Saturday, December 27, 2014

બાળવા મૂક્યાં મેં પત્રો એમના, આગમાં પણ ચમક આવી, માનશો? (नेहल मेहता)

વાત જો એક હું કરું ન્યારી, માનશો?
કલ્પના નહિ, વાત છે સાચી, માનશો?

એમણે સંવારી જુલ્ફો જો એમની,
ના શક્યો આફતને હું ટાળી, માનશો?

ઝુલ્ફથી એ દે વિસામો આશિકને જો,
તો કદી નાગણ બને કાળી, માનશો?

જ્યારે વર્ષા બિંદુ સ્પર્શ્યા બદને એના,
તો મદિરા થઈ ગયું પાણી, માનશો?

આશ એવી કે મળે એ જળ ચાખવા,
બુંદ મૃગજળની જરા આવી, માનશો?

સ્વાદ મૃગજળનો અનોખો એવો રહ્યો,
હું નથી પીતો અસલ પાણી, માનશો?

મેં લખીને મોકલી ગઝલો એમને,
દાદની સાથે મના આવી, માનશો?

નામ સાથે બસ તખલ્લુસ બાકી રહ્યું,
એ બધી ગઝલો ગયા તાણી, માનશો?

બાળવા મૂક્યાં મેં પત્રો જો એમના,
આગમાં પણ શું ચમક આવી, માનશો?

મતલબ અને મકસદના શેર ચંદ લખ તું!

છૂટે   નહીં   ક્યારેય   એ   સંગ   લખ   તું,
ને   ઊતરે   સ્હેજે   ન   એ   રંગ  લખ  તું.

ભેગું   થયું   પીડા   તણું   દળ   મનોમન,
કાગળ  લઈ  ચલ  આ કરુણ જંગ લખ તું.

સમતોલ    કરવા   દર્દના   ભારને   કોઇ,
ખુશહાલ   દિલનો   કોઇ   ઉમંગ લખ તું.

તય  હો  મિલન  ને તોય મળવા ન પામે,
ખંડિત  દિલોની  એ  સભા  ભંગ  લખ  તું.

ઓવારી  જાયે  જે  લઢણ  પર બધાં લોક,
એવી  કશી  ઢબ  લખ  તું  કે  ઢંગ લખ તું.

ટાગોર   પણ   પ્રગટે   વળી  કોઇ  કલમે,
સૌ  થાય  વશ, એવા શબદ બંગ લખ તું.

કરવા   અમારે   પણ   હવે   પાપ  થોડાં,
વર્જિત   ફળો   એકાદ  બે  નંગ  લખ  તું.

પાવક    નદીમાં   મારવી   ડૂબકી   એક,
ધોવાય   જેમાં   પાપ  એ  ગંગ  લખ  તું.

તૂટી   જતું   દિલ  કેમ  નાની  શી  વાતે?
જે  ઘાવ  સહે  એવું  સબળ  અંગ લખ તું.

Thursday, December 25, 2014

એના એક મોંઘેરા ઇશારા પર...

કહે  છે  કે  ઘણાં  બસ  હોય   છે   જો  નાચવા  માટે  સદા  તૈયાર   એના  એક  મોંઘેરા  ઇશારા  પર,
સુભાન  અલ્લાહ   કેવું   રૂપ   છે   એનું  કે  જોવા   એને   લોકો ક્યાં ચડે છે એક ઊંચેરા મિનારા પર!

બહુ  જૂનું  થયું  કે  લોક  ઓવારી  દે  પ્રેમિકાના   ગાલોના  કોઇ  તિલ  પર  સમરકંદ  અને બુખારા,
મને  એવા  વિચારો  આવે  છે  કે આપણે પણ કંઈ તો ઓવારી જઈએ ખુદ સમરકંદ ને બુખારા પર!

અહા!  એનો  ચહેરો   ચાંદ   જાણે   દાગ   વિનાનો,   એના  ચુંબનનો લાગે દાગ એવું કોણ ના ચાહે?
ધરા  પર   અવતરેલાં   આ  સવાયા ચાંદને જોતાં નજર જાયે નહીં ગગને ચમકતાં કો' સિતારા પર!

જવાનીનો  મહીં   જ્વર છે, વળી આ સુપ્ત દિલને તપ્ત કરવા હુસ્ન કેરા આ હુતાશનનાં તિખારા છે,
લગાડી  છે  જો  હૈયે  આગ  છૂપી  એક તિખારાએ, કરું શક તો કહો બેશક કરું શક કયા તિખારા પર?

જુઓ ધીખી રહ્યું છે પ્રેમ જ્વરથી દિલ, ધખાવી છે હવે તો બસ મેં એના નામની આ આજીવન ધૂણી,
હવે  તો  રાહ  જોવાઈ   રહી  છે  કે  શી   રીતે  વીતવાનું  આયખું  એને  પામવાના આ ધખારા પર?

નથી  લૂંટી   શકાતી   ખૂબસૂરતી   કે મળે છે બસ એ ખુદાની બદૌલત, આંતરિક છે એક એ દોલત, 
છતાંયે  લૂંટવો   હો   એ   ખજાનો  એમ   સૌ   કોઇની  મંડાઈ   છે નજરો ખૂબસૂરતીના પિટારા પર!

ન  હો  જો  હુસ્ન  દુનિયામાં,  હતાશા  ને  હતાશા  છે,  ધરા  પર  ચાંદ કેરો ટુકડો હો તો જ આશા છે,
કર્યું  જેણે  નથી  કુરબાન  દિલ  સૌંદર્ય  પર ક્યારેય કોઇ દી, મને લ્યાનત થતી એવા જિવારા પર!

PK ફિલ્મ વિશેના અવલોકનો

આખી ફિલ્મમાં આમીર પોતાનું એલિયનત્વ (કે એલિયનપણું/એલિયનતા?) અકબંધ જાળવી શક્યો છે એ ગમ્યું. માણસો સાથે ડાન્સિંગ સ્ટૅપ્સ લેતી વખતે પણ એ એનું એલિયનસહજ અકડાપણું બરકરાર રાખે છે. "હું, એલિયન, એલિયન થાઉં તો ઘણું!" એ કાવ્યપંક્તિને સાર્થક કરે એટલો સરસ અભિનય કર્યો છે. શાહરુખની "માય નેમ ઈઝ ખાન"માં ઘણાં દ્રશ્યોમાં પાત્ર પરની પકડ છૂટી જતાં શાહરૂખિયત ઉપસી આવી હતી એ ભૂલ અહીં આમીરે કરી નથી. 

અનુષ્કા ક્યુટ લાગે છે. એની હાજરીને કારણે વિરાટે અમુક મૅચોમાં મીંડા મૂકાવેલા એવા ક્રૂર આરોપોને નકારવાનું મન થાય એટલી બધી વ્હાલી લાગે છે. કોઈકે એના બૉયકટ જર્નાલિસ્ટિક લૂકને લીધે બરખા દત્ત સાથે ક્રૂર સરખામણી કરી હતી, પણ મને એ અસલી કાશ્મીરી પંડિતની ખૂબસૂરતી ધરાવતી નિધિ રાઝદાન જેવી વધારે લાગી. એને બરખા દત્ત સાથે સરખાવનારના દ્રષ્ટિકોણનો વી, ધ પીપલ ઑફ ઈન્ડિયાએ બૉયકૉટ કરવો જોઈએ. ફિલ્મમાં પચાવવી અઘરી લાગે એવી એક વાત ખરી કે હરિવંશરાય બચ્ચનના ફૅન અને પોતે પણ મૌલિક ગઝલ લખી જાણતો સુશાંત સિંઘ રાજપૂત જ્યારે તીવ્ર ત્વરાથી અનુષ્કાને પોતાના પ્રેમપાશમાં બાંધી લે છે ત્યારે મારા જેવા ઘણાં ભાવકોના અંતરમાં સાઈલેન્ટ ડૂસ્કાં નીકળે કે, "સાલું, આપણને બેફામ, ઘાયલ, ગની, મરીઝ, પ્લૅન્ટી ઑફ પાલનપુરીઝ સહિત કેટલાંય આધુનિક, અનુઆધુનિક શાયરોના શેર મોઢે છે તો આપણે કેમ કોઇ છોકરી સાથે આટલો જલદી સુમેળ સાધી શકતા નથી?" બની શકે કે કે સુશાંતે અનુષ્કાને સંભળાવેલો શેર "ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા" છંદમાં નિબદ્ધ હોય એટલે અનુષ્કાએ વધારે ચકાસણી કર્યા વિના ગાલ અને હોઠ ધરી દીધાં હોય ! 



એક દ્રશ્યમાં ભગવાનની ઘણી મૂર્તિઓ આગળ ગળગળા સાદે આમીર વિવિધ ધર્મોની પરસ્પર "કૂતરું તાણે ગામ ભણી ને શિયાળ તાણે સીમ ભણી" ટાઈપની વિરોધાભાસી વાતો વિશે સાચી મૂંઝવણભરેલી ફરિયાદ કરે છે ત્યારે મૂંગી નિર્જીવ મૂર્તિઓની નિસહાયતા આખા સિનેમા હૉલમાં ફરી વળતી હોય એવું લાગે છે. પૃથ્વી પરના ટ્રાફિક કે પક્ષીઓના કલરવને બદલે બધી કૅસેટોમાં અનુષ્કાના અવાજના રેકર્ડિંગવાળું સ્તબ્ધ કરી દેતું દ્રશ્ય હોય કે વૃદ્ધ પત્નીને પાર્ટી આપવા માટે ખોટું બહાનું કાઢીને પૈસા સેરવી જતાં સિનિયર સિટિઝનના હાથે જાણી જોઈને છેતરાવાનું દ્રશ્ય હોય, પીકે વર્ષના અંતે આવેલી સુંદર ફિલ્મ છે. 

આ ફિલ્મ જોઈને જ્વલનશીલ પૃષ્ઠભાગ ધરાવતાં અમુક મહાબળેશ્વરોને ચચરાટ થઈ રહ્યો છે કે આમાં બીજા ધર્મોની નબળાઈઓનો અછડતો ઉલ્લેખ છે, જ્યારે હિન્દુ ધર્મ પર વધારે પ્રહારો કરવામાં આવ્યા છે. સ્વાભાવિક છે કે દિગ્દર્શક જે ધર્મનો હોય એ ધર્મની ખામીઓથી એ સુપેરે પરિચિત હોય અને એને સારી રીતે પરદા પર રજૂ કરી શકે. બાકીના બીજા બધા ધર્મના દિગ્દર્શકોએ પોતપોતાના ધર્મોની ખામીઓ ઉઘાડી પાડતી ફિલ્મો બનાવવાનું બીડું ઝડપી લેવું જોઈએ. આયાતોલ્લાહ ખોમૈની અને પ્રવીણ તોગડિયાને એકસરખા પ્રમાણમાં નારાજ કરી શકે એવી સંતુલિત સૅક્યુલર સર્જનાત્મકતા કંઈ બધાની પાસે થોડી હોય? બાકી તો ફિલ્મની ટીકા કરતાં અમુક પેશેવર (પેશાવર નહિં યાર!) રિવ્યૂખોરોના અપડેટ્સ વાંચીને કાયમ લાગે છે કે ફિલ્મ નિર્માણની સમગ્ર પ્રક્રિયા દરમિયાન આ રિવ્યૂખોરોને દિગ્દર્શક સાથે રાખીને ચાલે અને એમના સલાહ-સૂચનોને માથે ચડાવે તો દર વર્ષે આપણને "બેસ્ટ ફોરેઈન લૅંગ્વેજ ફિલ્મ" કેટેગરીમાં ઓસ્કાર ઍવોર્ડ નિયમિત અપાવી શકતી હિન્દી ફિલ્મ અચૂક મળે!

