Tuesday, July 2, 2013

ઊંઘ ન આવે તો એ કરે પણ શું?

तारों का गो शुमार में आना मुहाल है 
लेकिन किसी को नीन्द न आये तो क्या करे?

(આકાશનાં તારા ગણવા મુશ્કેલ છે, પણ કોઈને ઊંઘ ન આવે તો એ કરે શું?)


ચિત્રલેખાની ઝલક કૉલમમાં વર્ષો પહેલાં સુરેશ દલાલના એક લેખમાં કોઈ અજ્ઞાત શાયરનો આ શેર વાંચ્યો હતો. (લેખનું જે શીર્ષક  હતું એ જ આ બ્લૉગ પોસ્ટનું શીર્ષક રાખ્યું છે.) ઊંઘ જેવી સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી બાબત ક્યારેક કામચલાઉ રીતે છીનવાઈ જાય ત્યારે ઊંઘ ઊડી જવી સ્વાભાવિક છે. હમણાં અમુક રાતો ઊંઘ ન આવવાને કારણે પડખાં ફેરવવાના હવાતિયા મારવામાં વીતી ત્યારે ઊંઘ વિશે અછાંદસ કવિતા સૂઝી. (આને કહેવાય આપત્તિને અવસરમાં પલટવી !).. પ્રસ્તુત છે એક અછાંદસ કવિતા :

સાલી આ ઊંઘ... 
આ ઊંઘ આટલો બધો ભાવ કેમ ખાય છે?
ને પછી અનિદ્રા માટે અભાવ કેમ થાય છે?

પડખાં ઘસી ઘસીને પણ જ્યારે ઊંઘ ન આવે ત્યારે
ખૂબીથી બિછાવેલું બિસ્તર 
મારા ઊંઘવાનાં ઉધામા સામે 
ઉપહાસ કરતું હોય એવું લાગે

ફૂટપાથ પર ગાઢ નિદ્રામાં સૂતેલા ગરીબને જોઈ
સડક થઈ જવાય કે મારી મખમલી પથારી 
ફૂટપાથ કરતાં પણ વધારે કાંટાળી?

આવનારા મૃત્યુનું રિહર્સલ મનાતી ઊંઘ
ન આવવાના બહાના કરે ત્યારે 
મૃત્યુની રાહ જોતાં મરણાસન્ન દર્દીની જેમ 
હું વિસ્ફારિત નયને રાહ જોયા કરું કે
આખર ક્યારે આવશે 
આ ઊંઘ?

No comments:

Post a Comment