Friday, February 28, 2014

સાંભળવામાં એકસરખા લાગતાં કેટલાંક "જુડવા" ગીતો

એકસરસો કેન્દ્રધ્વનિ કે ટોન જેમાં સંભળાતો હોય એવી એક ડાળના પંખી જેવી ઘણી કાવ્યપંક્તિઓનો આ બ્લૉગ પર અગાઉ રસાસ્વાદ કરાવવામાં આવી ચૂક્યો છે. હવે એક ડગલું આગળ વધીને સાહિત્યથી સંગીત તરફ જઈએ. સારા સુનકાર (સુનકાર એટલે સન્નાટો નહીં પણ સારા સતર્ક શ્રોતા એટલે કે કાનસેન) હો તો કોઈ ગીત સાંભળીને ઘણી વખત ટ્યુબલાઈટ થતી હોય છે કે આ જ મતલબનું બીજું કોઈ ગીત અગાઉ સાંભળી ચૂક્યા છીએ. કોઈ પ્રસંગ અગાઉ અનુભવવામાં આવી ગયેલો છે એવી લાગણી કે આભાસ થવો એના માટે ફ્રેન્ચ ભાષામાંથી અંગ્રેજીએ અપનાવેલો શબ્દ Deja Vu (ડેઝા વ્યૂ) પ્રચલિત છે. ડેઝા વ્યૂ શબ્દ જાણે આપણને કહેતો હોય કે "દઈ જા વ્યૂ" ! :) તો આજે કમ્પોઝિશનમાં એક યા બીજી રીતે સમાનતા લાગી હોય એવા કેટલાંક જોડિયા ગીતોના ઉદાહરણો પ્રસ્તુત છે : (જોડિયા ગીતો પૂરેપૂરા સરખાં હોવા જરૂરી નથી. ઘણાં ગીતોનો ઉપાડ થતો હોય ત્યારે સમાનતા લાગે અને પછી આગળ જતાં રાગ અલગ પડી જાય એ બનવાજોગ છે.) 

 (1) મૌલા મેરે લે લે મેરી જાન... (ચક દે ઈન્ડિયા)


જમાને કે દેખે હૈ રંગ હઝાર નહિં કુછ સિવા પ્યાર કે (સડક)


(2) રંગ ઔર નૂર કી બારાત કિસે પેશ કરું (ગઝલ)          


મેરી કિસ્મત મેં તૂ નહીં શાયદ (પ્રેમ રોગ)


(3) સોલહ બરસ કી બાલી ઉમર કો સલામ (એક દૂજે કે લિએ)




દિલ લેને કી ઋત આઈ દિલ દેને કી ઋત આઈ (પ્રેમગ્રંથ)


(4) વાદા કરલે સાજના મેરે બિના તુ ન રહે (હાથ કી સફાઈ)         


તુમ યાદ ન આયા કરો (જીને નહીં દૂંગા)


(5) દિલ લગા લિયા મૈંને તુમસે પ્યાર કરકે (દિલ હૈ તુમ્હારા)


હમ તુમ્હારે હૈ તુમ્હારે સનમ (હમ તુમ્હારે હૈ સનમ)



(6) દિલ કિસી પર ફિદા હૈ તો ક્યા કિજીયે...(નૉન-ફિલ્મી ગઝલ)


યા તો મિટ જાઈએ યા મિટા દીજીએ...(નૉન-ફિલ્મી ગઝલ)



યા તો મિટ જાઈએ યા મિટા દીજીએનો ઢાળ પકડીને આગળ ગુજરાતી ગીત "પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા ગાવું હોય તો ગાઈ શકાય !

(7) મેઈડ ઈન ઈન્ડિયા (નૉન-ફિલ્મી ગીત)


મેરે દિલ કે કરીબ થા વો (નૉન-ફિલ્મી ગીત)


સૂરોત્તમ પુરુષોત્તમ - સુગમ સંગીતના સંગીન ચાહકો માટે સર્વોત્તમ પુસ્તક !

શાસ્ત્રીય સંગીત અને ગઝલ ગાયકીના દિગ્ગજ નામોના સંગે રહીને ગુજરાતી ગઝલગાનને ગરિમા બક્ષનારા પુરુષોત્તમ ઉપાધ્યાયે ગુજરાતના કળા ક્ષેત્રમાં એક આંબી ન શકાય એવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. કાંચનજંઘા, K2, અન્નપૂર્ણા જેવા શિખરો વિશે આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ દરેક આરોહકનું અલ્ટીમેટ લક્ષ્ય તો એવરેસ્ટને જ આંબવાનું હોય છે એ જ રીતે સુગમ સંગીતના ગાયક બેન્ચમાર્ક તરીકે પુરુષોત્તમભાઈને સામે રાખીને પોતે ક્યાં છે અને ક્યાં સુધી જઈ શકે એનો આછોપાતળો ક્યાસ મેળવી શકે. કવિ તુષાર શુક્લે કહ્યું છે કે સુગમ સંગીતના ગાયકે PUC સર્ટિફિકેટ લેવું રહ્યું. પુરુષોત્તમ ઉપાધ્યાય સર્ટિફિકેટ! 15 ઑગસ્ટ 1934નાં દિવસે જન્મેલાં આ કલાકારે 2009માં 75 વર્ષ પૂરાં કર્યા ત્યારે આ અમૃત મહોત્સવ ઉજવવા માટે ઈમેજ પ્રકાશને ફેબ્રુઆરી 2010માં સુરેશ દલાલ, અંકિત ત્રિવેદી અને હિતેન આનંદપરાના સંપાદનનાં ત્રિવેણી સંગમ સાથે પુરુષોત્તમભાઈના સંગીતમય જીવનની સચિત્ર ઝલક આપતું પુસ્તક "સૂરોત્તમ પુરુષોત્તમ" પ્રકાશિત કર્યું હતું.  



સ્વ.સુરેશ દલાલે ચિત્રલેખાની ઝલક કટારમાં પુરુષોત્તમભાઈ વિશે લખેલા લેખથી શરૂ થતું પુસ્તક અંતમાં પુરુષોત્તમભાઈએ અનિલ ચાવડાથી હેમેન શાહ સુધીના કવિઓના સ્વરાંકન કરેલાં 650થી વધુ ગીતોની સૂચિ (કવિના નામ સાથે) સુધીના કુલ 200 પાનામાં સંગીત યાત્રાની એક અવિસ્મરણીય સફર પર લઈ જાય છે. 75મા જન્મદિનને પ્રતીકાત્મક સ્વરૂપ આપવા માટે આ 650થી વધુ ગીતોમાંથી 75 ગીતો ચૂંટીને તૈયાર કરવામાં આવેલી mp3 ડિસ્ક પણ પુસ્તકની સાથે ભેટ આપવામાં આવે છે. હંમેશા A1 ક્વૉલિટીનું સંગીત પીરસનારા પુરુષોત્તમભાઈનું આ પુસ્તક લંબાઈમાં A4 સાઈઝને પણ અતિક્રમી જાય છે. પુસ્તકમાં સંગીતથી ઉત્તરોઉત્તર સમૃદ્ધ બનતી જતી જીવનયાત્રાની ઝરમર આપતાં ચિત્રો છે, જેમની સાથે સંસ્મરણો વાગોળ્યાં હોય એવા મિત્રો પણ છે, સુવેનિયર તરીકે સાચવી રાખવા ગમે એવા એમને લખાયેલાં પત્રો પણ છે, અને અફકોર્સ વાજિંત્રો પણ છે ! પરિણામે આ પુસ્તક સચિત્ર જ નહીં, સમિત્ર અને સપત્ર પણ બન્યું છે. 



નાનપણમાં રંગભૂમિથી શરૂ થયેલી કળાની સફર છેવટે સુગમ સંગીતની 'રાગભૂમિ' પર આવીને સ્થાયી થાય છે. આ સફરમાં શ્રી દિલીપભાઈ ધોળકિયા, શ્રી અવિનાશ વ્યાસ સાથેના પરિચયને એમની આજની યશસ્વી કારકીર્દિનું આરંભબિંદુ કહી શકાય. કુટુંબીજનો, સાથી કલાકારો, સંગીત સહિતના અને સિવાયના ક્ષેત્રોની હસ્તીઓ સાથેના સંભારણાં, તસ્વીરો, પત્રો, દેશ-વિદેશમાં એમણે કરેલાં કાર્યક્રમોની આમંત્રણ પત્રિકાઓ... પુસ્તક પ્રકાશન માટે એમણે પ્રકાશકને આપેલી બધી જ વસ્તુઓને એવી સુઘડ અને સુરેખ રીતે ક્રમબદ્ધ કરવામાં આવી છે કે આ સચિત્ર પુસ્તક બનાવવા માટે પ્રકાશકે કરેલ નિષ્ઠાપૂર્વકનો શ્રમ સાર્થક થયો છે. આપણાં લગ્ન થયા પછી આપણાં માતા-પિતા દ્વારા સગા-વ્હાલાંઓને પરાણે આલ્બમ પકડાવીને ફોટાં જોવા માટે જે ત્રાસ ગુજારવામાં આવે છે એવા કોઈ ત્રાસનો અનુભવ આ પુસ્તકમાંથી પસાર થતી વખતે લેશમાત્ર થતો નથી.