ધર્માંધતા અને ધર્મઝનૂન પર પ્રહાર કરતી OMG કે પીકે જેવી સેંકડો ફિલ્મો બને તો પણ એમાં વ્યક્ત થતો સંદેશ મોટેભાગે તો શિવલિંગ પર ચડતા દૂધની જેમ કે પથ્થર પર પડતાં પાણીની જેમ એળે જ જતો હોય છે. છતાં, છાશવારે આવી ફિલ્મો બનતી રહે એ આવકાર્ય હોવા ઉપરાંત અનિવાર્ય પણ છે. ઍલિયનના યાનમાં બેસીને ઉપડી જતાં અને થોડાં સમય બાદ ફરીથી પૃથ્વી પર લટાર મારતા આમિરની જેમ ફિલ્મ સિનેમા હૉલમાંથી ઊડીને થોડાં મહિના બાદ ટીવી પર પ્રસારિત થશે. અત્યારે નહીં તો એ વખતે પણ સમય ફાળવીને જોવા જેવી ફિલ્મ છે.

Tuesday, November 11, 2014

માનું ત્યારે કે જનજીવન સાચે જ પડ્યું છે થાળે

માનું  ત્યારે  કે  જનજીવન  સાચે  જ  પડ્યું  છે  થાળે 
જોવા  પામું  પકવાન  કદી  શ્રમિક  ગરીબોના  થાળે 

આ  લોકોનાં  પ્રશ્નોમાં  કોને  પડવાનો  રસ  કોઇ  દિ, 
ખબર  તરીકે  એ  ચમકે બસ ક્યારે અખબાર મથાળે 

જોયો  છે  મેં  ક્યાંક  વિકાસ  ગગનચુંબી કોઇ મકાને, 
કેમ હજી એ આવ્યો જ નથી નીચેનાં એક પણ માળે? 

ફોકટ   જાહેરાતો   તો   બહુ   થાય   ગરીબોનાં  નામે 
કોઇ   કહેશે   કે   શું   આવ્યું  વાસ્તવમાં  એના  ફાળે? 

વાતો   થાય   ગરીબો   બાબત  ઠંડા  શીતળ  ખંડોમાં 
ને  રંક  બિચારાં  શ્રમ  કરતાં  ઊભાં  લૂ  તાપ વચાળે 

ગંદી   ગોબર  કો'  ગટરે  એ  જોખમ  લેતાં  ઊતરતાં 
સ્વચ્છતાના  આ  શિલ્પીઓના  ચરણો કોણ પખાળે? 

બદલાય  નહીં  રીત-રસમ  પોકળ  સરકારી કામોની 
સૌ   દરવાજા   છે   મોકળ   ને  ડૂચા  માર્યા  છે  ખાળે

Thursday, November 6, 2014

કવિતા અને છંદ વિષયક વિચારો

કવિતા લખવી અને પછી એને છંદમાં નિબદ્ધ કરવી એટલે લઘરવઘર છોકરીને એવી ટાપટીપ કરી આપવી કે જેથી લોકો એને ટગરટગર જોયા કરે. Writing a poetry and then setting it to a meter is like sprucing up an ungroomed woman in such an appealing way that no one can take their eyes off her. ગલી-મહોલ્લામાં મિત્રો સાથે ક્રિકેટ રમો એને આઈસીસીની માન્યતા ન મળે એમ કવિતાઓ છંદ વગર લખો તો એને સાહિત્યિક પ્રકાશનોની માન્યતા મળતી નથી.

સ્ત્રી અને કવિતામાં મને ઘણી સામ્યતા લાગે છે. સ્ત્રી એ ઈશ્વરે દૈહિક સ્વરૂપમાં સર્જેલી મરોડદાર, કમનીય કવિતા છે. A woman is a poetry in physically most aesthetic form ever. તો કવિતા એ પોતાની અભિવ્યક્તિ અને મિજાજને અનુરૂપ છંદના આભૂષણો લાવી આપે એવા કવિની સર્જકતાથી ઉદભવતી સ્ત્રી લાગે છે. સ્ત્રીને કેટલી દુકાનોમાં ફેરવીએ, સેલ્સમેન પાસે કબાટો ઉલેચાવીને જાતજાતનાં વસ્ત્રો, આભૂષણો, ઍક્સેસરીઝ જુએ ત્યારે માંડ એકાદ કૉમ્બિનેશન પસંદ પડે તો પડે એ જ રીતે આપણે રચેલી કવિતાને છંદના અસંખ્ય ઉદાહરણોમાંથી એકાદ લાગુ પડે તો પડે.

"ના કજરે કી ધાર, ના મોતિયોં કા હાર, ના કોઈ કિયા સિંગાર, ફિર ભી કિતની સુંદર હો..." મોહરા ફિલ્મના આ ગીતની જેમ ઘણી વખત છંદની ઝાંઝર કે અરુઝના આભૂષણો કે વર્ણમેળના વિશિષ્ટ વસ્ત્રો પહેર્યા વિના પણ કવિતા શોભી ઊઠતી હોય છે એમ ઘણી સ્ત્રીઓ ખાસ વસ્ત્રાભૂષણ વિના સાદગીમાં પણ ઓપી ઊઠતી હોય છે. ધસમસતી ઊર્મિઓના આવેગને છંદમાં નિબદ્ધ કરવાની કોશિશ એ જોબનવંતી કાયાને તસતસતાં કપડાં પહેરાવવા જેવું લાગે છે. આવે સમયે અનુભવાતી તાણ ઓછી કરવા માટે અછાંદસના ખુલ્લાં વસ્ત્રો પહેરાવવાથી કવિતાનો શબ્દશ્વાસ ગૂંગળાતો નથી.

હમણાં એક ફેસબુક મિત્રની વૉલ પર મુરબ્બી શ્રી દિલિપકુમાર એન. મહેતા સાથે છંદ બાબતે ટૂંકી પણ અર્થસભર ચર્ચા થઈ, એનો સ્નૅપશોટ નીચે જુઓ:



ત્રુટિ વિનાનું વ્યક્તિત્વ મળવું દુર્લભ છે તેમ છંદદોષ વિનાની ગઝલ મળવી મુશ્કેલ છે. ડાઘાં તો ચંદ્રને પણ હોય છે. કલંક સૂર્યમાં પણ ક્યાં નથી હોતાં? ગઝલને છંદનું એક નિષ્પ્રાણ ચોકઠું માત્ર બનાવતા અટકાવવી હોય તો ક્યારેક નાનીશી છૂટ લેવી પડે છે. કવિતા હોય કે સ્ત્રી, બંનેનું સ્વરૂપ જ એટલું આકર્ષક છે કે છૂટછાટ લેવા માટે મન ઉશ્કેરાટ અનુભવે!

Friday, October 31, 2014

કોશિશ કરી સૂવા ઘણી નીંદર છતાં આવે નહીં (નેહલ મહેતા)

કોશિશ  કરી  સૂવા  ઘણી  નીંદર છતાં આવે નહીં, 
બીમાર  મનને  સ્વપ્ન  કો'  કેમે  કરી  ભાવે  નહીં.

કડવાશ ફેલાતી ભલે જીવન તણાં આ પાત્રમાં, 
મધુરસ યદિ આપે મને તો ખાસ કૈં ભાવે નહીં. 

છૂપું  હશે  એમાં  પ્રયોજન  રત્નનાં  નિર્માણનું, 
કારણ વિના કો' દી અગન આંચે મને તાવે નહીં. 

રાખ્યો  સલામત  રામજીએ આપદામાં પણ મને, 
એની   કૃપાથી  કો'  મને  ચાખે  નહીં  ચાવે  નહીં.

હો  શક્ય  તો  ગવડાવ  મારા  ગીત કંઠે અન્યના, 
પીડા  સ્વયમ  મારી જ  આ ગાતાં મને ફાવે  નહીં.

(નેહલ મહેતા)

Wednesday, October 29, 2014

શબ્દો વિશે અછાંદસ કાવ્ય

શબ્દોથી કંટાળ્યો છું હવે
શબ્દોએ બહુ આશ આપી
શબ્દોએ બહુ પ્રાસ આપ્યા
શબ્દોએ બાહુપાશ આપ્યો

પણ........

જે કહેવા માંગતો હોઉં એ શબ્દો કહેવા દેતા નથી
લાગણીને સહજ રીતે શબ્દો વહેવા દેતા નથી
મૌન રહીને હું આંખોને જ બોલકી બનાવી લઉં
ઇચ્છાઓનો ઢંઢેરો પીટવાની ઢોલકી બનાવી લઉં
અને કંઈ બોલ્યા વિના જ 
મારું કામ થઈ જાય 
એવું બની ન શકે?

શબ્દમાં મને 'શબ' દેખાય છે, ઈરાદો કોઈ 'બદ' દેખાય છે
ગ્લિસરિન પી ગયેલા શબ્દો ગળગળાં અને ગદગદ દેખાય છે

કૂતરાનો માલિક એમ સમજે કે એ ખરેખર માલિક છે
પણ ખરેખર તો માલિક કૂતરા પાછળ 
ગુલામ બનીને ઢસડાતો હોય છે
એ જ રીતે શબ્દોને આપણે રમાડીએ છીએ કે
શબ્દો આપણને રમાડી જાય છે?
ગમતી વ્યક્તિને આપણાથી દૂર ભગાડી જાય છે?
અણગમતી વ્યક્તિને પરાણે ગમાડી જાય છે?

ફળ ખવાઈ ગયા પછી બાકી રહી ગયેલાં
લુખ્ખાં સુક્કાં ઠળિયાની જેમ
ઘણાં શબ્દો પોતાનું ઘનત્વ અને મમત્વ ગુમાવી ચૂક્યા છે
ગમે ત્યાં વાપરો, ગમે તેટલાં વાપરો તોય
આખરે તો ઠળિયાની જેમ મોળાં જ લાગે!

બાષ્પીભવન થઈ જતાં પ્રવાહીની જેમ
બધાં શબ્દો ક્યારેક શબ્દકોશમાંથી
એકસાથે હિજરત કરીને
અવ્યાખ્યેયના પ્રદેશમાં ચાલ્યા જાય તો કેવું?
પછી હું સ્તબ્ધતા, અવાકતા અને શૂન્યતાની
નવી નવી અર્થછાયાઓ
શબ્દકોશમાંથી નીકળી ગયેલાં શબ્દોના
અવશેષોમાં શોધ્યા કરું!

ઘણી વાર એમ થાય કે
પરણ્યા પછી નિ:સંતાન રહી ગયેલાં દંપતિની જેમ
હું પણ વાણી મળ્યા પછીયે રહી જાઉં
કાયમ માટે નિ:શબ્દ!

ઊલટી હો ગઈ હેપ્પી ન્યુ યર દેખ કે.....કુછ ના દવા ને કામ કિયા!

હેપ્પી ન્યુ યર એટલે ફરાહ ખાને પ્રેક્ષકો પર કરેલો દિમાગી ઊલટીનો અભિષેક. કદાચ ઝ્યાં પોલ સાર્ત્રની નોશિઆ (Nausea) કિતાબ વાંચતી વખતે પણ આટલાં ઉબકાં નહીં આવતા હોય. એમઆરઆઈ અને સીટી સ્કૅનના મશીનમાં પરીક્ષણ દરમિયાન આડા પડતાં જેટલી ગૂંગળામણ નહીં થતી હોય એટલી મણ મણની ગૂંગળામણ આ ફિલ્મ જોતાં સિનેમા હૉલમાં થઈ. પેલા મશીનમાં તો પરીક્ષણ માટે દાખલ થવું પડે અને એનું પરિણામ પણ મળે જ્યારે આ ફિલ્મ તો ત્રણ કલાક સુધી ધીરજ અને શાલીનતાની આકરી પરીક્ષા કરે છે. 

એઈટ પૅક ઍબ્ઝ, થોડી ઘણી બેબ્ઝ અને ઝાઝી એબ (ખામી)નો ભેગ થઈને આ ફિલ્મ બની છે. ભ્રષ્ટ માણસને પોતાના હાથ નીચે કામ કરતો માણસ તો પ્રામાણિક જ જોઈએ એમ સ્થૂળકાય ડિરેક્ટરને ફિલ્મમાં હીરો તો પાછો પૅક-પ્રચૂર જ જોઈએ. જંક અને પંક (ગુજરાતીમાં પંક એટલે કીચડ અને અંગ્રેજીમાં punk એટલે ઘટિયા) જેવી ફિલ્મો બનાવો અને બે હજાર ટંકના રોટલા ખાઓ. 

