Thursday, October 16, 2014

"હું, ચંદ્રકાંત બક્ષી" રિટર્ન્સ !

12 ઑક્ટોબર 2014નાં રોજ માદરવતન આણંદમાં ધીરજલાલ શાહ ટાઉનહૉલ ખાતે "હું, ચંદ્રકાંત બક્ષી" નાટકનું મંચન થઈ ગયું. 'બે યાર' ફિલ્મને કારણે પ્રતીક ગાંધીની ખ્યાતિ સર્વત્ર પ્રસરી છે અને હાલમાં આ ફિલ્મ હજી આણંદ આઈનોક્સમાં ચાલી રહી છે એના એક એડવાન્ટેજના કારણે આણંદ જેવા પ્રમાણમાં બિનસાહિત્યિક અને બિનકલાત્મક સ્થળે 270 લોકો નાટક જોવા આવ્યા એ સંપૂર્ણ નહીં તોયે સારી એવી સફળતા ગણી શકાય. એકાદ મહિના અગાઉ જાહેરાત થઈ કે તરત પહેલવહેલું બૂકિંગ મારા તરફથી જ આવ્યું.

ટાઉનહૉલમાં ઠીકઠીક કહી શકાય એટલાં કાર્યક્રમો જોયા છે. અહીં કે.લાલનો સુપર હાઉસફુલ શો જોયો હતો જેમાં ટિકિટ ન મળતાં એક મિત્રને વીલે મોઢે પાછું જવું પડ્યું હતું. અહીં મંગલ જાદુગરનો શો પણ જોયો હતો. મંગલનું પ્રભાવશાળી પરફોર્મન્સ અને ઈમેજ હજી નજર સામે તરવરે છે. અહીં યુથ ફેસ્ટિવલની નાચ-ગાનની ઍક્ટ જોઈ હતી, અહીં 2001ના ભૂકંપ બાદ યોજાયેલ પુરુષોત્તમ ઉપાધ્યાયનો કાર્યક્રમ માણ્યો હતો અને અહીં દામોદાર રામદાસી અભિનિત 'યોદ્ધા સંન્યાસી વિવેકાનંદ' એકાંકી નાટક જોયું હતું.

'વાણિયા પ્રભુના ભાણિયા' જેવા નપાણિયા નાટકો પણ ટાઉનહૉલમાં ભજવાઈ ચૂક્યા છે. અમારા આણંદ-વિદ્યાનગરમાં શાસ્ત્રીય સંગીત સહિતના કોઈપણ ભારેખમ ઊંચા ટેસ્ટવાળા કાર્યક્રમનું આયોજન કરવું એ છીછરા પાણીમાં હોવરક્રાફ્ટ હંકારવા જેવો ઉદ્યમ છે. એ સંજોગોમાં, 'હું, ચંદ્રકાંત બક્ષી' નાટકને મળેલો સારો પ્રતિસાદ આશ્ચર્ય આપી ગયો. કલાકાર પ્રતીક ગાંધીએ બહુ સ્માર્ટ ટિપ્પણી કરી કે 'હું, ચંદ્રકાંત બક્ષી' નાટકને કારણે મને 'બે યાર'માં ભૂમિકા મળી અને હવે 'બે યાર'ને લીધે લોકો મને 'હું, ચંદ્રકાંત બક્ષી'માં જોવા આવે છે. નાટક પૂરું થયા બાદ હું મારી અર્ધાંગિની વિધિ સાથે પ્રતીક ગાંધીને મળવા ગયો ત્યારે એમને મળવા આવેલી કેટલીક કૉલેજીયન છોકરીઓને પ્રતીકભાઈએ પૂછ્યું કે, "તમે લોકોએ બક્ષીબાબુનું કશું વાંચ્યું છે?" ત્યારે છોકરીઓએ હાસ્ય વેરતાં નકારમાં જવાબ આપ્યો એ બતાવે છે કે ખાસ પ્રતીક ગાંધીને જોવાની જિજ્ઞાસા સાથે આવનારો એક વર્ગ હતો.

જુલાઈ 2013માં અમદાવાદના પ્રીતમનગર અખાડામાં રંગમંડલ દ્વારા આ નાટકનું મંચન જોઈ ચૂક્યો છું એટલે મારા માટે ખાસ કંઈ નવું ન હતું, પરંતુ એ વખતે પત્નીની પ્રસૂતિને બે દિવસ જ થયા હોવાથી એ આ નાટક જોવાનું ચૂકી ગઈ હતી. મારા બક્ષીપ્રેમથી કુતૂહલ અનુભવતી પત્નીને નાટક ન જોઈ શક્યાનો વસવસો રહી ગયો હતો અને છેવટે એકાદ વર્ષ બાદ એની ઇચ્છા પૂરી થઈ. અમદાવાદમાં જોયેલા શો વિશે એક બ્લૉગ પોસ્ટ પણ લખી હતી જેની લિંક આ રહી: http://mehtanehal.blogspot.in/2013/07/blog-post_23.html

હમશહર મિત્ર અને આણંદના સરદાર ગુર્જરી અખબારમાં 'મનોગ્રામ' કૉલમ લખતાં મેઘા જોશી, ચિત્રકાર કનુભાઈ પટેલ, કવિ જયેન્દ્ર શેખડીવાળા વગેરે હાજર રહ્યા હતાં. લેખક-દિગ્દર્શક શિશિર રામાવત અને મનોજ જોશી દેખાયા નહીં. નાટક દરમિયાન ક્યાંક ક્યાંક ખોટી જગ્યાએ હસતાં અને તાળીઓ પાડતાં પ્રેક્ષકો બક્ષીબાબુ જેવી વિરાટ પ્રતિભા અંગે અજ્ઞાન અને અણસમજ પ્રગટ કરતાં હોય એવું લાગ્યું. નેવરધલેસ, સમગ્રતયા જહેમતપૂર્વકનાં સુંદર આયોજન બદલ મિત્ર ભગીરથ જોગિયા અને દેવ કરંગિયાને અભિનંદન !

No comments:

Post a Comment