ગુજરાતીમાં કદાચ આ પહેલું એવું પુસ્તક હશે જેની કિંમત કુલ પાનાની સંખ્યા કરતાં પોણાચાર ગણી (રૂ. 750) હોય. મોંઘું છે એટલે સંભવિતપણે ઓછું વેચાણ થતું હોઈ શકે જેના પરિણામે પુરુષોત્તમભાઈના કાર્યક્રમો થતાં હોય ત્યાં બધે જ પ્રમોટ કરવામાં આવે છે અને કરવું જોઈએ. (અરવિંદ વેગડાના રૉક ડાયરામાં કે ઓસમાણ મીરના રૉકિંગ ડાયરામાં થોડું પ્રમોટ કરાય?) કેસર-ચંદન-કસ્તૂરી અને એના કદરદાનોનો વ્યાપ આમ પણ મર્યાદિત જ હોય. સુગમ સંગીતના સંગીન ચાહકો માટે એક સંભારણાં જેવું સર્વોત્તમ પુસ્તક !

(નોંધ: સ્વ. સુરેશ દલાલે લખેલો પુરુષોત્તમભાઈ વિશેનો લેખ ફેસબુક પર મિત્ર +Rajni Agravatએ બનાવેલાં ગ્રુપ magic-of-music-સૂર-સંગતની લેખના અંતે આપેલી લિંક પર ક્લિક કરવાથી વાંચી શકાશે: (એ માટે ફેસબુકમાં પ્રથમ લૉગ ઈન થઈને https://www.facebook.com/groups/music.megic/ લિંક પર ગ્રુપના મેમ્બર બનવું આવશ્યક છે)

લેખની લિંક: http://tinyurl.com/ps3oqhh )

Tuesday, February 25, 2014

दलदल में दलबदल, राहुल का जवाब, प्रियंका की मुक्केबाज़ी और नरगिस की बेनूरी !

चुनाव जैसे जैसे नज़दीक आ रहे है, हमारे देश की राजनीति में गहमागहमी में भी बढौतरी हो रही है। इन दिनों इतनी गडबडी और हडबडी का माहौल है कि व्यंग और हास्य का ज्यादातर मसाला राजनीति की ख़बरो पर नज़र घुमाते हीं अनायास मिल जाता है । आज के अख़बार की झलक पाने पर कुछ ऎसी ख़बरें सामने आई जिसका ब्यौरा अपने ढंग से पेश कर रहा हूँ:

  • पिछले कुछ दिनों में सुर्खियोँ में लगातार छाये रहें दिल्ही के पूर्व मुख़्यमंत्री अरविंद केजरीवाल ने आम चुनाव से पहले ही गैस के दाम में बढौतरी को लेकर राहुल गांधी को पत्र लिख कर प्राकृतिक गैस के दाम के बारे में कुछ प्रश्न पूछे है । अब राहुल गांधी का जवाब जब आयेगा तब देखा जायेगा, लेकिन मुझे मालूम है कि राहुलजी का जवाब यही होगा : "नमस्कार ! आम आदमी देश की राजनीति में बिना किसी रुकावट के आसानी से प्रवेश कर पाएं और महिलाओं का सशक्तिकरण भी हो इस दिशा में काम करने के लिए काँग्रेस पार्टी प्रतिबद्ध है !


  • जब गहरी नींद आ रही हो तब कोई बिस्तर की क्वालिटी नहीं देखता और जब कडी भूख लगी हो तो तब मेन्यू की सूची मायने नहीं रखती । बिलकुल इसी तरह जब आम चुनाव नजदीक हो तब गठबंधन करते वक़्त राजनैतिक दल की मैली छवि गौण हो जाती है । कहीं पे पढा था कि हमारे पासे गणतंत्र नहीं है लेकिन वोटो और नोटों की गिनती करने का गणनतंत्र है । अब भारतीय जनता पार्टी को ही ले लिजीए । बिहार में नीतिश से राजनैतिक तलाक होने के बाद उन्हे लोकजनशक्ति पार्टी के नेता रामविलास पासवान में अपना चुनावी पार्टनर नज़र आने लगा है । वैसे एक कार्टून पात्र पिनोकियो जैसी लम्बी ट्रेडमार्क नाक वालें टीआरएस के प्रमुख चंद्रशेखर राव भी जहाँ अपना स्वार्थ पूरा होता दिखाई दे वहाँ नाक रगडने से परहेज़ नहीं रखते । गुजरात बीजेपी के बागी विधायक गोरधन झडफिया ने भी अब प्रधानमंत्री पद को लेकर नरेन्द्र मोदी की दावेदारी ताजपोशी में तबदील होने की प्रबल संभावनाओ को भाँप कर अपनी तुच्छ राजनीतिक हस्ती को शेष होने से बचाने के लिए मोदीजी के समर्थन में खुलकर सामने आना मुनासिब समझा है । एसा प्रतीत हो रहा है की राजनीति के दलदल में दलबदल का मौसम आया हो ।   

अब राजनीति की बोझिल और पल पल रंग बदलनें वाली दुनिया से बाहर आ कर सिनेमा की रंगीन दुनिया की ओर रुख करतें है । सुना है कि पूर्व मिस वर्ल्ड और अभिनेत्री प्रियंका चोपरा सिल्वर स्क्रीन पर भारतीय महिला बॉक्सर मैरी कॉम के किरदार को न्याय देने के लिए प्रतिबद्ध है । हमारे देश के नेता "मेरी कोम, मेरी कोम" का सूत्र रटकर कोमवाद की राजनीति से बाज़ नहीं आ रहै है ऎसे में महिला मुक्केबाज़ मैरी कॉम के जीवन पर आधारित यह फ़िल्म के लिए प्रियंका की कडी मेहनत क्या रंग लाती है यह देखना दिलचश्प रहेगा । हमें उम्मीद है की प्रियंका के अभिनय से दर्शको के माथें पर मुक्कों की बरसात नहीं होगी ! 



धूम श्रेणी की फ़िल्मों में एक मज़ाक बनकर रह जाने वालें उदय चोपरा की वज़ह से उनकी गर्लफ्रैन्ड नरगिस फखरी को हालीवुड की एक फ़िल्म नसीब हुई है ऎसी चौंकानेवाली ख़बर सामने आई है । इन दोनो के इश्क की ख़बरें पहली बार सुनी थी तब यकीन नहीं हुआ था कि ऎसा भी होता है ! एक ओर हमारी मनचली कैटरिना कैफ है जो बेझिझक रणबीर कपूर जैसे प्रतिभाशाली हैन्सम अभिनेता को रिजेक्ट करती है और दूसरी ओर उदय चोपरा है जो नरगिस फखरी को बिन्दास घूमा रहे है । लगता है इस अज़ीबोगरीब कायनात में योग्यता की परिभाषा में आमूल परिवर्तन करने का यह सही वक्त है । इन दोनो की अविश्वसनीय प्रेम कहानी पर एक पुराना शेर कुछ बदलाव के साथ पेश है :

जब उदय चोपरा जैसा प्रेमी नसीब होता है तो 
हज़ारो साल रोती है नरगिस अपनी बेनूरी पर !

Sunday, February 23, 2014

"જીન"ની માફક પત્નીની બધી ખ્વાહિશો પૂરી કરતાં "વર"ને વર્જિન કહેવાય !

કોઈની જિંદગી સાથે રમત કરવા કરતાં શબ્દો સાથે રમત કરવી હંમેશા ગમે છે. આજે શબ્દકોશની સરહદની બહારના થોડાં વધુ ખેપાની શબ્દોની નવી વ્યાખ્યાઓ સાથે હાજર છું: 

અર્થઘુટન: આપણે જે બોલીએ એનું સામેની વ્યક્તિ એવું અર્થઘટન કરે જેનો અર્થ આપણને બિલકુલ અભિપ્રેત ન હોય ત્યારે જે ઘુટન કે ગૂંગળામણ થાય છે તેને અર્થઘુટન કહે છે.

એવરેજ: જિંદગી જીવવા માટે જેમને ખાસ "લીવરેજ" (લાભ, એડવાન્ટેજ) મળ્યું ન હોય તેવા સામાન્ય લોકો.

ગંધારાધોરણ: ધારાધોરણોમાં જ્યારે ગંદકી પ્રવેશે ત્યારે એ ગંધારાધોરણ બની જાય છે.


ચીમકી: ચમકી જવાય એવી ધમકી.

ચોપડિયો ચાંચડ: અંગ્રેજીમાં પુસ્તકિયા કીડાં માટે બુકવર્મ નામનો શબ્દ છે. ગુજરાતીમાં ચોપડિયો ચાંચડ એનો સૌથી યોગ્ય પર્યાય લાગે છે.

ડાયરો: ડાયરીનું પુંલ્લિંગ સ્વરૂપ.

દામ્પત્ય: આમ તો લગ્નજીવન સાથે સંબંધિત સમાનાર્થી શબ્દ છે, પરંતુ હૃતિક-સુઝાન જેવા ઘણાં હાઈ-ફાઈ સિલેબ્રિટી યુગલોમાં છૂટાં પડ્યા બાદ વળતર તરીકે જે જંગી રકમ ચૂકવવી પડે છે એ જોતાં દામ્પત્યનો અર્થ આવો કરી શકાય: દામ મળી ગયા એટલે પત્યું...!!