ઓમ શાંતિ ઓમમાં જય ભારત મનોજ કુમારની મજાક ઉડાવીને સંતોષ ન થયો તો અહીં સરોજ ખાન જેવા સન્માનનીય કોરિયોગ્રાફરની આપત્તિજનક ઠેકડી ઉડાવવામાં આવી છે. ભાઈ-બહેન (ફરાહ-સાજીદ)નો ધંધો જ ગામ આખાની મજાક કરવા પર ચાલતો હોય એવું લાગે છે. બોલીવૂડમાં જેમને જોઈને આદર થાય એવી ભાઈ-બહેનની જોડી ઝોયા અને ફરહાનની કહેવાય. પણ અખ્તર બેલડી સામે મુકાબલો કરવાનું ગજું ખાન જોડીનું નથી.

દીપિકા બેહદ ચીપ ચીપ ચીપિકા લાગે છે. સુંદરલાલ બહુગુણાએ વૃક્ષો બચાવવા ચીપકો આંદોલન કરેલું. દીપિકાએ આખી ફિલ્મમાં ચીપિકાની જેમ ડોલન કર્યું છે. ઘણાં દ્રશ્યોમાં દીપિકાની હાજરીથી અજાણ શાહરૂખ એના માટે જે ખરાબ શબ્દો વાપરે છે એને એ સાર્થક કરવા માંગતી હશે. દુ:ખ એ વાતનું થાય કે શું કમર્શિઆલાઈઝેશન એટલી હદ સુધી વકરી ચૂક્યું છે કે પ્રતિભાશાળી કલાકારો આ હદે વેડફાવા માટે તૈયાર થાય?

આ ફિલ્મ જોવા કરતાં તો આણંદના આસપાસના ગામોમાંથી ટ્રેક્ટરો ભરીને લક્ષ્મી ટૉકિઝમાં આવતા અનુસૂચિત જાતિ/જનજાતિના લોકો સાથે બેસીને "કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી" જેવી લાઈવ ફિલ્મ જોઈ હોત તો એ અનુભવ વધારે સુખદ બની રહેત. ઉર્દૂ શાયર મીર તકી મીરની એક પ્રખ્યાત ગઝલના મત્લાની પ્રથમ પંક્તિ "ઉલ્ટી હો ગઈ સબ તદબીરેં..... કુછ ના દવાને કામ કિયા..." એને બદલીને કહી શકાય કે "ઊલટી હો ગઈ હેપ્પી ન્યુ યર દેખ કે.....કુછ ના દવા ને કામ કિયા!"

અત્યાર સુધી આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર 123 કરોડ કમાઈ ચૂકી છે એ જોતાં કહી શકાય કે, "જેમ સત્ય બૂટની દોરી બાંધવા ફાંફા મારતું હોય ત્યાં સુધીમાં જૂઠ આખી દુનિયામાં ફરી વળે છે એ જ રીતે વિવેચકો રિવ્યુ લખવાની શરૂઆત કરે એ પહેલાં જ અમુક ફિલ્મો નકરો વકરો રળી લે છે."

Tuesday, October 28, 2014

કસરત : શરીરનો કસ કાઢવામાં રત રહેવાની ક્રિયા

અશ્વગધ્ધા: અશ્વ જેવી દોડવાની શક્તિ અને ગધેડાની જેમ લાત મારવાની શક્તિ આપતી દવા. અશ્વગંધાનું સુધારેલું સંસ્કરણ છે.

ઑક્સિમોરોન (Oxymoron): જે મોરોન (મૂર્ખ વ્યક્તિ)ને બુદ્ધિના ઑક્સિજનની જરૂર હોય તેને ઑક્સિમોરોન કહે છે.

કસરત: બૉડીબિલ્ડર બનવા માટે શરીરનો કસ કાઢવામાં રત રહેવાની ક્રિયા. જીમના સંચાલકો ઊંચી ફી વસૂલીને મૅમ્બરનો કસ કાઢવામાં રત હોય છે.

ઘેરસમજ: ગેરસમજ કરતાં અલગ પરિસ્થિતિ છે. અતાર્કિક ફિલ્મો કે કળાકૃતિઓમાંથી પસાર થતી વખતે સમજ ઘેર ગિરવે મૂકી દેવી પડે તેને ઘેરસમજ કહે છે.

ચોરપર્સન: કોઈ કંપનીના વડા કે અધ્યક્ષને ચેરપર્સન કહેવાય તો ચોરી કરતી વ્યક્તિને ચોરપર્સન કહેવાય?

જનરેશન: જન એટલે કે લોકોને આપવામાં આવતું રેશન.

ઝપ્પીદાસ: જાદુની ઝપ્પી આપવાની શોખીન વ્યક્તિ.

ટ્રાન્સલેશન (Translation): બાળક સ્કૂલનું લેસન કરતી વખતે ટ્રાન્સ (Trance: સમાધિ)માં આવી જાય તેને ટ્રાન્સલેશન કહે છે.

દિગ્ગજ: કોઈપણ વિષયમાં ઊંડું ડિગ (dig) કરવામાં, ખોદવામાં જેનો ગજ વાગતો હોય તેવી વ્યક્તિ. 

નાજનીન: મૃત્યુ પછી જેના જનીન સાચવી રાખવાનું મન થાય એવી અત્યંત ખૂબસૂરત સ્ત્રી.

પપ્પીદાસ: ઈમરાન હાશ્મીની જેમ પપ્પી કરવાની શોખીન વ્યક્તિ.

બોરિંગ ટોન: સાંભળતાં કંટાળો આવે એવો મોબાઈલનો રિંગ ટોન.

મૂર્ધન્ય: ડેમી મૂર જેવી અભિનેત્રીને પામીને ધન્ય બનેલો પુરુષ.

મોડેસ્ટ/લેટેસ્ટ (Modest/Latest): સૌથી મોડાં કે લેટ આવનાર માટેના સમાનાર્થી શબ્દો.

સાપુતારા: અહીં વરસો પહેલાં સાપોના ઉતારા હોવાનું મનાય છે.

Wednesday, October 22, 2014

મોનો ઈમેજ કાવ્યો ભાગ-3

(1)
મફત ભેટસોગાદો માટે
અંગ્રેજી મેગેઝિનોના લવાજમ 
ભરતો એક વાચક પોતે
અંગ્રેજીમાં લખવાના
વિચારો કરવા લાગ્યો

(2)
જાણીતા પણ અણગમતાં
મહેમાનો જેવી
બીમારી
5-7 દિવસ શરીરમાં રહીને
ચાલી જાય છે

(3)
થોર એટલે
ગુલાબના અંગરક્ષક બનવા માટે
ઘસીને ના પાડી દેવા બદલ
રણમાં તડીપાર થવાની
સજા ભોગવતો છોડ!

(4)
સમુદ્રના કિનારા પર
છીપલામાંથી મળી આવી છે
મત્સ્યકન્યાની વપરાયેલી
નેઈલ પૉલિશ અને લિપસ્ટિક

(5)
ફિલ્મની હિરોઈન પર
સ્નાનનું દ્રશ્ય ફિલ્માવવામાં આવે
ત્યારે સ્નાનાગાર 
પણ બની જાય
પ્રેક્ષાગાર!

(6)
ઉપયોગી અને જરૂરી
ઈ-મેઈલ્સ ક્યારેક
સ્પામ ફોલ્ડરમાં ચાલ્યા જાય એમ
એની શક્તિઓ
ખોટા માર્ગે વેડફાઈ રહી છે

(7)
વૃક્ષને કોઈ ભેટવા આવતું નથી
એટલે પાસે ઊભેલાં
બીજા વૃક્ષના જમીનમાં ઊંડા ઉતરેલાં
મૂળિયાં સાથે પોતાના મૂળિયાંથી
એ શેક હેન્ડ કરે છે

(8)
સવારથી સાંજ સુધી
મંદિરમાં દર્શનાર્થીઓ આવીને
કરે ઘંટનાદ
મંદિર બંધ થતાં
પૂજારી બની જાય ઘંટ !

(9)
એક અણઘડ માછલી
દરિયામાં પરસેવો પાડીને
તરતા શીખવાની
તાલીમ લઈ રહી છે

(10)
ફિલ્મી હીરોના
ડુપ્લિકેટ એટલે
અસલી ઘરેણાંની
ઈમિટેશન જ્વેલરી

Tuesday, October 21, 2014

થોડાં વધુ મનમોજી મોનો-ઈમેજ કાવ્યો

(1)
એવી રીતે એણે 
મારો ફોન કાપી નાંખ્યો
જાણે આપઘાત કરવા માટે
કોઈ ધોરી નસ કાપે!

(2)
રાત્રે મારેલા ઉંદરને સવારે
આવેલા તાજા દૂધમાં ક્રશ કરી
એક બિલાડી પીએ છે
નૉન વેજ થિક શેક !

(3)
દુકાનદારો, કારીગરો
બધાને જરૂરી રકમ ચૂકવાઈ ગઈ
દિવાળી પહેલાં જ મારું ભારેખમ 
પાકીટ ડાયેટિંગ કરીને
સ્લિમ થયું

(4)
ધનતેરસે ધનતરસ્યું પાકીટ
પોતાની ભૂખ તરસ ભાંગવા
મારી પાસે
ATMમાંથી
કડકડતી નોટો કઢાવે

(5)
આઈટમ નંબર કરવા
વલવલતી રાખી સાવંતની જેમ
એક નવોદિત પોતાનું પુસ્તક
છપાવવા 
વલખાં મારી રહ્યો છે!

(6)
કાળની કબરમાં દટાયેલી
કૃતિને ખોદી કાઢીને
ઘોરખોદિયા જેવા વિવેચકો
આવી પહોંચ્યા છે
વિવેચન કરવા!

(7)
એક કાગળ બિલોરી કાચને
દોસ્ત માનીને ઝીલે છે
સૂર્યને નાના ટપકાં તરીકે
અને બળીને ખાખ થઈ જવાની
સજા મેળવે છે

(8)
અરેન્જ્ડ મેરેજ એટલે 
સમય થતાં પ્રતીક્ષાના ઝાડ 
નીચે બેઠાં બેઠાં ઝોળીમાં 
આપોઆપ આવી પડેલું 
પક્વ ફળ 

અને 

લવ મેરેજ એટલે 
નિયમો અને પરિણામોની 
ચિંતા કર્યા વગર 
ઝાડ પર ચડવાનું 
જોખમ લઈને તોડેલું ફળ

(9)
આંખમાંથી આંસુઓનું 
ઝરણું ફૂટે છે
થોડે દૂર વહેતી નદી સાથે વહીને
મહાસાગરમાં 
વિલીન થવા માટે!

(10)
સ્કૂલમાં જ્યારે
અઠવાડિયે એક દિવસ
ગણવેશ વિના આવવાની
છૂટ અપાય ત્યારે
બની જાય સૌ બાળકો
રંગબેરંગી પતંગિયાં!

(11)
દિવાળીએ પરાણે કોડિયાં
આપી જતાં અને
આંગણામાં ચોપાનિયા 
નાખી જતાં લોકો
મને ઈનબૉક્સમાં આવેલા
સ્પામ મેઈલ જેવા લાગે છે!

(12)
એક છોકરી મોબાઈલમાં 
ક્યારની મોઢું 
નાંખીને બેઠી છે
તરસ્યું હરણ નદી કિનારે
ડોક નમાવે એમ!

