Tuesday, August 27, 2013

મિડ-ડે મીલ અને ફૂડ સૅફ્ટી બિલ : આડઅસર ખોરાકની અને બિલની ચર્ચાની !

દોઢેક મહિના પહેલાં જુલાઈ 2013માં બિહારની એક શાળામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભોજન આરોગનારા શાળાનાં 23 બાળકોના મોતની કરૂણાંતિકા યાદ હશે. આજે લોકસભામાં ખાદ્ય સુરક્ષા બિલ એટલે કે ફૂડ સેફ્ટી બિલ પસાર થવા દરમિયાન 6 કલાકની ટ્રિપલ મૅરેથોન ચર્ચા (એક મૅરેથોન રેસમાં આશરે બે કલાક લાગે) દરમિયાન કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની તબિયત નાદુરસ્ત થઈ ગઈ અને એમને ઍઈમ્સ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં.

કોઈકને મધ્યાહન ભોજનની તો કોઈકને ભોજન વિશેની ચર્ચાની આડઅસર!

પહેલી ઘટનામાં ભોજનમાં જંતુનાશકો હોવાને કારણે થયેલાં ફૂડ પૉઈઝનિંગને લીધે બાળકો મૃત્યુ પામ્યા. બીજામાં ફૂડ સૅફ્ટી બિલની ચર્ચાની કદાચ આડઅસર થઈ હશે એટલે સોનિયાજીને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં. મિડ-ડે મીલ હોય કે ફૂડ સૅફ્ટી બિલ હોય, સાલું આજકાલ ખાવા-પીવાની બાબતમાં કોઈ સલામતી રહી નથી. જ્યોતિષની કૉલમમાં "પડવા-વાગવાથી સાચવવું"ને બદલે "ખાવા-પીવાથી સાચવવું" એવું વાંચવા મળે તો નવાઈ નહીં.

ફૂડ સૅફ્ટી બિલ આમ તો ગરીબો માટે રાહત દરે અનાજ પૂરું પાડવાનું સુનિશ્ચિત કરવા માટેનું બિલ છે, પરંતુ ચાર નહીં ચારસો હાથોથી માલ-મલીદો ખાવામાં ચકચૂર યુપીએ સરકાર માટે આ બિલ "ખાવાનું" સેફ બનાવતી વધુ એક યોજના બનીને રહી જાય તો નવાઈ નહીં !

સોનિયા ગાંધી અસ્વસ્થ થયા અને એમને સ્વસ્થ કરવાના "એઈમ"થી એઈમ્સ હૉસ્પિટલમાં લઈ જવાયા કે તરત જ બધું ફોકસ ફૂડ સૅફ્ટી બિલ પરથી હટીને સોનિયા મૅડમ પર આવી ગયું. છેલ્લાં સમાચાર પ્રમાણે સોનિયાની હાલત સ્થિર છે, દરમિયાન દેશની હાલત, ઍઝ યૂઝુઅલ, અસ્થિર છે!

No comments:

Post a Comment