નાઈટમેર (Nightmare): આમ તો આ દુ:સ્વપ્ન માટેનો અંગ્રેજી શબ્દ છે, પરંતુ mareનો અર્થ ઘોડી પણ થાય એ જોતાં રાત્રે ફરવા અને ચરવા નીકળવાની શોખીન નિશાચર ઘોડીને નાઈટમેર કહી શકાય.

પરચૂરણ: આપણું નહીં તેવું અન્ય વ્યક્તિનું ચૂરણ.

પરલોકસંગીત: ગરબાં, ડાયરા, લોકગીતો વગેરે લોકસંગીતના પ્રકારમાં આવતાં હોય છે, પરંતુ ગાયનના બધાં પ્રકારોથી અદકેરૂં ઊંચું સ્થાન ધરાવતાં શાસ્ત્રીય સંગીતને પરલોકસંગીત કહી શકાય.

બાગબાન: બાગને બાનમાં લેતાં લોકો. ક્યારેક બાંકડાં કે લોન પર બેઠેલાં પ્રેમીપંખીડાં તો ક્યારેક એમને ડંડા મારીને ભગાડવા આવતાં હવાલદારો બાગને બાનમાં લે છે.

ભગવા: સંસારથી "ભાગવા" ઈચ્છતા લોકો દ્વારા પહેરવામાં આવતાં વસ્ત્રોનો એક રંગ.

મીટાહારી: માફકસર ખાતાં હોય એવા લોકો માટે મિતાહારી શબ્દ છે, પરંતુ જે માંસ એટલે કે મીટ ખાતાં હોય એમને મીટાહારી કહેવાય?

મૂઢાર્થ: સમજવામાં મુશ્કેલ પડે, મોઘમ હોય, રહસ્યમય અર્થ છુપાયેલો હોય એને ગૂઢાર્થ કહેવાય, તો મૂઢ વ્યક્તિ દ્વારા કાઢવામાં આવતા ખોટા અર્થને મૂઢાર્થ કહી શકાય.

રૉ માંસ : પ્રણય માટેના રોમાંસ શબ્દમાં રો પર ભાર મૂકવાથી એ રૉ માંસ એટલે કે કાચું માંસ થઈ જાય છે.

વર્જિન: "જીન"ની માફક પત્નીની બધી ખ્વાહિશો પૂરી કરતાં "વર"ને વર્જિન કહેવાય !

શિવસૈનિક: વેલેન્ટાઈન ડે નિમિત્તે કાર્ડ ગિફ્ટ્સની દુકાનોમાં તોડફોડ હોય કે પાકિસ્તાની કલાકારોનો કાર્યક્રમ ભારતમાં ન કરવા દેવાના કોડ હોય કે પરધર્મી ચિત્રકારની આર્ટ ગેલેરીમાં ભાંગફોડ હોય કે બધી લેન્ડમાર્ક જગ્યાઓના નામ શિવાજીના નામે રાખવાની માથાફોડ હોય.....મુંબઈની અસ્મિતા અને શિવાજીને લગતાં મુદ્દાઓ અંગે વાતવાતમાં શિવજીની જેમ ત્રીજું નેત્ર ખોલીને વિનાશનું તાંડવનૃત્ય કરતાં સૈનિકોને શિવસૈનિકો કહે છે.

શૅમ્પેન: શેમ (શરમ) અને પેઈન (દુ:ખ) એક સાથે અનુભવાતાં હોય તેવી કરૂણ સ્થિતિ.

સફરજન: જેમને ખૂબ યાતનાઓ ભોગવવાની આવતી હોય (suffer કરતાં હોય) એવા લોકોને સફરજન કહે છે.

એન્ડલાઈન
ઘણી વખત શબ્દોને ઊલટ સૂલટ કરવાથી કેવી રીતે સહજતાથી સત્ય મળી જતું હોય છે એનું એક ઉદાહરણ:

લોભ-ભલો: જેનામાં લોભ ન હોય એ ભલો આદમી.
મદ-દમ: મદ વગરનાં માણસમાં કંઈક દમ છે એમ માનવું.

Sunday, February 16, 2014

જીવન જીવવાનો સાચો મર્મ

ગાંધીધામ નિવાસી પરમ મિત્ર રજનીભાઈ અગ્રાવતના એક ફેસબુક અપડેટમાંથી સાભાર:

નિરર્થક શબ્દો, કહેવાતું જ્ઞાન. માહિતીઓના ખોખલાપણામાં અને કહેવાતી સભ્યતાના મોહમાં આપણે પ્રકતિનાં બીજા તત્ત્વો જેવી સ્વાભાવિકતા ગુમાવી બેઠા છીએ. કવયિત્રી કહે છે: આપણે કશું જ શીખવાની જરૂર નથી. કશુંય બોલવાની પણ જરૂર નથી. આપણે તો કુદરતની જેમ ઉદાર અને સરળ બની જવું જોઇએ અને આકાશની જેમ મુકત અને સામાન્ય બની જવું જોઇએ. ધરતીમાં રોપવામાં આવેલું બીજ અગાઉથી કશું શીખ્યું હોતું નથી. છતાં એ વિશાળ વૃક્ષ બની જાય છે. નદીઓ કોઇ પણ તાલીમ કે પૂર્વ અભ્યાસ વિના સહજ રીતે પોતાનો માર્ગ શોધતી વહેતી રહે છે. હવા કોઇનેય કશું પૂછ્યાગાછ્યા વગર જયાં જવું હોય ત્યાં પહોંચી જાય છે. સૂરજ કોઇને પૂછતો નથી કે કોને કેટલા તડકાની જરૂર છે. તો પછી આપણે શા માટે દરેક વાતે પૂછીપૂછીને ડગલાં માંડીએ છીએ? ચિંતામાં ને ચિંતામાં આખી આખી રાત ઊઘી શકતા નથી. કોઇપણ કામ કરતા પહેલાં કેટલા બધા દેખાડા કરીએ છીએ. નિરર્થક શબ્દોમાં જિંદગી વેડફી નાખીએ છીએ. 


(દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા હિન્દીમાં પ્રગટ થતા સામયિકના ૨૦૦૭ના જુલાઇ-ઓગસ્ટના અંકમાં પ્રકાશિત સિંધી કવયિત્રી રશ્મિ રમાનીની પણ એક કવિતાનો અનુવાદ) 

(૦૯-૦૨-૨૦૧૪) વીનેશ અંતાણીની (દિ.ભા.) ‘ડૂબકી’ કૉલમમાંથી.

Wednesday, February 12, 2014

રેલ્વે બજેટ પાસેથી શું અપેક્ષા છે?

દર વર્ષે રેલ્વે બજેટમાં જાતજાતની લોભામણી જાહેરાતો થતી હોય છે, જેનો અમલ "જેટ" સ્પીડે થવાને બદલે ગોકળગાયની ગતિથી થાય છે અથવા તો બિલકુલ થતો જ નથી. ભાડાં વધારીને સામે એવી સુવિધા આપવાને બદલે જનતામાં લોકપ્રિય થવા માટે ભાડાં ઘટાડીને દુવિધા વધારવાનું જ કામ થતું હોય છે. હાલાંકિ, યે હાલાકી કભી કમ નહીં હોતી. છુક છુક ગાડીની ખરાબ હાલત જોઈને કુછ કુછ હોતા હૈ ! શતાબ્દી, રાજધાની, કર્ણાવતી અને એ પ્રકારની બીજી "ઍલિટ" ક્લાસની ટ્રેનોને બાદ કરતાં ઘણી ખરી ટ્રેનોમાં લઘુ કે ગુરૂ કોઈપણ પ્રકારની શંકા-આશંકા કરવાનું મન ન થાય એવી હાલત જોઈને પાયખાનાને હાયખાના કહેવાનું મન થાય. સ્વચ્છતામાં જ પ્રભુતા વસે છે એ સૂત્રને પકડીને ચાલીએ તો ભારતીય ટ્રેનો એ બાબતમાં ટોટલી નાસ્તિક કહેવાય ! પછી એમાં ગમે તેટલાં શ્રદ્ધાળુ ભજનિકોનો સંઘ ભજનો ગાતો ગાતો પ્રવાસ કરતો હોય તો પણ ત્યાં પ્રભુતા હંમેશા પારોઠના પગલાં ભરતી હોય છે. 