Monday, October 20, 2014

મનમોજી ઉપ્સ....મોનો-ઈમેજ કાવ્યો

ડૉ. મધુભાઈ કોઠારી લિખિત આધુનિક કવિતાનો ચહેરો પુસ્તક હમણાં વાંચવાનું ચાલે છે. એમાં મોનો ઈમેજ કહેવાતાં અને છંદના બંધનથી મુક્ત પાંચ-છ કડીનાં લઘુકાવ્યો વિશે વાંચવાની મોજ પડી. મોનો ઈમેજ કાવ્યોનું સ્ટ્રક્ચર જોતાં એ બૃહદ હાઈકુ અથવા મિનિ અછાંદસ કાવ્ય જેવું લાગે. ગુજરાતીમાં મધુ કોઠારી, રમેશ આચાર્ય, હસમુખ પટેલ, આનંદ મહેતા, ગિરીન જોષી, ભાનુપ્રસાદ પંડ્યા, મફત ઓઝા, આશિત હૈદરાબાદી વગેરે કવિઓએ મોનો ઈમેજ કાવ્યોના અસરકારક પ્રયોગો કર્યા છે. મોનો ઈમેજ કાવ્યોને સમજવા માટે પુસ્તકમાંથી એક પરિચ્છેદ ઉદ્ધૃત કરું છું:

હાઈકુની જેમ મોનો-ઈમેજમાં પણ લાઘવ ઉપર ભાર મૂકાય છે. મોનો-ઈમેજ અછાંદસમાં ઢળાતું હોવાથી કવિ અનિયંત્રિત બની જાય તેવો સંભવ બહુ રહે છે. તેથી સામાન્ય રીતે 5થી 6 કંડિકાઓમાં મોનો-ઈમેજ કાવ્ય રચવાનો ઉપક્રમ હોય છે. હાઈકુની જેમ મોનો-ઈમેજમાં પણ ચિત્રાત્મક શબ્દાવલિ હોય છે. જો કે મોનો-ઈમેજમાં માત્ર દ્રશ્ય-કલ્પનો જ નથી હોતાં, શ્રવણ અને ત્વક્ કલ્પનો પણ હોય છે. દા.ત. માછલી, વૃક્ષ, ફૂલ, મૃગજળ, સૂર્ય વગેરે દ્રશ્યકલ્પનો પર મોનો ઈમેજ રચાયાં છે. તો બરફ, થોર, તડકો જેવા ત્વચાને લગતા મોનો ઈમેજ પણ રચાયાં છે.

કવિ આશિત હૈદરાબાદી બંદૂકમાંથી વછૂટતી ગોળીને કઈ રીતે મોનો ઈમેજ કાવ્યમાં વર્ણવે છે એનું ઉદાહરણ:

ગોળી ઊડીને આવે છે
પરીઓની પાંખે
અને
ઊઘડી જાય છે
અજાણ લોકોના દરવાજા!

નાક વિશે ભાનુપ્રસાદ પંડ્યાનું મોનો ઈમેજ કાવ્ય:

વેંઢારી રહ્યા છે 
સૌથી લાંબુ નાક
એટલે શું પૂજાવિધિમાં
સ્થપાયા છે
અગ્રસ્થાને ગણપતિ?

થોડાંક કાવ્યોમાંથી પસાર થયા બાદ વિવિધ કલ્પનોની છબીઓ મારી નજરમાં આવી અને મેં પણ આવા કાવ્યો લખવાનો પ્રયાસ કર્યો. પ્રસ્તુત છે મારી મનમોજી...ઉપ્સ...મોનો ઈમેજ રચનાઓ:

(1)
રંગ ઊડી ગયેલા
ઘૂંટણે ફાટેલાં જીન્સ જેવા
મારા જીવનને
દુનિયા ફૅશનમાં ખપાવી
વાહવાહ કરે છે!

(2)
કસ્ટમમાં ઝડપાયો છે
સોનેરી કાવ્યોનો જથ્થો
તમે જ કહો
કવિને શું સજા કરીએ?

(3)
સવાર સાંજ બબ્બે કલાક 
મૃગજળનો નિયમિત સપ્લાય
આપે છે મને
ઠાલાં વચનોની નગરપાલિકા

(4)
પાણીથી લથબથ સ્પોન્જ જેવા
વાદળને નીચોવી
સ્વર્ગની બારીના કાચ
લૂછતી અપ્સરા
મેં હમણાં જ જોઈ!

(5)
મહેલની દીવાલોના કાનમાં
ઝીલાયેલો ઇતિહાસ
પૂર્વગ્રહોથી મુક્ત થઈ
નવેસરથી લખાવા ઇચ્છે છે
કોઈ સંનિષ્ઠ અભ્યાસુની કલમે

(6)
સમુદ્રના એક કાંઠેથી
મોજાં દોટ મૂકે છે
સામે કાંઠે રેતીમાં આળોટતી
ઉઘાડી યૌવનાની કાયાને અડીને
આબમાંથી શરાબ બનવાની
રેસમાં !

Thursday, October 16, 2014

"હું, ચંદ્રકાંત બક્ષી" રિટર્ન્સ !

12 ઑક્ટોબર 2014નાં રોજ માદરવતન આણંદમાં ધીરજલાલ શાહ ટાઉનહૉલ ખાતે "હું, ચંદ્રકાંત બક્ષી" નાટકનું મંચન થઈ ગયું. 'બે યાર' ફિલ્મને કારણે પ્રતીક ગાંધીની ખ્યાતિ સર્વત્ર પ્રસરી છે અને હાલમાં આ ફિલ્મ હજી આણંદ આઈનોક્સમાં ચાલી રહી છે એના એક એડવાન્ટેજના કારણે આણંદ જેવા પ્રમાણમાં બિનસાહિત્યિક અને બિનકલાત્મક સ્થળે 270 લોકો નાટક જોવા આવ્યા એ સંપૂર્ણ નહીં તોયે સારી એવી સફળતા ગણી શકાય. એકાદ મહિના અગાઉ જાહેરાત થઈ કે તરત પહેલવહેલું બૂકિંગ મારા તરફથી જ આવ્યું.

ટાઉનહૉલમાં ઠીકઠીક કહી શકાય એટલાં કાર્યક્રમો જોયા છે. અહીં કે.લાલનો સુપર હાઉસફુલ શો જોયો હતો જેમાં ટિકિટ ન મળતાં એક મિત્રને વીલે મોઢે પાછું જવું પડ્યું હતું. અહીં મંગલ જાદુગરનો શો પણ જોયો હતો. મંગલનું પ્રભાવશાળી પરફોર્મન્સ અને ઈમેજ હજી નજર સામે તરવરે છે. અહીં યુથ ફેસ્ટિવલની નાચ-ગાનની ઍક્ટ જોઈ હતી, અહીં 2001ના ભૂકંપ બાદ યોજાયેલ પુરુષોત્તમ ઉપાધ્યાયનો કાર્યક્રમ માણ્યો હતો અને અહીં દામોદાર રામદાસી અભિનિત 'યોદ્ધા સંન્યાસી વિવેકાનંદ' એકાંકી નાટક જોયું હતું.

'વાણિયા પ્રભુના ભાણિયા' જેવા નપાણિયા નાટકો પણ ટાઉનહૉલમાં ભજવાઈ ચૂક્યા છે. અમારા આણંદ-વિદ્યાનગરમાં શાસ્ત્રીય સંગીત સહિતના કોઈપણ ભારેખમ ઊંચા ટેસ્ટવાળા કાર્યક્રમનું આયોજન કરવું એ છીછરા પાણીમાં હોવરક્રાફ્ટ હંકારવા જેવો ઉદ્યમ છે. એ સંજોગોમાં, 'હું, ચંદ્રકાંત બક્ષી' નાટકને મળેલો સારો પ્રતિસાદ આશ્ચર્ય આપી ગયો. કલાકાર પ્રતીક ગાંધીએ બહુ સ્માર્ટ ટિપ્પણી કરી કે 'હું, ચંદ્રકાંત બક્ષી' નાટકને કારણે મને 'બે યાર'માં ભૂમિકા મળી અને હવે 'બે યાર'ને લીધે લોકો મને 'હું, ચંદ્રકાંત બક્ષી'માં જોવા આવે છે. નાટક પૂરું થયા બાદ હું મારી અર્ધાંગિની વિધિ સાથે પ્રતીક ગાંધીને મળવા ગયો ત્યારે એમને મળવા આવેલી કેટલીક કૉલેજીયન છોકરીઓને પ્રતીકભાઈએ પૂછ્યું કે, "તમે લોકોએ બક્ષીબાબુનું કશું વાંચ્યું છે?" ત્યારે છોકરીઓએ હાસ્ય વેરતાં નકારમાં જવાબ આપ્યો એ બતાવે છે કે ખાસ પ્રતીક ગાંધીને જોવાની જિજ્ઞાસા સાથે આવનારો એક વર્ગ હતો.

જુલાઈ 2013માં અમદાવાદના પ્રીતમનગર અખાડામાં રંગમંડલ દ્વારા આ નાટકનું મંચન જોઈ ચૂક્યો છું એટલે મારા માટે ખાસ કંઈ નવું ન હતું, પરંતુ એ વખતે પત્નીની પ્રસૂતિને બે દિવસ જ થયા હોવાથી એ આ નાટક જોવાનું ચૂકી ગઈ હતી. મારા બક્ષીપ્રેમથી કુતૂહલ અનુભવતી પત્નીને નાટક ન જોઈ શક્યાનો વસવસો રહી ગયો હતો અને છેવટે એકાદ વર્ષ બાદ એની ઇચ્છા પૂરી થઈ. અમદાવાદમાં જોયેલા શો વિશે એક બ્લૉગ પોસ્ટ પણ લખી હતી જેની લિંક આ રહી: http://mehtanehal.blogspot.in/2013/07/blog-post_23.html

હમશહર મિત્ર અને આણંદના સરદાર ગુર્જરી અખબારમાં 'મનોગ્રામ' કૉલમ લખતાં મેઘા જોશી, ચિત્રકાર કનુભાઈ પટેલ, કવિ જયેન્દ્ર શેખડીવાળા વગેરે હાજર રહ્યા હતાં. લેખક-દિગ્દર્શક શિશિર રામાવત અને મનોજ જોશી દેખાયા નહીં. નાટક દરમિયાન ક્યાંક ક્યાંક ખોટી જગ્યાએ હસતાં અને તાળીઓ પાડતાં પ્રેક્ષકો બક્ષીબાબુ જેવી વિરાટ પ્રતિભા અંગે અજ્ઞાન અને અણસમજ પ્રગટ કરતાં હોય એવું લાગ્યું. નેવરધલેસ, સમગ્રતયા જહેમતપૂર્વકનાં સુંદર આયોજન બદલ મિત્ર ભગીરથ જોગિયા અને દેવ કરંગિયાને અભિનંદન !

Friday, October 10, 2014

નિસર્ગલીલા અનંત : જયેન્દ્ર ત્રિવેદીનો સંસ્મરણાત્મક નિબંધ સંગ્રહ

આ બ્લૉગ નિયમિત વાંચતા હશો તો 14 સપ્ટેમ્બર 2014નાં રોજ સૌરભ શાહના નિબંધ સંગ્રહો વિશે એક પોસ્ટ લખી હતી એમાં જયેન્દ્ર ત્રિવેદીના સંસ્મરણાત્મક નિબંધ સંગ્રહ નિસર્ગલીલા અનંતની એમણે કરેલી પ્રશંસાનો ઉલ્લેખ હતો અને એ મંગાવવા માટેની લિંક આપી હતી એ યાદ હશે. એકાદ મહિના પહેલાં મંગાવેલો આ સંગ્રહ આજે સવારે વહેલા જાગીને વાંચ્યો અને બપોર સુધીમાં પૂરો કર્યો. સૌપ્રથમ તો આવા અદભુત પુસ્તકનો રેફરન્સ આપવા બદલ સૌરભ શાહનો જેટલો આભાર માનીએ એટલો ઓછો.

ભાવનગરમાં આંબાવાડી વિસ્તારમાં પંદરસો વારના જમીનના ટુકડા પર આવેલા લેખકના મકાનનું નામ 'નિસર્ગ' છે અને નિસર્ગલીલા અનંત એટલે આ નૈસર્ગિક આવાસના આસપાસના વાતાવરણ સાથેના ચૈતસિક સંબંધની અનુભૂતિ કરાવતું અને વાચનના દરેક રસિકે અચૂકપણે વાંચવા જેવું પુસ્તક. નેવુંના દાયકામાં નવનીત સમર્પણમાં આ લેખશ્રેણી પ્રકાશિત થઈ હતી. 

