમ તો એ કે ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે હંમેશા કોઈને કોઈ કૉર્ટના નિવૃત્ત થયેલાં (વાંચો: નવરાં, નકામા, અને વસૂકી ગયેલાં) જજ જ કેમ દરેક સમિતિની અધ્યક્ષતા કરતાં હોય છે? ભૂતપૂર્વ જજની આવી દરેક સમિતિ ક્યારેક કોઈ અભૂતપૂર્વ ફેંસલો કેમ સુણાવતી નથી? કલંકિત માણસોને ક્લિન ચીટ આપીને દૂધે ધોયાં સિવાય આવી સમિતિનું બીજું કોઈ કામ જ નથી? આઠ-નવ વર્ષ પહેલાં કોઈક મેગેઝિન (કદાચ, અભિયાન)નાં છેલ્લાં પાને સમિતિ વિશે ફ્રેડ એલનનું એક ચોટદાર ક્વોટ વાંચ્યું હતું, એ યાદ આવે છે : "સમિતિ એટલે એવા માણસોનું ટોળું કે જે પોતે કશું કરી શકતું નથી અને પછી ભેગા મળીને નક્કી કરે છે કે કશું જ થઈ શકે એમ નથી!" A committee is a group of people who individually can do nothing, but who, as a group, can meet and decide that nothing can be done.


જેમ સ્વિઝ બેન્કમાં જમા કરાવેલા કાણા નાણાં દેશના કાનૂનનાં કહેવાતાં લાંબા હાથની પકડથી દૂર છટકીને સલામત બની જાય છે એ જ રીતે નવરાં, નકામા, અને વસૂકી ગયેલાં જજોની બનેલી સમિતિનો તપાસ અહેવાલ પ્રગટ થતાંની સાથે જ કાળાં કાગડાંઓ દૂધે ધોવાઈને પોતાની ગુમાવેલી આબરૂ પાછી મેળવે છે. બે-ચાર રીંગણાં લેવાની જાત પાસે મંજૂરી માંગીને દસ-બાર રીંગણાં તોડી લેતાં દલા તરવાડીની માફક સમિતિ જાતે જ પોતાને પૂછતી હશે કે "નિર્દોષ જાહેર કરું આરોપી બે-ચાર?"..... જેનો જવાબ એવો મળતો હશે કે "કરો ને તમતમારે નિર્દોષ જાહેર આરોપી દસ-બાર!". દલા તરવાડીની માફક દલ્લો લૂંટનારા લોકોથી આપણો દેશ ખદબદી રહ્યો છે એટલે કાયદાના સકંજામાંથી છૂટ્યા પછી અંતરાત્માનાં અવાજને સિફતપૂર્વક દબાવી દેવામાં આવા લોકો કાબેલ હોવા જોઈએ.


છેલ્લે, અનુક્રમે બેફામ અને એમનાં શિષ્ય દિનેશ ડોંગરે 'નાદાન'નાં એક-એક શેર ટાંકીને વિરમું છું:


રહે અણદીઠ એનો ન્યાય તો શંકા નહીં કરજો,
કે સૌ છાના ગુનાહોની સજા એવી જ છાની છે.

*                         *                      *                           *

ફરિયાદ, સાબિતી કે ગમે તે દલીલ હો,
આરોપ સાચો હોય તો ક્યાં કૈં બચાવ છે?

No comments:

Post a Comment