કુલડીમાં ચા પીરસવાના દેશી ગિમિક કરતાં રેલ્વે મંત્રીઓ રેલ્વેમાં ચાલતાં ભ્રષ્ટાચારની બાબતમાં કુલડીમાં ગોળ ભાંગતા હોય છે. IRCTCની વેબસાઈટ પર ઑનલાઈન ટિકિટ બુકિંગની સગવડ આવ્યા પછી રેલ્વેની બારીએ રિઝર્વેશન માટે ફૉર્મ ભરીને લાઈનમાં રાહ જોવી પડતી નથી પણ સર્વર સર્વથા ડાઉન હોવાને કારણે એ બધી ધક્કામુક્કી હવે ઑનલાઈન થઈ ગઈ છે. ધક્કામુકીનો અનુભવ હવે ફિઝિકલને બદલે વર્ચ્યુઅલ બન્યો છે ! :P

કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી, માત્ર આપણી અપેક્ષાઓ વધારે હોય છે એવા હરીન્દ્ર દવેના જગવિખ્યાત  ક્વોટને બદલીને રેલ્વે માટે એવું કહી શકાતું નથી કે "કોઈ સર્વિસ પ્રોવાઈડર દ્વારા પૂરી પાડવામાં આવતી ફેસિલિટી ઓછી હોતી નથી, માત્ર આપણી અપેક્ષાઓ વધારે હોય છે!" સત્યાગ્રહમાં કોઈ ન્યૂઝ ચેનલની કરીના કપૂર જેવી  રૂપાળી રિપોર્ટર ભૂલથી ભૂલી પડીને રસ્તામાં મને મળી જાય અને રેલ્વે બજેટ પાસેથી તમારી શું અપેક્ષા છે એવા પ્રશ્નો પૂછે તો મારો શું જવાબ હોય? એ આ પ્રમાણે છે:

(1) રેલ્વેમાં મફત વાઈ-ફાઈ સુવિધા શરૂ કરો. ગયા વખતના બજેટમાં આની જાહેરાત કરવામાં આવી હતી પછી શતાબ્દી અને કર્ણાવતીમાં દરેક વખતે સેમસંગ ગેલેક્સી સ્માર્ટ ફોનમાં ચાતક જેમ વરસાદના ટીપાંની રાહ જુએ એમ મેં મોબાઈલમાં વાઈ-ફાઈના સિગ્નલ ઝીલવા પ્રયત્ન કર્યા પણ મિસ્ટર ઈન્ડિયાની જેમ ક્યારેય વાઈ-ફાઈ નેટવર્ક દેખાયું નહીં. ફેકિંગ ન્યુઝવાળા મજાકમાં કહે છે એમ વાઈ-ફાઈ શરૂ થાય તો ટીસીને ઑનલાઈન લાંચ બેન્ક ટ્રાન્સફરથી આપવામાં સુગમતા રહે.

(2) મુસાફરોને લાંબી મુસાફરીમાં રિચાર્જ કરવા માટે ડબ્બાની બહાર દરેક સ્ટેશન પર ચાનાં ચાર્જીંગ પોઈન્ટ હોય છે. એ જ રીતે ડબ્બામાં આગળ પાછળની બે સીટોની વચ્ચે મોબાઈલ કે લેપટૉપ ચાર્જ કરવા માટે એક કૉમન ચાર્જીંગ પોઈન્ટને બદલે બે ચાર્જીંગ પૉઈન્ટ હોય તો આગળ બેઠેલાંને પોતાનો પ્લગ કાઢીને આપણો પ્લગ ભરાવવા માટે વિનંતી કરવાનો સંકોચ દૂર થઈ જાય.

(3) ઑનલાઈન રિઝર્વેશન કરાવતી વખતે "Book my tickets only if all the passengers are allotted seats in the same coach" એવું ઑપ્શન આવે છે. એટલે કે સાથે મુસાફરી કરતાં અન્ય પરિચિત મુસાફરોને પણ એક જ ડબ્બામાં સીટ આપવામાં આવે. આમાં સુધારો કરીને એક બીજું ઑપ્શન ઉમેરવા જેવું છે. "Book my tickets only if a beautiful girl is allotted a seat next to me!" :D. આઈનસ્ટાઈનની થિયરી ઑફ રિલેટિવીટી મુજબ કદરૂપી સ્ત્રી સાથે વીતાવેલી એક મિનિટ એક કલાક જેવી લાગે છે અને સુંદર સ્ત્રી સાથે વીતાવેલી એક કલાક પણ એક મિનિટ જેવી લાગે છે એટલે મુસાફરીમાં કોઈ સુંદરી સાથે હોય તો એ બહાને આઈનસ્ટાઈનની થિયરી ઑફ રિલેટિવીટીને થિયરીમાંથી પ્રેક્ટિકલ તરીકે સાકાર થતી જોઈ શકાય અને સમય પણ સારો પસાર થઈ જાય ! ;)

Saturday, February 8, 2014

જગજીતસિંહ - ગઝલગાનમાં જગ જીતનાર સિંહ

73મી જન્મતિથિએ ગઝલ ગાયક જગજિતસિંહને અંજલિ આપતો લેખ, મનસુખલાલ સાવલિયા લિખિત પુસ્તક 'ભારતનાં મહાન સંગીતકારો'માંથી:



ઈ.સ. 1970ના દાયકામાં જગજીતસિંહે 'અનફરગેટેબલ' (અવિસ્મરણીય) નામથી તેમની એલ.પી. રેકોર્ડ બહાર પાડી તેમાં શાયર કાફિર આઝેર રચિત ગઝલ 'બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી' તેમણે એવી સંવેદનાપૂર્ણ મધુરતાથી ગાઈ છે કે ગઝલરસિકોને જીભ ઉપર તે આજે ય રમ્યા કરે છે! ગુજરાતના મહાકવિ નાનાલાલે તેમની એક કાવ્યપંક્તિ તથાપિ મૃત્યુ રસના નથી નથી'માં કહ્યા પ્રમાણે 'જે રસસભર હોય છે તેનું મૃત્યુ કદી નથી થતું.' એ કાલજયી બને છે. જગજિત સિંહે ગાયેલી આ ગઝલ તેમની બીજી કેટલીક ગઝલોની જેમ શ્રોતાઓની મનોભૂમિમાં ચિરસ્મરણીય રહેશે. એ ગાન 'Beyond Time' (સમયની પેલે પાર) પણ એવું જ તાજું અને જીવંત રહેવા સર્જાયેલું છે. આ જ વાતને કેન્દ્રમાં રાખીને જગજિતસિંહે પોતાનું આત્મવૃત્તાન્ત આલેખતું જે પુસ્તક લખ્યું છે તેનું શીર્ષક પણ યોગ્ય રીતે જ 'Beyond Time' રાખ્યું છે. જેમ સાચું સોનું સમયની આગમાં બળતું નથી પણ વધુ ઊજળું બનીને લોકોને આકર્ષે છે તેમ જગજિતસિંહે ગાયેલી ગઝલો પણ મહાકાળના અગ્નિમાં બળશે નહીં વધુ ઝગમગી ઊઠશે!

કોઈ વાર વિશ્વપ્રસિદ્ધ રામાયણી મોરારિબાપુએ કોઈ મધ્યસ્થ વ્યક્તિ દ્વારા જગજિતસિંહને બાપુના વતન તલગાજરડા (મહુવા)માં ગઝલગાયનના કાર્યક્રમ અંગે આમંત્રણ પાઠવ્યું તો જગજિતસિંહે કહ્યું: 'જેવી રીતે મોરારિબાપુ, રામકથાના ક્ષેત્રમાં સમ્રાટ છે તેમ હું ગઝલગાયનના ક્ષેત્રમાં સમ્રાટ છું. એક સમ્રાટ, બીજા સમ્રાટ સાથે સીધી વાત કરે તો આનંદ થાય.' હૃદયને ઝંકૃત કરતી અને મનને સંતૃપ્ત કરતી, જગજિતસિંહની ગઝલો જેણે સાંભળી હોય તે બધા જ એક અવાજે તેને 'ગઝલસમ્રાટ' કહ્યા વિના રહે નહીં એવા આ મહાન ગાયકનો જન્મ પંજાબમાં થયો હતો, તેઓ પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક થયા છે. મધુર કંઠ તો એમને જન્મજાત ઈશ્વરીય વરદાન હતું તેથી શિશુવયમાંથી જ તેઓ ગાવાનો શોખ ધરાવતાં હતાં. ગાયનકળામાં તેમની આવી અનોખી લગની જોઈને તેમના પિતાએ જ સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ અપાવવાનું આયોજન કર્યું હતું અને પ્રસિદ્ધ શિક્ષક પંડિત છગનલાલ શર્મા પાસે તેમને તાલીમ લેવા મોકલ્યા હતાં. આરંભમાં સંગીતમાં પ્રગતિ કરનાર જગજિતસિંહ ત્યારપછી ઉસ્તાદ જમાલખાન પાસેથી વિશિષ્ટ તાલીમ લેવા લાગ્યાં. સંગીતકલાની કેટલીક બેનમૂન ઉત્તમ ખૂબીઓ તેઓ ઉસ્તાદ જમાલખાન પાસેથી શીખ્યાં. શાળા અને મહાશાળાના અભ્યાસ દરમિયાન તેઓ સંસ્થાના કાર્યક્રમોમાં ગાતાં અને આ રીતે તેઓ ખૂબ લોકપ્રિય બન્યાં હતાં. કૉલેજના વાર્ષિક ઉત્સવોમાં તથા સમારંભોમાં તેમનું મોહક ગાન, અદભુત વશીકરણથી શ્રોતાઓને મુગ્ધ કરી દેતું. સંવેદનાના રસમાં ઝબોળાઈને પ્રગટતું, અપૂર્વ કંપનથી કાનમાં અમૃત સિંચતું એમનું મધુર ગાન, ગાંધર્વલોકની દિવ્યતા લઈને આવતું! પરિણામે એમની લોકપ્રિયતાએ આકાશવાણીના દરવાજે દસ્તક દીધાં, અને તેઓ આકાશવાણી ઉપર પણ ગાવા લાગ્યા. હવે તેમની કીર્તિ, વિદ્યુતતરંગો ઉપર સવાર થઈ સર્વત્ર ઘૂમવા લાગી! નાની ઉંમરમાં મોટી સિદ્ધિ મળી!