નિસર્ગલીલા અનંતમાં શું છે? અહીં ખિસકોલી બહેન સાથે કોબ્રાલાલનું સહઅસ્તિત્વ છે, પર્ણો અને વૃક્ષ વચ્ચેનો સંવાદ છે, ચુસ્ત નાઝી સૈનિક સાથે સરખાવવામાં આવેલા મંકોડા છે, વીંછી કરડ્યાની વેદનાનું રોચક વર્ણન છે, કીડીઓ પર એક મસ્ત વિસ્તારપૂર્વકનું પ્રકરણ છે, વનસ્પતિઓ-ઔષધિઓના ઉલ્લેખો છે, પર્ણોનું અધ્યયન કરવા માટેના દુર્લભ પુસ્તકનો રેફરન્સ છે, નવનીત સમર્પણમાં કીડી વિશે લેખ લખવાથી પોતાની સિનિયોરીટી જોખમાતાં ગુસ્સે ભરાયેલાં મંકોડાએ લેખકને ચટકો ભરીને ટીપું લોહી કાઢ્યું એનો હળવી શૈલીમાં લખાયેલો મસ્ત લેખ છે, વિવિધ પક્ષીઓના ગાન પરનો એક લેખ છે, બે-ચાર ઢેલને લઈને નિસર્ગમાં ચણવાં આવી જતાં મયૂર મહારાજ છે, ગાય અને બુલબુલના આઈ.ક્યુ.ની સરખામણી કરતો રમૂજી પ્રસંગ છે, સરગવા પર રહીને શુદ્ધ શાકાહારી વૈષ્ણવજન લાગતી ખિસકોલી છે તો ફૂદાંઓને ચાંઉ કરી જઈને જુગુપ્સા જન્માવતી ગરોળી પણ છે.

દરેક પ્રકરણમાં લેખની વચ્ચે વચ્ચે વિવિધ કવિઓની ભાવોચિત પંક્તિઓ વાચનને વધુ રસપ્રદ બનાવે છે. જેમ કે, લાભશંકર રાવળ, આદિલ મન્સૂરી, સુમિત્રાનંદન પંત, સૂરદાસ, પ્રહલાદ પારેખ, આધુનિક હિન્દી કવિ દેવ, નરસિંહ મહેતા, નીનુ મજુમદાર, માખનલાલ ચતુર્વેદી, મકરન્દ દવે, દેવજી મોઢા, હરિવંશરાય બચ્ચન. તો હિન્દીના પ્રયોગશીલ વાર્તાકાર જૈનેન્દ્રકુમારની 'તત્સત' વાર્તા મરવીન સ્કીપરની મીટિંગ પૂલની યાદ અપાવે છે જેના વિશે જય વસાવડાએ એક અલાયદો લેખ લખ્યા બાદ તરત લોકમિલાપ પ્રકાશને "તળાવડીને આરે" નામે એનો સંક્ષિપ્ત ભાવાનુવાદ પ્રગટ કર્યો હતો.  

કુલ પૃષ્ઠ સંખ્યા: 92, પ્રાપ્તિસ્થાન: http://imusti.com/#!/books/book/6437/Nisargleela-Anant

હંમેશની આદત મુજબ પુસ્તકમાંથી ગમેલાં લખાણનો શક્ય એટલો ટૂંકમાં આસ્વાદ કરાવીને રજા લઈશ:

(1) વીંછી કરડવાની વેદના:

મને નાનપણમાં બે વાર વીંછી કરડ્યા છે. કાળી વેદના થાય. પિતાજીની દવા તરત રાહત આપે. વારતહેવારે આંગણામાં રાસડા લેવાય તેમાં 'હંબો હંબો વિછુડો'નું લોકગીત જામે. 'લાકડાં વીણવા ગઈ'તી ને વિંછુડે ચટકાવી, હંબો હંબો વિંછુડો.' પછી વીંછીનું ઝેર ઊતરે જ નહીં. સસરો આવે, જેઠ આવે, દિયર આવે પણ ઝેર ન ઊતરે અને 'પરણ્યો' આવે કે પટ દઈને ઊતરી જાય! જાતીય સભાનપણું એ વયે વિકસેલું નહીં એટલે વિંછુડો એ શેનું પ્રતીક છે એની ગતાગમ પણ ન પડે. પણ ઢાળ યાદ રહી જાય અને વીંછી કરડ્યાની વેદના સ્વાનુભવની એટલે પીડાની વાત સમજાય પણ આ પીડા 'પરણ્યા'ના આવવાથી શમે તે સમજાય નહીં. મને તો બાપુજીના મલમથી જ પીડા શમી જતી! આમ નિસર્ગ સાથે જ બાળપણ વીત્યું, કૌમાર્ય વીત્યું અને યૌવન જામ્યું અને સાહિત્યશોખ વિકસ્યો અને 16, રેલવે દવાઘર, ભાવનગર પરાથી રવાના થયેલા લેખો, વાર્તા વગેરે 'ફૂલછાબ' કે 'જીવનપ્રકાશ' કે એવાં સામયિકોમાં છપાવા માંડ્યાં એટલે છપાવવાનો વિંછુડો કરડ્યો જેની પીડા આજ સુધી ભોગવું છું. (પાન નં. 14)

(2) સુરેશ જોષી વિશે:

સુરેશ જોષી વારંવાર કહેતા કે જેમ ઘો મરવાની થાય ત્યારે વાઘરી વાડે જાય તેમ કવિતા મરવાની થાય ત્યારે પાઠ્યપુસ્તકમાં પસંદગી પામે! સુરેશ જોષી મારી માનીતી વ્યક્તિ હતા. તેમને પણ 'નિસર્ગ' પ્રિય હતું. નિસર્ગમાં બેઠાં બેઠાં મેં તેમની સાથે ખૂબ ગોષ્ઠીઓ, ક્યારેક તો ખૂબ અંગત ગણાય તેવી ગોષ્ઠીઓ - તેમના ગમા-અણગમાની તેજ ધારને સ્પર્શતી ગોષ્ઠીઓ કરી છે. પણ પ્રભુ તેમના આત્માને શાંતિ આપે, કવિતા વિષેનું તેમનું વિધાન તેમના ઘણાં આત્યંતિક વિધાનો જેવું જ લાગ્યું છે. મારો તો અનુભવ છે કે કવિતા વર્ગમાં ભણાવાય ત્યારે તે પાઠ્યપુસ્તકમાંથી બહાર નીકળી વર્ગને ખરેખર સ્વર્ગ બનાવે છે. એમાંય જ્યારે કવિએ જે ક્ષણે કવિતા લખી હોય તે ક્ષણ સાથે અધ્યાપકની વેવ-લેન્થ જોડાઈ જાય ત્યારે તો જનાન્તિકે જનાન્તિકે રહેતું નથી અને વિદ્યાર્થી અને અધ્યાપક કોઈ અન્ય લોકમાં ખોવાઈ જાય છે. (પાન નં. 16) 

નોંધ: સુરેશ જોષીની કવિતા વિશેની વાતથી બક્ષીબાબુની પેલી વાત યાદ આવી કે ખરાબ, વાસી, સડેલું લખાણ ગુજરાતી સાહિત્યના ઈનામોને લાયક થઈ જાય છે? 

(3) શિક્ષણપદ્ધત્તિ વિશે:

જડ લાકડા પર બેઠેલ ચેતનવંતા બાળકોના દિમાગને જડ શિક્ષણપદ્ધત્તિથી ભણાવતાં ભણાવતાં ઉજ્જડ બનાવી દેતા ભારતીય પગારખાઉ શિક્ષકોને માની છાતીએ દૂધ ચડે તેમ ભણાવવાનું પોરસ ચડે એવી પરિસ્થિતિ પેદા શું શું કરવું જોઈએ! વાલી-વિદ્યાર્થી-શિક્ષકનો ત્રિકોણ સમત્રિબાહુ બને તો શિક્ષણના ઘણા પ્રશ્નો ઉકલે. કોઈ અંગ્રેજ શિક્ષકોએ 'Kid stuff' - a rock opera' નામે રચેલી કવિતાની પંક્તિઓ વાંચો:

"we are locked into desks in a dull routine,
we learn to function as a spoon-fed machine!
we are all neatly numbered, and we are put into a mould,
knowledge is product that is packaged and sold
school is such a bore and they are building more!"

(4) ઈશુ ખ્રિસ્ત અને મહાવીર:

કહે છે કે ઈશુ ખ્રિસ્તનો બાપદાદાનો ધંધો સુતારનો હતો તે એક સુતારે બનાવેલ ક્રોસ પોતે જ ઉપાડવો પડ્યો અને સુતારના ભાઈબંધ લુહારે બનાવેલા ખીલા ખાવા પડ્યા. ભગવાન મહાવીરે કાનમાં ખીલા ખાધેલા અને ઈશુએ હથેળીમાં! (પાન: 26)

(5) બ્યુટી પાર્લર:

હૉટેલ-રેસ્ટોરાંની જેમ જ ગલીએ ગલીએ શહેરોમાં બ્યુટી-પાર્લરો ખૂલવા માંડ્યા છે. બ્યુટીની પરિભાષા હંમેશા પરિવર્તનશીલ રહી છે. મારા એક પરિચિતની પુત્રીના લગ્નમાં હું ગયેલો. 'કન્યા પધરાવો સાવધાન'ની બૂમો પડવા છતાં કન્યાકુમારી મંડપમાં ન પધાર્યાં ત્યારે સ્વજનોને ઘડીભર ચિંતા થઈ ગઈ. કોઈના પ્રેમમાં પડીને કન્યાએ હિન્દી ફિલ્મની નાયિકાનું અનુકરણ તો નહીં કર્યું હોય ને એવી ચિંતા પણ વરપક્ષના લોકો કરવા માંડ્યા; પણ પછી ઘટસ્ફોટ થયો કે બ્યુટી-પાર્લરમાં ક્યૂ હતી એટલે વારો મોડો આવ્યો છે અને હવે થોડી વારમાં જ કન્યાની પધરામણી થશે. હવેથી કંકોત્રીઓમાં મંડપમુહૂર્ત, ગ્રહશાંતિ, હસ્તમેળાપ વગેરેના સમય લખ્યા હોય છે, તેમ બ્યુટી-પાર્લરમાં જવાનું મુહૂર્ત પણ લખાવું જોઈએ; જેથી મોડુંવહેલું થાય તો વડીલોનું બ્લડ-પ્રેશર વધી ન જાય અને સાજનમાજનને શરબતનો એક ગ્લાસ વધુ પીવા મળે. (પાન:30) 

(6) વૃક્ષના પાંદડાં:

આપણી આસપાસનું વનસ્પતિ જગત પાંદડાંઓથી ભરેલું છે. માણસને ફળ-ફૂલમાં જેટલો રસ છે તેટલો દુર્ભાગ્યે પાંદડાંમાં નથી. વૃક્ષ પર પાંદડાં પણ શોભતાં હોય છે. એના રંગ, રૂપ, આકારમાં અજબગજબની વિવિધતા છે. માણસ કરતાંયે પશુજગતનો તો મુખ્ય આહાર જ પાંદડાં છે. કમળનું ફૂલ સુંદર છે પણ એનું પાન ઓછું સુંદર નથી. એક વાર સ્વ. રાષ્ટ્રકવિ મૈથિલિશરણ ગુપ્તને કોઈએ પૂછ્યું, કે 'આપની લાખો પંક્તિઓમાં સ્મરણીય તો માત્ર સેંકડો જ છે. આવું કેમ?' તેમણે લાક્ષણિક જવાબ આપેલો કે, 'વૃક્ષ પર પાન વધુ હોય છે અને ફળફૂલ ઓછાં પણ ફળફૂલ માટે પાન પણ જરૂરી છે.' (પાન: 38)

(7) લોહીનું દબાણ:

લોકો ભલે સહાનુભૂતિપૂર્વક જ્યારે એવો પ્રશ્ન કરે છે કે લોહીનું દબાણ ઊંચું રહે છે કે નીચું ત્યારે મને કોણ જાણે કેમ અપમાન જેવું લાગે છે. જવાબ ફટકારવાનું મન થાય છે કે 'ભાઈ મારા, જિન્દગીમાં કોઈ વાત નીચી રાખી નથી તે હવે લોહીનું દબાણ નીચું રાખું?' આમ તો ઘણી વાતમાં લૉ પ્રોફાઈલ રાખવી ગમે છે પણ લોહીના દબાણમાં તો બસ 'હાઈ' જ જોઈએ. હાઈ, હાયર અને સ્ટીલ હાયરનો મુદ્રાલેખ જો કે હું લોહીના દબાણ બાબત રાખતો નથી. માત્ર 'હાઈ'થી સંતોષ માનું છું. જેમ 'બૉમ્બે હાઈ' શબ્દથી આપણે પરિચિત છીએ, 'બૉમ્બે હાયર' કે 'બૉમ્બે હાયેસ્ટ' શબ્દો પ્રચલિત થયા નથી. તો જો મુંબઈ જેવું મુંબઈ માત્ર 'હાઈ'થી સંતુષ્ટ હોય તો મારી જેવા નગણ્યને 'હાયર' તરફ જવાનું કેમ પાલવે? (પાન: 42)

(8) રજત, સુવર્ણ અને હીરક જયંતિઓ:

માણસ સોના-ચાંદી, જર-ઝવેરાતનો કેવો ગુલામ છે! સંસ્થા પચીસ વર્ષે રજતજયંતી ઊજવે, પચાસ વર્ષે સુવર્ણ જયંતી, સાઠ વર્ષે હીરક મહોત્સવ અને પંચોતેર વર્ષે પ્લેટિનમ. માણસને પંચોતેર વર્ષ થાય ત્યારે વળી 'અમૃત મહોત્સવ' ઉજવાય. મૃત્યુની નજીક પહોંચવાનું આવે ત્યારે જ 'અમૃત' મહોત્સવ ઉજવાય ને? રજત-સુવર્ણ, હીરા-પ્લેટિનમ એવાં માપિયાને બદલી ન શકાય? (પાન:47)

(9) પંખીઓ, ટાગોર અને ગાંધી:

ટાગોરે જ્યારે લખ્યું કે આ વહેલી સવારે ગીતો ગાતાં ગાતાં ઊડતાં પંખીઓ નક્કી પ્રેમનું જ ગીત ગાતાં હોવા જોઈએ. ત્યારે હળવેકથી ગાંધીએ ટકોર કરી કે વીતેલા દિવસે સારી ચણ મળી હોય અને પેટ ભર્યા પછીની નિંદર માણી હોય તો એ ગીત પ્રેમનું હોય; નહીં તો કદાચ એ ભૂખની ચીસ પણ હોઈ શકે. 'હરિજન'માં ગાંધીની ટકોર વાંચીને 'મૉર્ડન રિવ્યૂ'માં ટાગોરે વાત કબૂલ રાખી પણ ઉમેર્યું કે પંખીને પોતાની ચણ શોધી લેવાની શક્તિ કુદરતે આપી છે, માણસે પોતે જ માણસ ભૂખ્યો રહે એવી સમાજવ્યવસ્થા ગોઠવી છે. બન્ને મહાનુભાવો પોતપોતાની રીતે સાવ સાચા હતા. (પાન:51)

(10) મયૂર મહારાજ અને કેકારવનો સૂર:

આંબાવાડી વિસ્તારમાં મોરની વસ્તી સારા પ્રમાણમાં છે એટલે ચિન્મયકુમારને તો મજા આવી ગઈ. ગમે ત્યારે આ મયૂર પરિવાર પાણી પીવા કે કૂણા કૂણા અંકુર ખાવા કે શિંગના દાણા નાખીએ તો લહેરથી ચણવા આવી જાય છે. એમને ચણતાં જોઈને ચિન્મયની આંખોમાં જે ચમક આવે છે એ ચમક સદાશિવ અમરાપુરકરની આંખો સિવાય મેં ક્યાંય જોઈ નથી. તે પોતાની અભિનયકલાનો પચાસ ટકા અંશ તો પોતાની આંખોની ચમક દ્વારા જ દેખાડે છે. આ મોર પરિવાર ક્યારેક અર્ધી રાતે ટેંહુક ટેંહુક કરવા માંડે છે. કવિ જ્યારે કહે છે કે, 'મેં તો મધરાતે સાંભળ્યો'તો મોર.' ત્યારે એ સત્ય જ કહે છે. ક્યારેક મધરાતે કોઈ મોરની ઊંઘ ઊડી જાય તો એના કેકારવનો સૂર વિલંબિતને બદલે સીધો દ્રૂતમાં રજૂ કરી દે. ક્યારેક અનિદ્રાનો શિકાર બનતાં આ મયૂર-મયૂરીને ઊંઘવા માટે વેલિયમ ફાઈવની ટીકડીઓ ચણવા કોણ આપે? (પાન: 57)

(11) શકુંતલાના વિરોધાભાસી મનોભાવો:

જોતજોતામાં ખોળો ખૂંદનારી બાલિકા કેવી સૂક્ષ્મ રીતે કોઈના ઘરની વધૂ બનવાયોગ્ય બની ગઈ! શરીર વિકસતું તો નરી આંખે જોઈ શકાય છે પણ મનને વિકસતું કોણ જોઈ શકે છે? અચાનક વહાલસોઈ દીકરી કહી ઊઠે કે, 'મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ!' ત્યારે જ મા-બાપને ખ્યાલ આવે છે કે આ કળી તો વિકસી ગઈ! એક બાજુ 'મેરે તો ગિરધર ગોપાલ' અને બીજી બાજુ 'બાબુલ મોરા, નૈહર ન છૂટ્યો જાય!' આ બે અતિ તીવ્ર ભાવોનું તુમુલ યુદ્ધ પ્રત્યેક શકુંતલાને કણ્વનો આશ્રમ છોડતી વેળા થતું હોય છે!  (પાન: 68)

(12) ઉનાળાનો સૂરજ અને નદીની સાડી:

દાદીમા મને સમજાવતાં કે સૂરજ બે છે. શિયાળાનો સૂરજ નરમ અને ભલો હોય છે. ઉનાળાનો સૂરજ જાલીમ અને ક્રૂર હોય છે. ઉનાળાનો સૂરજ રોજ રોજ નદીની સાડી ખેંચવા લાગે છે અને સાડી સાવ ખેંચાઈ જાય ત્યારે નદી બિચારી શરમની મારી જમીનમાં સંતાઈ જાય છે. (સીતામાતાઓને ધરતીનો જ આશ્રય માંગતાં રહેવો પડશે શું? સૌરાષ્ટ્ર-કચ્છની નદીઓની લાજ ઢાંકવા એની મોટેરી નર્મદા જેવી બહેનો નહીં આવે શું?) (પાન: 71)

(13) ખરીદીનો ઉત્સાહ અને પાકીટનો અંકુશ:

નિસર્ગવાસીઓની એક નબળાઈ છે. બજારમાં નીકળે ત્યારે વેચાતી બધી વસ્તુઓ ખરીદવાનો અદમ્ય ઉત્સાહ તેમને ઘેરી વળે છે. તેમના મનમાં એ વખતે એવો કરુણાભાવ જાગે છે કે જો આપણે ખરીદી નહીં કરીએ તો બજારનું શું થશે? દુકાન માંડીને બેઠેલા વેપારીઓનું ભરણપોષણ કેવી રીતે થશે? સદભાગ્યે અમારા ઉત્સાહ પર ખિસ્સાના પાકીટનો કે હાથના પર્સનો અંકુશ હોય છે તેમ છતાં જે કાંઈ હોય તે વાપરી નાખવાની અલૌકિક પ્રેરણાને વશ થઈ જવાનું અમારા માટે સુલભ છે. (પાન:73)

(14) જીવનનું સત્ય અને વ્યાકરણનું સત્ય:

'ટુ હેવ' ને દુનિયા 'ટુ બી' કરતાં વધુ અગત્યનું ક્રિયાપદ સમજે છે તેવો ખ્યાલ પણ અમને આપવામાં આવ્યો ન હતો અને કાંઈ પણ કર્યા વગર માત્ર મૂડીના જોરે વધુ ને વધુ મૂડી ખેંચી લાવીને 'હેવ'ને 'હેવ મોર'માં ફેરવી નાખવાની રમત રમનારા આ દુનિયામાં હુશિયાર ગણાય છે તેનું જ્ઞાન પણ અમને બહુ મોડું થયું. એમાંય 'કાળ' બદલોના પાઠ આવતા ત્યારે અમને ખરેખર કાળ ચડતો. હાઈસ્કૂલના એક શિક્ષકે જ્યારે વર્ગમાં પૂછ્યું કે 'હું જુવાન છું' વાક્યમાં કયો કાળ વપરાયો છે ત્યારે એક વિદ્યાર્થીએ જવાબ આપેલો કે, 'સર, તે ભૂતકાળનું વાક્ય છે.' ત્યારે વૃદ્ધ સરે તેનો જવાબ ખોટો આપેલો. ત્યારથી અમને ખ્યાલ આવી ગયેલો કે જીવનનું સત્ય એ વ્યાકરણનું સત્ય નથી. (પાન:74)

Sunday, October 5, 2014

હાફ ગર્લફ્રેન્ડ - ફુલ સેટિસ્ફેક્શન !!

છેલ્લે કોઈ કળાકૃતિમાંથી પસાર થયા બાદ ધ્રુસકે ને ધ્રુસકે રડવાનું બન્યું હોય એ ફિલ્મ "પાનસિંહ તોમર" હતી. ઘણાં સમય બાદ આ જ અનુભૂતિ ચેતન ભગતની લેટેસ્ટ નવલકથા "હાફ ગર્લફ્રેન્ડ"માંથી પસાર થતાં થઈ. આપણે ત્યાં અર્ધાંગિનીનો કન્સેપ્ટ છે પણ હાફ ગર્લફ્રેન્ડનો નવતર કન્સેપ્ટ ચેતન ભગત પહેલી વાર લાવ્યા છે. પૂરી ગર્લફ્રેંન્ડ મેળવતાં ઘણાંને "હાંફ" ચડી જાય છે. અહીં હાફની વાત છે. હાફ ગર્લફ્રેન્ડ એટલે પૂરેપૂરા કમિટમેન્ટ વિના, અધકચરા દિલથી, કોઈ સ્યૉરિટી વિના અનિશ્ચિતતા અને મૂંઝવણ વચ્ચે ઝોલા ખાતી અને ખવડાવતી ગર્લફ્રેન્ડ એવો અર્થ કરી શકાય. ટાઈટલ પહેલી નજરે જેટલું ચીપ લાગેલું એનાથી અનેકગણું ઊંડાણ વાર્તામાંથી પસાર થતાં અનુભવાયું. શુક્રવારે સવારે શરૂ કરેલી નવલકથા આજે શનિવારે મોડી રાત્રે પૂરી કરી. બક્ષી કહેતા કે વાચક બોરીવલીથી મોંમાં પાન મૂકીને ટ્રેનમાં નૉવેલ શરૂ કરે અને ચર્ચગેટ ઉપર નૉવેલ પૂરી થાય ત્યારે પાન પૂરું થાય તેને 'નૉવેલ' કહેવાય ! જો કે, ચેતન ભગતની નૉવેલ એટલી ઝડપથી પૂરી થઈ શકે એમ ન હોઈ પાનનાં એકથી વધારે બીડાં સ્ટૉકમાં હાજર રાખવા પડે અને પછી નૉવેલ પૂરી કરવાનું બીડું ઝડપવું પડે !



નવલકથામાં સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં અલગ અલગ વિષય છતાં બાસ્કેટબૉલની કૉમન રૂચિને કારણે પરિચયમાં આવતા છોકરા છોકરી મને 'કુછ કુછ હોતા હૈ'ના રાહુલ-અંજલિની યાદ અપાવે છે તો બિહારના એક ગ્રામીણ વિસ્તારમાં જેને રિનોવેશનની તાતી જરૂરિયાત છે એવી એક શાળા માટે બિલ ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા મળનારા સંભવિત અનુદાનની આશાએ નવલકથાનો નાયક બિલ ગેટ્સની હાજરીમાં જે સ્પીચ આપે છે એ 'બિલ્લૂ' ફિલ્મમાં એક શાળામાં શાહરૂખની ભાવુક કરી દેતી સ્પીચની યાદ અપાવે છે. અંગ્રેજી બહુ ખાસ ન આવડતું હોવાને કારણે અસલામતી અનુભવતાં બિહારી છોકરા સાથે આપણા ગુજરાતનાં ઘણાંખરાં છોકરાઓ તાદાત્મ્ય અનુભવી શકશે.

