Saturday, July 6, 2013

સ્વ. મનોજ ખંડેરિયાની ક્ષમા સાથે એક કૃતિની પેરડી

કોઈ નવું સર્જન કરવાને બદલે ક્યારેક અગાઉ સર્જાઈ ચૂકી હોય એવી કૃતિની પથારી ફેરવવી પ્રમાણમાં વધારે સરળ જણાતી કવાયત છે. જૂના ફિલ્મી ગીતોની નવી નવી રિમિક્સ આવ્યા કરે એમ પેરડી એટલે જૂની સાહિત્યકૃતિની કરેલી રિમિક્સ. જો કે આવું કરતી વખતે મારા દિલમાં કોઈ મલિન ઈરાદો ન હોવાને કારણે ગંભીર સજાપાત્ર ગુનો કર્યાના અપરાધભાવથી અંતરાત્મા ડંખતો નથી. તેમ છતાં, નાનો તો નાનો એવો ગુનો કર્યાની અવેરનેસ મનમાં રાખીને સ્વ. મનોજ ખંડેરિયાની માફી સાથે તેમની એક રચનાની પેરડી રજૂ કરું છું:

મૂળ કૃતિ આ પ્રમાણે છે:

પૂછ એને કે જે શતાયુ છે, 
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે. 
શ્રી સવા બારણે લખ્યા કર તું, 
શબ્દથી બીજું શું સવાયું છે. 
આંખમાં કીકી જેમ સાચવ તું, 
આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે. 
આપણો દેશ છે દશાનનનો, 
આપણો માંહ્યલો જટાયુ છે. 
તારે કાજે ગઝલ મનોરંજન, 
ને મારે માટે તો પ્રાણવાયુ છે.


મેં લખેલી પેરડી આ પ્રમાણે છે:


પૂછ એને જેણે શોધ્યો હાસ્યનો વાયુ છે 
એથી કેટલું ક્યારે ક્યાં કોનાથી હસાયું છે

બ્લૅક બૉર્ડ પર સમીકરણો લખ્યા કર તું
વિજ્ઞાન ખાલી ફોકટ સૂત્રોમાં ફસાયું છે?

અધૂરી માહિતીને જ્યાં જ્ઞાન માની લીધું
જ્ઞાન ત્યાં ત્યાં હંમેશાં થોડું થોડું ઘસાયું છે

નેતા ઓકી શકે ઝેર જે ક્ષમતાથી સતત
સાપથી કોઈ માણસને એવું ડસાયું છે?

ગડદાપાટુંના મારમાં આવે ક્યારેક રુઝ,
ખમે માર મોંઘવારીનો, ડીલ એવું કસાયું છે?


જતાં જતાં:

પેરડી લખીને અટકી ન જતાં, એથી પણ આગળ વધીને પેરડી વિશે એક મૌલિક હાઈકુ રજૂ કરીને વિરમું છું. (હાઈકુ કાઈકુ એવું ન પૂછતાં!) :
લખી પેરડી 
વાંચી આંખો ન હસી
બલકે રડી

No comments:

Post a Comment