સુવિખ્યાત ગઝલગાયિકા ચિત્રા શોભેનો ઈ.સ. 1967માં તેમને પરિચય થયો. બન્નેના સ્વભાવ, શીલ અને શોખ સમાન હતાં તેથી પરિચય પાંગરતો ગયો અને અંતે પરિણયમાં પરિણમ્યો. બંગાળી ચિત્રા શોભે, શ્રીમતી ચિત્રા સિંહ બન્યા. બંનેન્ના કંઠમાંથી વહેતાં મધુર ગીતના ઝરણાંઓ મળીને તેમાંથી લોકહૃદયને ભીંજવતી વેગવંતી સંગીત સરિતા બનીને વહેવા લાગી! જેમ રાત્રિથી ચંદ્ર શોભે અને ચંદ્રથી રાત્રિ શોભે અને રાત્રિ અને ચંદ્રના મિલનથી નભોમંડળ શોભે તેમ જગજિતસિંહથી ચિત્રા અને ચિત્રાથી જગજિતસિંહ શોભવા લાગ્યા અને બન્નેએ સાથે મળીને ગઝલગાયનના આકાશને દેદીપ્યમાન બનાવી દીધું!

જગજિતસિંહને આરંભમાં ફિલ્મોમાં ગીત ગાવાની ઈચ્છા ન હતી. શરૂઆત તો તેમણે જીંગલ ગીતોથી કરી હતી, પરંતુ ગઝલોનાં ચોટદાર શબ્દો અને હૃદયવિદારક ચિંતને તેમને આકર્ષ્યાં અને તેમણે ગઝલગાયનના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. એમનો વિશિષ્ટ કંપનયુક્ત મધુર અવાજ ગઝલગાન માટે વધુ પ્રભાવક હતો. વળી શાસ્ત્રીય સંગીતની જેમ ગઝલગાનને કોઈ નિશ્ચિત 'ઘરાના' નથી. ગઝલગાયક પોતાના રસ, રુચિ અને કંઠના કામણને અનુરૂપ શૈલીમાં ગાન કરવા સ્વતંત્ર છે. જો કે તેઓ યોગ્ય રીતે જ માને છે કે ઉત્તમ ગઝલગાન તો જ પ્રગટી શકે છે જો ગાયક, શાસ્ત્રીય સંગીતની વ્યવસ્થિત તાલીમ લઈ, નિયમ મુજબ કંઠને કેળવી શક્યો હોય. મધુર કંઠ હોવા માત્રથી ગઝલગાન પૂર્ણ કે પરિતૃપ્ત કરનારું બની શકતું નથી. ગઝલગાયનમાં જ્યારે જગજિતસિંહની કીર્તિ વિસ્તરતી હતી ત્યારે દેશ-વિદેશમાં મહાન ગઝલ ગાયકો મહેંદી હસન અને ગુલામ અલીની બોલબાલા હતી. તેઓ ગાયનકલાના બેતાજ બાદશાહો હતા. એના સામ્રાજ્યમાં પગપેસારો કરવો મુશ્કેલ પડકાર હતો. પરંતુ પરિશ્રમ, પ્રભુકૃપા, પૂરી શ્રદ્ધા અને કામણગારો કંઠ તથા અનોખી શૈલીથી જગજિતસિંહ ગઝલગાનમાં આગળ વધતા ગયા, વિસ્તરતા ગયા અને લોકહૃદયના સિંહાસેન બિરાજતા ગયા! જગજિતસિંહની નોંધપાત્ર ખૂબી એ છે કે કોઈ પણ ધુરંધર ગાયકના ગાનની અસર તેમના ગાયનમાં જોવા મળતી નથી. તેઓ શત પ્રતિ શત મૌલિક અને અલૌકિક છે!

જગજિતસિંહની બીજી કામણગારી કમાલ એ છે કે જે ગઝલો તેઓ ગાયન માટે પસંદ કરે છે તેના શબ્દો અને તેમાં વ્યક્ત થતા ભાવો અને વિચારો ઉપર વિશેષ ધ્યાન આપે છે. આથી તેઓ મોટે ભાગે સર્વોત્તમ ગઝલકારોની ગઝલો જ પસંદ કરે છે. મિર્ઝા ગાલિબ, મીર તકી મીર, ફિરાક ગોરખપુરી, જિગર મુરાદાબાદી, ગુલઝાર, તારીક બદાયુની, જાવેદ અખ્તર, સૈય્યદ રાહી, અમીર મીનાઈ જેવા સુવિખ્યાત શબ્દસ્વામીઓની ગઝલો, જગજિતસિંહના કંઠમાંથી પ્રગટીને વિશ્વસ્તરે વિસ્તરી છે. કોઈક પત્રકારે એમને પૂછ્યું હતું: 'તમે ગઝલગાયનમાં આવું અનોખું અને અસરકારક દર્દ કેવી રીતે લાવી શકો છો?' જગજિતસિંહે પ્રત્યુત્તર આપ્યો: 'આ માટે હું કોઈ વિશેષ અભ્યાસ નથી કરતો. જે અલગ અલગ સંવેદનાઓ હું ભીતરમાં અનુભવું છું તે ગઝલ ગાતી વખતે પ્રગટ થાય છે અને પરિણામે એમાં દર્દ ઘૂંટાઈને આવે છે! અકબર ઈલાહાબાદીનો એક ચોટદાર શેર આ બાબતમાં નોંધવા જેવો છે:

ઈશ્ક કો દે જગહ દિલ મેં અકબર!
ઈલમ સે શાયરી નહીં આતી.

જે રીતે દિલમાં પ્રેમ ઊભરાય તો એ જ શાયરી રૂપે ઢળી પડે છે, તે જ રીતે ગાયકનું હૃદય પણ જ્યારે પ્રેમથી છલકાય છે ત્યારે એ ગઝલગાનમાંથી દર્દભર્યું માધુર્ય રેલાય છે!

ઉપર જણાવ્યું તે પ્રમાણે આરંભમાં જગજિતસિંહને ફિલ્મમાં ગાવાની ઈચ્છા ન હતી. પરંતુ પછીથી તેને લાગ્યું કે ફિલ્મ અતિ લોકપ્રિય અને અત્યંત સબળ અને સફળ માધ્યમ છે. તેની ઉપેક્ષા કરવાથી ફિલ્મોને ઉત્તમ ગઝલો નહીં મળે અને ઉત્તમ ગઝલો, સમાજના તમામ સ્તરના લોકો સુધી પહોંચી નહીં શકે. પરિણામે ઈ.સ. 1965માં તેમણે સિનેસૃષ્ટિમાં પદાર્પણ કરવાનો પ્રયત્ન કર્યો પણ પ્રારંભમાં સફળતા ન મળી. પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગીતમંચ ઉપર એમની ગાયનકલા રંગ જમાવવા લાગી ત્યારે ફિલ્મી દુનિયાના અનેક માંધતાઓ જગજિતસિંહ તરફ આકર્ષાયા અને તેઓએ ફિલ્મોમાં ગાવાનો પ્રારંભ કર્યો, ફિલ્મ 'પ્રેમગીત'માં તેમનું ગીત 'હોઠોં સે છૂ લો તુમ' દર્શકો અને શ્રોતાઓમાં પ્રેમનું પાત્ર બન્યું છે અને 'અર્થ' ફિલ્મમાં તેમણે ગાયેલી ગીતરચના 'ઝૂકી ઝૂકી સી નઝર' પણ શ્રવણીય તથા અર્થસભર છે. આ ઉપરાંત પણ કેટલીક ફિલ્મોમાં એમણે ગાયેલી ગઝલો, લોકોએ મન ભરીને માણી છે. તેમ જ શ્રીમતી ચિત્રા સિંહની સાથે ફિલ્મ 'સાથ સાથ'માં તેઓનું યુગલગાન 'યે તેરા ઘર યે મેરા ઘર' પણ શ્રોતાઓએ માણ્યું છે અને વખાણ્યું છે. પરંતુ બન્ને કલાકારોને ફિલ્મો કરતા 'સ્ટેજ પ્રોગ્રામ'માં જ વિશેષ રસ છે અને તેમની જમાવટ પણ અપૂર્વ હોય છે.

જગજિતસિંહ અને ચિત્રા સિંહના સ્ટેજ કાર્યક્રમો ભારતના લગભગ તમામ મહાનગરોમાં યોજાયા છે અને યોજાતાં રહેશે. એમને સાંભળવા અને માણવા તે જીવનનો અપૂર્વ લહાવો ગણાય છે. આ ઉપરાંત વિદેશોમાં પણ તેમણે ગઝલગાયનની ધજા ઊંચી કાઠીએ ફરકાવી છે. જાપાનમાં, દૂર મધ્યપૂર્વના દેશોમાં, આફ્રિકામાં, બ્રિટનમાં અને જ્યાં ભારતીયો વસતા હોય તેવા દિગદિગંતના દેશોમાં પણ તેઓએ તેમના કંઠના કામણથી લોકોને સંમોહિત અને સંતૃપ્ત કર્યાં છે. શબ્દો અને સૂરોની સુસ્પષ્ટતા, સુમધુરતા, અંતરમનને સ્પર્શી જાય તેવા તાલલય, આત્માને અભિભૂત કરે તેવું સંગીત, સૂરાવલિમાં કારૂણ્યયુક્ત અનોખું સ્પંદન અને ગાયકીની વિલક્ષણતા તથા આધુનિક ઓરકેસ્ટ્રાનું અદભુત સંમિશ્રણ જગજિત-ચિત્રાની ગઝલગાયકીને પંચામૃત જેવું માધુર્ય બક્ષે છે! અને પરિણામે સંગીતના શિરમોર હોય કે સામાન્ય-સર્વ પ્રકારના શ્રોતાઓને આનંદની સમાધિમાં લીન કરી દે છે!