અમિતાવ ઘોષ અને સલમાન રશદી જેવા લેખકોની કક્ષાએ ભલે ચેતન ભગતની નવલકથાઓને મૂકવામાં ન આવે પણ અત્યાર સુધી એની તમામ છ નવલકથામાંથી પસાર થતાં એની બધી કૃતિઓમાંથી સ્ત્રીના આંતરમનમાં ડોકિયું કરીને લખાયેલાં વેધક, માર્મિક અવલોકનો આબાદ ઝીલાયા હોય એવું લાગે છે. આ નવલકથા પણ એમાંથી અપવાદ નથી. નિરાશાજનક અને કરૂણ પ્રસંગોમાં પણ હ્યુમરનો અંડરકરંટ ઠેકઠેકાણે વહે છે. અગાઉ લખ્યું એમ આ બધી નવલકથાઓમાંથી સ્ત્રીના માનસ વિશેના ક્વોટ્સ અલગ તારવીને એક અલગ સંપાદન કરવામાં આવે તો "અન્ડરસ્ટેન્ડિંગ વુમન" જેવો કાલ્પનિક મહાદળદાર અને આખેઆખી લાયબ્રેરી રોકી શકે એવો ગ્રંથ લખવાની જરૂરિયાત ટળી જાય અને સ્ત્રીના વિકટ અને જટિલ મનને સમજવા માટે ચેતન ભગતના ક્વોટ્સનું આ સંપાદન એક પથદર્શકની ગરજ સારે.

નવલકથામાં કેટલાં અદભુત અવલોકનો વેરાયેલાં પડ્યાં છે એ જોવા માટે થોડાં નમૂના કાફી થઈ રહેશે:

- છોકરી તમને એના લગ્નનું કાર્ડ આપે એ મોટા અક્ષરે વિડિયો ગેમમાં ઝબૂકતી "ગેમ ઓવર"ની સાઈન જેવું લાગે છે.
- ગર્લફ્રેન્ડ જીવનમાં આવતી જતી રહે છે પરંતુ મા ક્યારેય એના પુત્ર સાથે બ્રેક-અપ કરતી નથી એ સારું છે. (ગર્લફ્રેન્ડ કુ-ગર્લફ્રેન્ડ થાય પણ માવતર કમાવતર ન થાય! :P)
- છોકરીનો પરસેવો પણ પરફ્યુમ જેવો હોય છે. (બેફામનો એક શેર યાદ આવ્યો: એના ઘરનાં ફૂલો તો શું?/ એના ઘરનું ઘાસ પણ સુગંધી!)

બ્રેક અપ કરનાર છોકરીના અવાજની ઠંડી ઉદાસીનતાની દિલ્હીની ધુમ્મસવાળી રાતની ઠંડી સાથે અદભુત સરખામણી કરવામાં આવી છે.

પ્રેમમાં નિષ્ફળતા મળતાં ટીલાં-ટપકાં કરીને ભગત ચોક્કસ બની શકાય, પણ વાચકોને પ્રેમની દાસ્તાન કહીને જકડી રાખતાં ચેતન ભગત બનવા માટે અંગ્રેજી પરનો કમાંડ હોવો જ પૂરતો નથી, એ માટે આસપાસના વાતાવરણમાંથી અનુભૂતિને સૂક્ષ્મતાથી ઝીલતાં દિલ-દિમાગનાં 'કમાડ' પણ ખુલ્લાં રાખવા એટલા જ જરૂરી છે. બહુ જ જૂજ જગ્યાઓએ આવતાં બે-ચાર હિન્દી/ભોજપુરી શબ્દ-વાક્યપ્રયોગો કૃતિમાં આડખીલી બનવાને બદલે સળંગ કથારસ સાથે એકરસ થઈને કૃતિને ઉપકારક નીવડે છે. બાકી તો, લેખક-વાચક રાજી તો ક્યા કરેગા વિવેચક કાજી?

Wednesday, October 1, 2014

બૉય છે આ બૉય છે?

બીમાર ફલકને આજે ચિલ્ડ્રન્સ હૉસ્પિટલમાં બતાવવા માટે લઈ ગયા હતાં, ત્યારે એક નર્સ એને શરૂઆતમાં છોકરી સમજ્યા પછી હકીકત જાણ્યા બાદ એને જોઈને પ્રેમથી બોલ્યાં, "બૉય છે, આ બૉય છે?" આ એક વાક્ય પરથી એક નાની રચના સૂઝી એ પ્રસ્તુત છે:

બૉય છે, આ બૉય છે?
લોકોને રમવાનું ટૉય છે?

હરખનો તું ઉત્સવ છે કે
મા-બાપની હાયવોય છે?

ફૂલ સમ કોમળ સ્પર્શ છે કે
ત્વચાને ચુભતી સોય છે?

પળોજણ તો છે ઉછેરમાં,
પણ આમ જિંદગીનો જૉય છે!

સંસાર કેરી માયાજાળમાં
તું કોઈ પ્લૉટ છે કે પ્લૉય છે?

કૂકરની સીટીથી ડરે છે કે
ચોરને ભગાવતો સિપોય છે?

બૉય છે, આ બૉય છે?
લોકોને રમવાનું ટૉય છે?

Thursday, September 25, 2014

સીમાડા : હરિશ્ચંદ્ર ભટ્ટનું એક ગીત

રવિવાર તા: 21 સપ્ટેમ્બર, 2014ના રોજ ગુજરાત સમાચારમાં જય વસાવડાની સ્પેક્ટ્રોમીટર કૉલમનો ઓપનિંગ પેરેગ્રાફ (ઊઘડતો ફકરો અથવા પ્રારંભિક પરિચ્છેદ) આ પ્રકારે હતો: "એમનું નામ હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ. આ સદીના પ્રારંભકાળે પેદા થયેલા એ કવિને વાંચનનો અનહદ શોખ. ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, હિન્દી, પોલિશ અને જર્મન ભાષા પર પ્રભુત્વ. પૂર્વ-પશ્ચિમના ઇતિહાસ, સંસ્કૃતિ, સાહિત્ય અને દર્શનનું આજીવન પઠન જ તેમના જીવનનો હેતુ. ગ્રીક દંતકથાઓથી લઇ ભારતીય દાર્શનિકો પર ઉત્તમ કાવ્યો લખી, વિદ્વાનોની કાયમી સંગત મેળવનાર જીવ અને ૧૮ મે, ૧૯૫૦ના રોજ આવા પ્રકાંડ અભ્યાસુએ ૪૪ વર્ષની જ ઉંમરે આત્મહત્યા કરી!"

ઉપરના ફકરામાં ભૂલ એ છે કે હરિશ્ચંદ્ર ભટ્ટને એમણે આ સદીના પ્રારંભકાળે પેદા થયેલા ગણાવ્યા છે. આ સદી એકવીસમી સદી છે. એકવીસમી સદીના પ્રારંભકાળે એટલે કે 2001માં પેદા થયા હોય તો એમની ઉંમર અત્યારે માંડ 14 વર્ષ હોય. વાસ્તવમાં એ ગઈ સદીમાં એટલે કે 20મી સદીમાં પેદા થયા હતાં. જન્મ તારીખ: 6-12-1906 અને મૃત્યુ તારીખ: 18-5-1950. ખેર, જયભાઈએ હરિશ્ચંદ્ર ભટ્ટને યાદ કર્યા એ નિમિત્તે ચંદ્રકાન્ત શેઠ સંપાદિત અમર ગીતો પુસ્તકમાંથી આપણે એમની એક રચના માણીએ જેનું શીર્ષક 'સીમાડા' છે:

હૈયાના બારણાની ભોગળો ભેદવી,
ઉંબર સીમાડો ઓળંગવો જી.

અજવાળી રાતડીએ શેરીઓ છોડીને
ચોક ને ચૌટામાં ભમવું જી.

વહેલે પરોઢિયે કૂકડો બોલાવે
ગામના સીમાડા એ છોડવા જી.

કપાસકાલાંનાં ખેતરો ખૂંદતાં
ઊંડાં તે વનમાં ચાલવું જી.

વનના સીમાડા એ છોડવા છે મારે
રણની વાટડીએ દાઝવું જી.

રણની તે રેતીમાં ભૂલા પડીને
સાગરને સીમાડે પહોંચવું જી.

સાતે સાગરને ખૂંદી વળીને
ધ્રુવનું નિશાન મારે ધરવું જી.

ધરણી સીમાડા એ છોડવા છે મારે
ઊંચા ગગનમાં જાવું જી.

પહેલો સીમાડો આ હૈયાનો છોડવે
એને આપું ભવોભવની પ્રીતડી જી.

Monday, September 22, 2014

જીવન-મૃત્યુની એક તુલનાત્મક કવિતા

મોદી સરકારની શપથવિધિને એક અઠવાડિયું માંડ વીતેલું ત્યાં કેન્દ્રિય પ્રધાન ગોપીનાથ મુંડેનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. એ વખતે આ કાવ્ય રચનાની પ્રથમ બે પંક્તિઓ લખી હતી. આજે રચનામાં વધુ શેર ઉમેર્યા છે:


પ્રમોદ મહાજન, દેશમુખ અને હમણાં ગયાં એ મુંડે

કાલે મારો'ય વારો આવશે, ડર છે મનમાં ઊંડે ઊંડે


જોઈ મેં કંઈક નવી કળીઓને ખીલતાં ક્યારે ક્યારે,

તો જોયાં મેં કેટલાંક પુષ્પોને પણ ખરતાં કૂંડે કૂંડે


મૃત્યુનો કોઈ મનાવે ઉત્સવ, કોઈને ઘેરી વળે ઉદાસી,

અભિગમ છે અલગ અલગ, ભિન્ન છે મતિ તુંડે તુંડે


વહાવી રહ્યા લોક મૃતકનાં અસ્થિ ગંગા કેરા જળમાં,

ને છાંટી રહ્યા ઐરાવત જીવનજળ સાત-સાત સૂંડે સૂંડે


વિચરી રહ્યા અહીં યમના દૂત ઝડપી લેવા  જીવને,

ફરતાં હોય છે અહીંતહીં જેમ હર ગલી ગલી કે ગુંડે 

પ્રકાંડ પંડિત: વનસ્પતિના પ્રકાંડના નિષ્ણાત અભ્યાસુ વૈજ્ઞાનિક

આત્મનીંભર: આત્મનિર્ભર શબ્દનો અપભ્રંશ છે.

ઓરીજીનલ અને મૅકમિલન (Original & McMillan): અમારી સોસાયટીમાં મિલન અને જીનલ નામનાં ભાઈ-બહેન રહે છે. બંનેના નામો પરથી એક વખત વિચાર આવ્યો કે જીનલને ઓરી થાય તો એ ઓરીજીનલ કહેવાય અને મિલન પાસે મૅક-બુક હોય તો એ મૅકમિલન કહેવાય !

ગુડગુડ બૉય: સારા છોકરાને ગુડ બૉય કહીએ તો હુક્કો ગુડગુડાવાના શોખીન છોકરાને ગુડગુડ બૉય કહી શકાય?

તજજ્ઞ: ખોરાકમાં તજનો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશે જ્ઞાન હોય એવી વ્યક્તિ.

તેલંગાના: આમ તો આંધ્રમાંથી છૂટું પડીને બનેલું નવું રાજ્ય છે, પણ સંધિવિગ્રહ કરીએ તો "તેલ અંગ લગાના" મતલબ કે અંગે તેલ ચોળવું એવો અર્થ કરી શકાય.

ધુઆંધાર: જેના વગર આપણો આધાર છીનવાઈ જાય એવી વ્યક્તિ. 

પતંજલિ: પતી ગયેલાંને અંજલિ આપવી એને પતંજલિ કહે છે.

પ્રકાંડ પંડિત: વનસ્પતિના પ્રકાંડના નિષ્ણાત અભ્યાસુ વૈજ્ઞાનિક.