'મિર્ઝા ગાલિબ' ટી.વી. સિરિયલમાં જગજિતસિંહે તથા ચિત્રાસિંહે સ્વતંત્ર રીતે ગાયેલી તથા યુગલગાનના મધુર સૂરોમાં વહાવેલી ગાલિબની અમર ગઝલોએ લોકચાહનાનો અપૂર્વ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ ગઝલો અનંતકાળ સુધી સાંભલવી ગમશે એવું તેનું ચમત્કારિક સંમોહન છે. જગજિતસિંહના કંઠના કામણથી ઝબોળાઈને વહેતી ગઝલો 'આહકો ચાહીએ ઈક ઉમ્ર અસર હોને તક', તથા 'હજારો ખ્વાહિશે ઐસી કિ હર ખ્વાહિશ પે દમ નીકલે' અને 'વો ફિરાક ઔર વો બિસાલ કહાં' તેમજ ચિત્રા સિંહની મધુર સૂરાવલિ ઉપર સવાર થઈને પ્રગટેલી ગઝલ 'યે ન થી હમારી કિસ્મત' તેમજ 'ઈશ્ક મુજકો નહીં' તદુપરાંત બન્નેના યુગલગાનમાં રજૂ થયેલી ગઝલ 'દિલે નાદાન તુઝે હુયા ક્યા હૈ?' - મહાન શાયર મિર્ઝા ગાલિબની આ બેનમૂન ગઝલોને આ બન્ને મહાન કલાકારોએ, લોકસ્મૃતિમાં કાયમ અંકિત કરી દીધી છે. આ ગઝલોના પ્રભાવક ગાને, જગજિત અને ચિત્રાની સત્કીર્તિને દિગદિગંતમાં પ્રસરાવી છે! 


ગાલિબે તેના એક શેરમાં કહ્યું છે: 'હૈ ઔર ભી દુનિયા મેં સુખનવર બહુત અચ્છે' - આ જગતમાં અનેક ઉત્તમ કવિઓ છે, પરંતુ કહેવાય છે કે ગાલિબનો 'અંદાઝ-એ-બયાઁ' જુદા જ પ્રકારનો છે. ગાલિબની ગઝલોને નવા જ અનોખા અંદાઝમાં પેશ કરનાર જગજિતસિંહ માટે પણ એમ કહી શકાય કે એમની ગઝલગાયકીની કલા કોઈ જુદા જ પ્રકારની છે! આ માટે સંગીત નાટક અકાદમીએ એમને ઍવૉર્ડ આપીને વિભૂષિત કર્યા હતા. અનેક નામાંકિત ઉર્દુ અને હિન્દી ગઝલકારોની ઉત્તમોત્તમ રચનાઓને મધુર ઢાળમાં ઢાળીને તેમણે આનંદની ભરતીથી લોકહૃદયોને પરિપ્લાવિત કર્યાં છે. તેમના પચાર ઉપરાંત આલ્બમો થયા છે, થયા કરે છે, અને ભવિષ્યમાં થયા કરશે. ફિલ્મો અને આલ્બમો વચ્ચે રહેલા તફાવતને સ્પષ્ટ કરતાં તેઓ જણાવે છે કે ફિલ્મમાં ગઝલગાયકને સિચ્યુએશન અને અભિનેતાની ભાવોર્મિને ધ્યાનમાં રાખીને ગાવાનું હોય છે તેથી એમાં કેટલાંક બંધનો છે. જ્યારે આલ્બમમાં ગાયક સ્વતંત્ર હોય છે અને પોતાની રુચિ અનુસાર ગાયનશૈલીને ઢાળી ઉપર આધાર રાખે છે. જ્યારે આલ્બમની ગઝલગાયકીને તેની સફળતા માટે બહારની કોઈ ઘટના ઉપર નિર્ભર રહેવું પડતું નથી. ઈ.સ. 1998માં મધ્યપ્રદેશની સરકારે તેમને લતા મંગેશકર ઍવૉર્ડથી સન્માન્યા હતાં. તો વળી ગઝલો ગાવામાં તેમને મળેલી સફળતા તેમને માટે અનેક ઍવૉર્ડ્ઝ, પારિતોષિકો અને સન્માનપત્રો લઈ આવીને એમના ચરણોમાં અર્પિત કર્યા છે. પરંતુ ઋજુ હૃદયના અને સરળ સ્વભાવના આ સ્થિતપ્રજ્ઞ કલાકારને આવી મોટાઈનો કોઈ મોહ થયો નથી. સંગીતસાધના અને ઉપાસના જ એમને મન સર્વસ્વ છે. એમનું ગઝલગાન, લોકોને ગમી જાય એ જ એનું ઉત્તમ ઈનામ છે!  


જગજિતસિંહની ગાયનકલાની સમાલોચના કરતાં એક જાણીતા ચિંતકે કહ્યું છે: 'જગજિતસિંહ તેના સૂરોને પરંપરાના શાસ્ત્રીય રાગોનાં પાયા ઉપર પ્રગટાવે છે અને પછી તેને આધુનિક ઓરકેસ્ટ્રાની સંગતમાં ખૂબ જમાવે છે. પરિણામે તેમની સંગીતકલામાં પુરાતન અને અદ્યતન પ્રણાલીનું પ્રભાવક સંમિશ્રણ જોવા મળે છે.' તેમના ગઝલગાને લોકસમુદાયને સવિશેષ મુગ્ધ કરીને આકર્ષ્યા છે તેના ઘણા કારણોમાંનું આ પણ એક કારણ છે. જેણે શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ મેળવ્યું છે અને જેની ગઝલોમાં શાસ્ત્રીય સંગીતની સૂરાવલિનું અમૃત ઘૂંટાઈને આવે છે તેવા અનુપમ ગઝલગાયકે કોઈપણ સમર્થ સંગીતકારનું ન તો અનુકરણ કર્યું છે, ન તો કોઈ ગાયક એમનું અનુકરણ કરી શકે છે. ગઝલની સોહામણી વનરાજીમાં વિહરતા જગજિત અને ચિત્રાનું સિંહયુગલ, ગઝલગાનની ગર્જનાથી અદ્વિતીય અને અજેય રહેશે!

(Source: ભારતના મહાન સંગીતકારો : મનસુખલાલ સાવલિયા, પ્રવીણ પ્રકાશન)

Tuesday, February 4, 2014

પંડિત ભીમસેન જોષી : એક આવાઝ જો અમર રહેગી....

કિરાણા ઘરાનાના ઉસ્તાદ અબ્દુલ કરીમખાનની વસંત રાગની ઠુમરી સાંભળીને જેમને શાસ્ત્રીય સંગીત શીખવાની લગની લાગી એવા પંડિત ભીમસેન જોષીને આજે વસંતપંચમીએ એમની 92મી જન્મજયંતિએ આદરાંજલિ આપતો લેખ મનસુખલાલ સાવલિયાના પુસ્તક ભારતના મહાન સંગીતકારોમાંથી સાભાર!

ધારવાર જિલ્લાના કડગ ગામમાં ઈ.સ. 1922માં જન્મેલાં પંડિત ભીમસેના જોષી કિરાણા ઘરનાના ઉત્તમ ગાયક ગણાય છે. કંઠ્ય સંગીતમાં એમની બરોબરી કરી શકે એવા બહુ જ ઓછા કલાકારો છે. સંગીતની ઉપાસના કરનારા શીલવંત બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા ભીમસેન, આનુવંશિક રીતે જ સંગીતકલાના સંસ્કાર લઈને આવ્યા હતાં. એમના દાદા પંડિત ભીમાચાર્ય, લબ્ધપ્રતિષ્ઠિત અને લોકપ્રિય કીર્તનકાર હતા. એમના પિતાશ્રી ગુરુરાજે ઉચ્ચ કેળવણી લીધી હતી અને અંગ્રેજી તથા સંસ્કૃત ભાષાના ભજનો ગાતાં. પંડિત ભીમસેનમાં બાળપણથી જ સંગીત, સાહિત્ય અને કલાના આ સંસ્કારો પડ્યા હતા. બાલ્યકાળમાં પંડિત ભીમસેન જોષીના અંતરપટ ઉપર સંગીતના સંસ્કારની જે રંગભરી ચિત્રાવલી આલેખાઈ હતી તે સમય જતાં વધુ ઊજળી બની છે!

ભીમસેનની જ્યારે માત્ર સાત જ વર્ષની ઉમ્મર હતી ત્યારે તેણે તેના દાદા ભીમાચાર્યનો માળિયામાં મૂકી રાખેલો તાનપૂરો કાઢ્યો હતો. આજદિન સુધી કોઈએ એનો ઉપયોગ ન કરવાથી તેના ઉપર ધૂળનું આવરણ ચઢી ગયું હતું. પંડિત ભીમસેને તે હટાવ્યું. તાર મેળવ્યા અને તાનપૂરાના તાન સાથે મધુર સંગીતના સૂરો વહેતા કર્યા. જાણે દાદા ભીમાચાર્ય, ફરીવાર ભીમસેન બનીને આવ્યા. એના પિતા ગુરુરાજને પણ ભારે આશ્ચર્ય થયું. તેને પોતાના પુત્રમાં સંગીતના વિરાટ સ્વરૂપનાં દર્શન થયાં. કહેવાય છે કે પંડિત ભીમસેનના પિતાને એક રાતે સાક્ષાત ભગવાન નારાયણનાં દર્શન થયાં. સ્વપ્નમાં એ ભાવવિભોર બની ગયા અને મુખમાંથી નારાયણ શબ્દનો જાપ સરી પડ્યો અને તેઓ ઊંઘમાંથી જાગી ગયા. ત્યાર પછી ત્રીજા જ દિવસે ભીમસેનનો જન્મ થયો. જાણે સાક્ષાત વિષ્ણુ નારાયણનો દિવ્ય અંશ, પરિવારનો ઉદ્ધાર કરવા પ્રગટ્યો!

સાવ શિશુ અવસ્થામાં જ પિતાએ તેને रामाय रामचन्द्राय रामभद्राय नतोहम મંત્ર શીખવ્યો. આ રામમંત્રના જપ અને ગાનથી જ ભીમસેનમાં અલૌકિક શક્તિઓ જાગૃત થઈ! તેઓને સંગીતનું એવું જબ્બર આકર્ષણ હતું કે કોઈ ભજનમંડળી, ગાતી ગાતી પસાર થાય તો તેમાં તેઓ જોડાઈ જતા, સાથે ચાલ્યા કરતા, સાથે ગાયા કરતા, અને ચાલતાં ચાલતાં થાકી જાય ત્યારે રસ્તામાં સૂઈ જતા. પછી કોઈ ઓળખીતાં લોકો એને ઘેર મૂકી જતાં. આ ક્રમ નિયમિત થઈ ગયો હતો. તેથી એની ઓળખાણમાં મુશ્કેલી ના થાય તે માટે તેના પિતા, તેના ખમીસના પાછળના ભાગે નામ-સરનામાની કાપલી લખાવી રાખતા. સ્વાભાવિક છે કે જે બાળકમાં સંગીતની આવી મસ્ત ધૂન હોય તે મોટો થઈને મહાન સંગીતકાર થયા વિના રહે જ નહીં! એમની ઉમ્મર જ્યારે દસ વર્ષની હતી ત્યારે તેને હારમોનિયમ શીખવવા માટે અગસક ચન્નપા નામના શિક્ષક પાસે મૂકવામાં આવ્યા. ત્યાં રાગ ભીમપલાસીથી એની તાલીમનો આરંભ થયો. પરંતુ કંઠ્યસંગીતની સાધના કરવાની અને તે માટે ગાયકીના કોઈ ધુરંધર ગુરુ ગોતવાની એને તાલવેલી લાગી. હવે ઘરની સીમાઓ એને સંકુચિત લાગવા માંડી. તેઓ મુંબઈ આવ્યા. ત્યાં સંગીતકલા દ્વારા થોડી મૂડી મેળવીને ત્યાંથી જાલંધર ગયા. ત્યાં પંડિત વિનાયકરાવ પટવર્ધનની મુલાકાત થઈ. તે પછી હુબલી સ્ટેશન ઉપર તેમને દેશપાંડેનો સંપર્ક થયો. તેમણે સુપ્રસિદ્ધ ગાયક સવાઈ ગાંધર્વને ભલામણ કરી અને તેમના કુશળ માર્ગદર્શનમાં ભીમસેન જોષીને સંગીતની સંપૂર્ણ શિક્ષા મેળવવાનો અવસર સાંપડ્યો.

પંડિત ભીમસેન જોષી : 4 ફેબ્રુઆરી, 1922 - 24 જાન્યુઆરી 2011


ભીમસેન જોષી, જ્યારે શાળાએ ભણવા જતા ત્યારે માર્ગમાં ગ્રામોફોન રેકોર્ડવાળાની દુકાન આવતી. ત્યાં ઉત્તમ સંગીતકારોની રેકોર્ડ વાગતી હોય તે સાંભળતાં ઉસ્તાદ અબ્દુલ કરીમખાનની બે રેકોર્ડ સાંભળી. એકમાં રાગ વસંતમાં શબ્દો હતા. 'ફગવા બ્રિજ દેખનકો ચલો રી'. બીજી રેકોર્ડમાં ઝીંઝોટી રાગની ઠુમરીના શબ્દો હતા, 'પિયા બિન નહીં આવત ચૈન' આ બન્ને રાગોએ એના મન ઉપર અલૌકિક અસર કરી. જીવનપર્યંત આ રાગોની સ્મૃતિ, કદી ભુલાતી નહીં. એના ગુરુના મુખેથી પણ જ્યારે આ રાગો સાંભળતા ત્યારે એ આનંદની સમાધિમાં લીન થઈ જતા!

ગુરુ સવાઈ ગંધર્વે એને તાલીમ આપવામાં કોઈપણ કચાશ રાખી ન હતી. સંગીતમાં સાવ સૂક્ષ્મ દોષ પણ ન આવવો જોઈએ એવો તેમનો આગ્રહ હતો. કહેવાય છે કે એકવાર સંગીતના કોઈ કાર્યક્રમમાં ગાતી વખતે પંડિત ભીમસેનથી અજાણતાં જા સહેજ ભૂલ થઈ ગઈ તો ત્યાં ઉપસ્થિત ગુરુ સવાઈ ગાંધર્વે સૂડી ઉપાડીને ભીમસેનના માથામાં મારી. માથામાંથી લોહી નીકળ્યું અને સાથે જ ભૂલ થાય તેવી અસાવધાની પણ નીકળી ગઈ. આવા પૂર્ણગુરુના સાન્નિધ્યમાં શિષ્યમાં પૂર્ણતા પ્રગટે એમાં શી નવાઈ? ભીમસેન જોષીની ગાયકીમાં મધુરતા, બુલંદી, રાગો ઉપરનું પ્રભુત્વ, બોલતાન વગેરેની અદભુત કલા હતી, જેના પ્રવાહમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતાં. તેમના શબ્દોચ્ચાર બહુ સ્પષ્ટ ન હતા. તેથી શ્રોતાઓને ગાયકીના શબ્દોની સમજ પડતી નહીં. કહેવાય છે કે એકવાર એમણે આ સંગીતમાં માત્ર એના નામ-સરનામાના શબ્દો ઘૂંટ્યા કર્યા છતાં શ્રોતાઓને ખબર પડી નહીં. સંગીતના મધુર સૂરો, આલાપ વગેરેની મનમોહક વર્ષા થતી હોય ત્યારે શબ્દો ગૌણ બની જાય છે!

ગુરુ સવાઈ ગાંધર્વ સ્પષ્ટ માનતા હતા કે તેના સંગીતનો વારસો, શિષ્ય ભીમસેન જોષી, સંભાળશે અને ઉજાળશે. તેમની આ માન્યતા સાચી પડી. તેમની સંગીત કલાએ, જાણકાર શ્રોતાઓના હૃદયમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની સંગીતસિદ્ધિની કદર રૂપે ભારત સરકારે તેમને 1972માં પદ્મશ્રી, 1985માં પદ્મભૂષણ, 1999માં પદ્મવિભૂષણ અને 2008માં ભારત રત્નનાં ઈલકાબથી નવાજ્યા હતાં. પંડિત ભીમસેન જોષીની સંગીતપ્રતિભાના ઘડ્તરમાં ત્રણ પરિબળોનો મહત્ત્વનો ફાળો છે: સંગીતની જન્મજાત શક્તિ, કઠોર પરિશ્રમ અને સમર્થ ગુરુઓની તાલીમ.

(Source : ભારતનાં મહાન સંગીતકારો : મનસુખલાલ સાવલિયા, પ્રવીણ પ્રકાશન)

સાથે સાથે મેં રેકર્ડ કરીને YouTube પર અપલોડ કરેલાં પંડિતજીના વીડિયો ક્લિપિંગ્ઝની લિંક:

(1) ભારત રત્ન પંડિત ભીમસેન જોષીને સમર્પિત કાર્યક્રમ: Tribute to Pandit Bhimsen Joshi


(2) પુરિયા ધનશ્રી અને કાફી રાગની ઠુમરી:


(3) ડીડી ભારતી પર પ્રસારિત થયેલાં મૌસિકી એક ખોજ કાર્યક્રમમાં કેટલાંક રાગોના ટૂંકી લંબાઈના પર્ફોર્મન્સ:




(4) ઉસ્તાદ રાશિદ ખાન સાથે જુગલબંધી: 



Saturday, February 1, 2014

ક્રિપ્ટોલૉકર વાયરસ : ચૈન સે સોના હૈ તો જાગ જાઓ !

ચિત્રલેખાનાં તાજા અંકમાં કમ્પ્યૂટરના ઈતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી ખતરનાક માનવામાં આવતાં ક્રિપ્ટૉલૉકર વાયરસ વિશેની રસપ્રદ કવરસ્ટોરી વાંચીને આ બ્લૉગ પોસ્ટ લખવા પ્રેરાયો છું. FedEx કે UPS કુરિયરનું પાર્સલ ટ્રેક કરવાના નામે મોકલવામાં આવતા નકલી ઈ-મેઈલમાં અટેચમેન્ટ ડાઉનલોડ કરીને ખોલવાની જેઓ લાલચ રોકી શકતા નથી એમની સિસ્ટમમાં આ માલવેર ઘૂસી જાય છે અને બધાં જ અગત્યનાં ડૉક્યુમેન્ટ્સ, સ્પ્રેડશીટ્સ, પીડીએફ ફાઈલ્સ, ફોટોગ્રાફ્સને encrypt (લૉક) કરી દે છે જે કી વગર ખૂલી શકતાં નથી. આ કી માલવેર જ્યાંથી મોકલવામાં આવ્યો હોય તે સર્વરમાં હોય છે. આટલું થયા પછી 72 કે 96 કલાકની અંદર અમુક તગડી રકમ ચૂકવીને બદલામાં ડેટાને decrypt કરવાની સૂચના આપતો મેસેજ સ્ક્રીન પર ઝળકે છે. રકમ ચૂકવ્યા પછી પણ ડેટા પાછો મળશે કે કેમ એની ખાતરી હોતી નથી. તમારું બાળક કિડનૅપ થયું હોય અને ખંડણી ચૂકવ્યા પછી મૃત હાલતમાં મળી આવે એના જેવી આ વાત છે. પેમેન્ટ ન કરવામાં આવે તો ડેટાને હંમેશા માટે ભૂલી જઈને સિસ્ટમ ફૉર્મેટ કરીને નવી ગિલ્લી, નવો દાવ શરૂ કરીને ફરીથી "દાવ" ન થઈ જાય એની સાવચેતી રાખ્યા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. પેમેન્ટ હમણાં ખાસ્સો વિવાદ જગાવનારી બિટકૉઈન કરન્સીમાં થતું હોવાથી ગુનેગારોના સગડ મેળવી શકાતા નથી.

તસ્વીર સૌજન્ય: ચિત્રલેખા


એ જ પાસવર્ડ મોકલી શકે, જેની સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ
એને કોઈ વાયરસ ના ભૂંસી શકે, જેના ચીર પૂરી આપે ઘનશ્યામ 

કૃષ્ણ દવેએ ભલે ભક્તિભાવપૂર્વક આવી પંક્તિઓ લખી, પણ આજના જમાનામાં ટ્રોજન, વર્મ, માલવેર, સ્પાયવેર, એડવેર જેવા જાતજાતનાં ડિજિટલ જંતુઓ કમ્પ્યૂટર પર ત્રાટકીને વેર લેવા માટે ટાંપીને બેઠા હોય ત્યારે કમ્પ્યૂટર ડેટાની સિક્યોરિટીના મામલે શ્યામ કે ઘનશ્યામ પર શ્રદ્ધા રાખીને નચિંત થઈ જવું પાલવે એમ નથી. 2013નાં પ્રથમ ત્રિમાસિક ગાળા (ક્વાર્ટર)માં વિશ્વવ્યાપી રોજનાં 100 અબજ સ્પામ ઈ-મેઈલ્સ મોકલવામાં આવ્યા હતાં. અત્યારે આ સંખ્યા ક્યાં પહોંચી હશે, રામ જાણે ! કોઈ ડેટિંગ સાઈટની લોભામણી જાહેરાતોમાં તમારા વિસ્તારમાં કેટલી રૂપકડી કન્યાઓ તમને મળવા માટે આતુર છે એનું ગુલાબી ચિત્ર બતાવીને શંકાસ્પદ લિંક પર ક્લિક કરાવીને સિસ્ટમનો એક્સેસ મેળવવા ટાંપીને બેઠાં છે. તો વળી કોઈ પારકા દેશમાં બધો માલ-સામાન લૂંટાઈ જવાને કારણે "કપરી" પરિસ્થિતિમાં તમારી પાસેથી આર્થિક મદદની આજીજી કરતો ઈમેઈલ કરીને તમને લૂંટવાની ફિરાકમાં છે. કોઈ ફેસબુક કે ટ્વિટર જેવી લોકપ્રિય સાઈટમાં પૉર્ન ક્લિપની લિંક પર ક્લિક કરાવવા માટે વિવશ કરીને સિસ્ટમમાં ભાંગફોડ કરવા માટે ઉત્સુક છે. 

લાલચ બુરી બલા હૈ એવી હિન્દી કહેવત સાયબરસ્પેસનો જમાનો નહોતો ત્યારે પણ અમથી પ્રચલિત થઈ હશે? ઈન્ટરનેટ પર શંકાસ્પદ વેબસાઈટ્સ, એપ્લિકેશન્સથી માંડીને ઈનબૉક્સમાં અનિચ્છાએ ઠલવાતાં સેંકડો સ્પામ સંદેશાઓમાં લબકારા મારતી દરેક લાલચની ઓથે વાયરસ નામની બલા છૂપાયેલી છે.  શરીરનું સ્વાસ્થ્ય બગાડતાં ફૂગ, બેક્ટેરિયા, વાયરસ, વર્મ એવા જાતજાતનાં સૂક્ષ્મજીવો હોય છે એ જ રીતે કમ્પ્યૂટર સિસ્ટમને ક્ષતિગ્રસ્ત કરતાં જંતુઓને ટ્રોજન, માલવેર, વર્મ, સ્પાયવેર, એડવેર જેવા લેબલ મળેલાં છે. સામાન્ય રીતે દરેકને વાયરસ જેવા કૉમન નામની એક જ લાકડીએ હાંકવામાં આવતા હોય છે પણ ડેટાનો હ્રાસ કરતી આ દરેકની 'હ્રાસ'લીલા અલગ અલગ છે!

ટ્રોજન એ જેન્યુઈન ઍપ્લિકેશન જેવો લાગતો અથવા પાછલા બારણેથી સિસ્ટમમાં અન્યોને ઘૂસ મારવામાં મદદ કરતો પ્રોગ્રામ છે જે વાયરસની જેમ રેપ્લિકેટ થતો નથી પણ એના જેટલો જ વિનાશક છે. જેમ ડાયાબિટીસનો રોગ એકવાર શરીરમાં પેસી ગયા પછી બીજા રોગો માટે દરવાજા મોકળા કરી આપે છે એ રીતે ટ્રોજન બદનિયત લોકોને કે પ્રોગ્રામને કમ્પ્યૂટરમાં ઍન્ટ્રી અપાવીને ગુપ્ત ડેટા ચોરવાની સહુલિયત કરી આપે છે. એટલે ટ્રોજનને ડેટાહારી વાયરસ કહી શકાય.  ટ્રોજન તો તેને રે કહીએ જે, ડેટા પરાયો તફડાવે રે !     

માલવેર એ વર્મ, વાયરસ, સ્પાયવેર, એડવેર વગેરેને સંયુક્તપણે વર્ણવવા માટે વપરાતો શબ્દ છે જે મલિશસ સોફ્ટવેર (Malicious Software)નું ટૂંકું રૂપ છે. કમ્પ્યૂટરનું માલફંક્શન (malfunction) સર્જતાં માલવેર સેંકડો છે, પણ કમ્પ્યૂટરને આજીવન ફર્સ્ટ ક્લાસ ચાલતું રાખવામાં મદદ કરે એવા 'કમાલ'વેર (એટલે કે કમાલનાં સોફ્ટવેર!) બહુ ઓછાં છે ! :P


ઍની વે... જેમ દરેક હકની સાથે દાવા હોય અને દરેક દર્દની એક દવા હોય એમ જ આ ક્રિપ્ટોલૉકર વાયરસને સિસ્ટમની બેન્ડ બજાવતાં રોકવા માટે પાણી પહેલાં પાળ પ્રકારનું એક સોફ્ટવેર નામે CryptoPrevent વિકસાવવામાં આવ્યું છે. બે-મોઢાળા રાજકારણીઓની જેમ ઈ-મેઈલ અટેચમેન્ટમાં વાયરસરૂપે મોકલાતી ડબલ એક્સટેન્શનવાળી શંકાસ્પદ ફાઈલ્સ (જેમ કે pdf.exe)ને અવરોધીને તે સિસ્ટમનું રક્ષણ કરે છે. જેમ એક મ્યાનમાં બે તલવાર રહી શકતી નથી અને એક જ ઘરમાં પત્ની અને શોક્ય બે સાથે રહે એ શક્ય હોતું નથી એ જ રીતે કમ્પ્યૂટરમાં એક ઑલરેડી ઈન્સ્ટૉલ કરેલા એન્ટીવાયરસ પ્રોગ્રામની સાથે બીજો કોઈ એન્ટીસ્પામ પ્રોગ્રામ સાથે મળીને સહકારપૂર્વક કામ કરી શકતાં નથી. પરંતુ CryptoPrevent સોફ્ટવેર તમારા એન્ટીવાયરસ પ્રોગ્રામને નડ્યા વિના શાંતિથી બૅકગ્રાઉન્ડમાં પોતાનું કામ કર્યા કરે છે.

ફિલહાલ તો CryptoLocker ચાંચિયા વાયરસથી ડેટા ગુમાવાની સાથે સાથે થતાં આર્થિક નુકસાનના અહેવાલ વાંચીને સ્ટાર ન્યુઝના સનસની કાર્યક્રમનાં દાઢીધારી એન્કર શ્રીવર્ધન ત્રિવેદી ગળું ફાડીને કાયમ બોલે છે એ સૂત્રનો અમલ કરવા જેવો છે: ચૈન સે સોના હૈ તો જાગ જાઓ!