પારંગત: એવી વ્યક્તિ જે પોતાના ક્ષેત્રમાં ખરેખર નિષ્ણાત હોવાથી એ ક્ષેત્રની જે વાતો કરે એમાં રંગત હોય.

મર્મ-અજ્ઞ: ઊંડો અર્થ કે મર્મ જાણનાર વિદ્વાન માણસને મર્મજ્ઞ કહેવાય તો એ સમજી ન શકે તેવી વ્યક્તિને મર્મ-અજ્ઞ કહી શકાય.

રાષ્ટ્રક્ષતિ શાસન: કોઈ રાજ્યમાં સરકાર ન બને કે શાસન ન ચાલી શકે એવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે, પણ દેશની છબી કે આબરૂને નુકસાન પહોંચાડે એવા શાસનને રાષ્ટ્રક્ષતિ શાસન કહી શકાય.

રોમાંચ: રોમે રોમે આંચ આવે એવી આનંદની અનુભૂતિ.

રોલ મોડલ: ફિલ્મમાં રોલ મેળવવા માટે તડપતી મોડલ.

શ્યામક દાવર: બોલીવૂડમાં ડાન્સિંગના ક્ષેત્રે કદાવર નામ છે, પણ શ્યામકનો 'ક' ખસેડીને દાવરની આગળ મૂકીએ તો ભગવાન શ્રીકૃષ્ણનું વિરાટ સ્વરૂપ એટલે કે શ્યામ કદાવર વંચાય.

સ્કૂપમંડૂક: કૂવામાંના દેડકાની જેમ સંકુચિત દ્રષ્ટિવાળાને કૂપમંડૂક કહેવાય તો સનસનીખેજ મસાલેદાર વાતો લખવા-છાપવા કે વાંચવાનાં શોખીનને સ્કૂપમંડૂક કહી શકાય.

હુક્કો: 'હુકમનો એક્કો'નું ટૂંકાક્ષરી સ્વરૂપ.

Sunday, September 21, 2014

ગુજરાત સમાચારમાં છપાયેલો મારો ભાષાંતરનો એક અહેવાલ

19 સપ્ટેમ્બર, 2014ના ગુજરાત સમાચારની ચિત્રલોક પૂર્તિમાં મેં અગાઉ કોઈ પીઆર એજંસી માટે કરેલાં એક પ્રેસ રિલીઝનું ભાષાંતર છપાયું હતું. બિનસાહિત્યિક ભાષાંતરના કામોમાં અનુવાદકનું નામ ક્યારેય સામે આવતું નથી. મેં ભાષાંતર કર્યું હોય અને મારી નજરમાં ન આવ્યું હોય એવા આ પ્રકારનાં અમુક લખાણો બીજે પણ કદાચ છપાયા હશે. જો કે, પ્રેસ રિલીઝનાં ભાષાંતરના કામોમાં પેમેન્ટની સમયસર ચૂકવણીમાં અનિશ્ચિતતાની સતત લટકતી તલવારથી કંટાળીને હવે આ પ્રકારનું કામ સ્વીકારવાનું બંધ કરી દીધું છે. ખેર, નીચે ગુજરાતી ભાષાંતરની ક્લિપિંગ મૂકી છે અને એ પછી ઓરીજીનલ અંગ્રેજી ટેક્ષ્ટ છે. 

A press release translated by me, published in Gujarat Samachar Film Supplement dated 19/04/2014. Below is the Gujarati translation snapshot followed by original English text. 


Aneri – Nisha’s Interview

·         Do you always wanted to be an actress? Tell us something about your background
I am born and brought in Mumbai, a very typical Gujarati girl who loves to travel and who is a complete foodie. As far as acting is concerned, it was a wild dream to me that got fulfilled purely by chance. I always fantasized about posing for shutterbugs but I never really gave it a push. Then one fine day, a casting director came across my pictures on a social media site (Facebook) and invited me for a screen test, and before I could realize what was happening, I got the role. Since then, life has been a fairy tale for me as I live my dream every day. I'm in love with the fact that I'm busy all day with shoots. In fact, when I'm home on a free day, I feel the pangs to get back to work.

·         How do you think 'Nisha Aur Uske Cousins' is going to be different?
Nisha Aur Uske Cousins promises to be youth centric, to not be melodramatic, and to be lighthearted and realistic. It’s the first joint family show – which will focus completely on the youngsters, their equation, their troubles and pranks. Cousins are your blood relations but at the same time they are the friends you keep forever, the ones you share your childhood memories and growing up angst with. It is this very relationship that will be highlighted in the show.
·         How do you relate to the character? Any training / preparation you underwent?
This role is like a dream because in real life I am just like her. All my friends call me a tom boy. I am always there whenever they need me just like Nisha. Having said that, at the same time, as I play a character of a tom boy; I had to work on my body language, my voice modulation and dialogue delivery. The hardest decision was to cut my long hair just for this role. I had to do get into the skin of the character.

·         Whom you close to more on the sets?
I am more close to Heli & Meherzan, my on –screen cousins. I connect with them the best. They treat me like a baby and they are always there whenever I have a bad day. Meherzan makes up a mood by talking the most random thing and Heli pumps me up by getting me pasta.
·         What is your equation with your cousins in real life?
I am very close to my cousins in real life too. They hold a special place in my life. They are my first friends, first play buddies, rivals and partners in crime. We make it a point that on all the festivals we come together and celebrate it like a big fat Gujarati family.
·         Tell us about your most memorable experience while shooting for the show.
I would like to highlight an incident while we were shooting in Jaipur. The temperature was about 50 degree and I had to give an action shot; I didn’t even realize that my I am getting exhausted. I fainted I was rushed to the hotel and given medication. When I came into senses I didn’t even remember anything. That was one kind of experience which I will never forget.
·         How do you think people will accept or relate to your role & show?
I feel Nisha’s role is somewhere very similar to Anjali from Kuch Kuch Hota Hai. I think people would love it as it is very real. In many ways Nisha and her cousins represent the Star Plus of today - young, energetic, wanting to break the mold and do something new. They respect Dadaji and their elders but don't always agree with their stereotypical views. The show not only captures the unexplored but extremely interesting dynamic between cousins, but also deals with issues of today's youth and their desire to challenge stereotypes.
·         Are there any cat fights on sets?
No, not at all. We actually have become one big family. In fact Heli is my best buddy on the set.
·         How is it to work with all the fresh star cast
I think that’s the best part of our show as brings out a very fresh energy .We all are hungry to learn and very hard working.
·         Other than acting what are your hobbies?
The young actor is also a dancer, having received formal training in Bharatnatyam and also by Shiamak Davar. "Dancing is my passion. If given a chance, I would love to participate in a dance reality show."

Wednesday, September 17, 2014

બાપુ, તમે પાછા આવશો?

બાપુ, તમે બહુ યાદ આવો છો...ના, હું તમારા વિશે 500થી 1000 કે 1500 કે 2000 શબ્દોમાં દર વર્ષે 30મી જાન્યુઆરી અને 2જી ઑક્ટૉબરે નિયમિતપણે કટાર લેખો ઘસી કાઢતો લેખક નથી. તમારી જેમ જ અંદરુની નબળાઈઓને જીતીને વ્યક્તિત્વને મઠારવા મથતા એક સામાન્ય માણસ તરીકે વાત કરી રહ્યો છું.

એક વખત પ્રાથમિક શાળામાં કોઈ બહેન મારી હોમવર્કની નોટબુક જોઈને દાઢમાં બોલેલાં કે તારા અક્ષર ગાંધીજી જેવા છે. એ વખતે ગાંધીજીના અક્ષર એટલે ખરાબ અક્ષર એવી ખબર ન હતી, એટલે તમારી સાથેની સરખામણીથી મને નિર્દોષ રોમાંચ થયેલો. પણ હકીકત ખબર પડ્યા પછી પણ સરખામણીનો રોમાંચ એવો જ અકબંધ રહેલો. ખરાબ માણસની સારાઈ જોડે સરખામણી થાય એના કરતાં સારા માણસની ખરાબી જોડે તુલના થાય એમાં વધારે આનંદ આવે.

જે ગુજરાતની ધરતી પર તમારો જન્મ થયો એ જ ગુજરાતમાંથી તમને મહત્તમ ગાળો આપવાની પ્રથા આજે પણ ચાલુ છે. તમારા જીવનનાં આદર્શો, સિદ્ધાંતો, નીતિનિયમો વગેરેમાં સ્વાભાવિક રીતે ઘણાને રસ ન પડતો હોઈ તમારા અંગત જીવન પર પાયા વગરના આક્ષેપો કરતા "સ્કૂપ"ના શોખીન "સ્કૂપમંડૂક" લેખકો તરફથી મસાલેદાર પુસ્તકો આવતાં રહે છે, હીન કક્ષાનાં નાટકો ભજવાતાં રહે છે. એમાં કહેવાતી સત્ય હકીકતો પર પ્રકાશ પાડવાના નામે એ લેખકો એમના દિમાગની અંધારી બાજુ જ પ્રગટ કરતા હોય છે. 

માંસાહાર કરતા ન હોય પણ નૉન-વેજ જોક્સના શોખીન હોય એવા શાકાહારીઓ તમારા નામની બીભત્સ રમૂજો ફૉરવર્ડ કરતાં રહે છે અને તમે કરેલી ઐતિહાસિક ભૂલોથી ભારતને કેટલું નુકસાન થયું છે એની એકની એક એકાંગી વાતો રિવાઈન્ડ કર્યા કરે છે. નેહરુ-સરદાર બેમાંથી એકની પસંદગી બાબતે તમે લીધેલા નિર્ણય અને બીજી કેટલીક ઐતિહાસિક ઘટનાઓને લઈને કકળાટ કરનારા હજી મળી આવે છે. 

માન્યું કે તમારા બ્રહ્મચર્ય વિશેના વિચારો અવ્યવહારુ અને અસ્વીકાર્ય હતા, પણ સાથે સાથે બાળકો અને બાળાઓને કામશાસ્ત્રનું શિક્ષણ આપવું જોઈએ એવું પણ તમે લખેલું જ ને? ભૂલો બધાથી થાય પણ તમારા વ્યક્તિત્વની મહાનતા જોતાં તમારી ભૂલો આખા શરીરને કેન્સરગ્રસ્ત બનાવી દે એવા મેલિગ્નન્ટ ટ્યુમર જેવી રોગકારક નહીં પણ શરીરના કોઈ ભાગમાં થયેલા બિનાઈન (benign) ટ્યુમર જેવી સૌમ્ય અને ક્ષમ્ય લાગે છે. 

તમે જે સર્વોદયની વાત કરતાં હતાં એ સર્વોદયના નામે મારા આણંદ-વિદ્યાનગર શહેરમાં આઈસક્રીમ દુકાન ધમધોકાર ચાલે છે. કોને ખબર, ભવિષ્યમાં અંત્યોદય આઈસક્રીમ પાર્લર પણ ખૂલે. અમે તો હવે એટલા નીંભર થઈ ગયા છીએ કે તમે નેચરોપથી અને સ્વાસ્થ્ય વિશે લખેલા વિચારોના કાગળિયામાં જંક ફૂડ લપેટીને બિંદાસ ખાઈ શકીએ.



દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોએ તમને ફર્સ્ટ ક્લાસના ડબ્બાની બહાર ફેંકી દીધા હતાં એમ તમારા આદર્શોને કચરાના ડબ્બામાં ફેંકીને અમારા દિમાગને થર્ડ ક્લાસ બનાવવાની અમારી "ગાંડી કૂચ" અમે જારી રાખી છે. મીઠા પરના અન્યાયી કરવેરાને નાબૂદ કરવા માટે તમે દાંડીકૂચ કરી પણ તમારા આદર્શો અને સિદ્ધાંતોનું પાલન કરવા જેટલું મીઠું હવે અમારા વ્યક્તિત્વમાં બાકી રહ્યું નથી. અમારી સમગ્ર જીવનશૈલીને જ લૂણો લાગ્યો છે.

તમારો ચહેરો જેમાં છપાય છે એવી રૂપિયાની નોટોથી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી, દાનપુણ્ય, ગરીબોને સહાય જેવી પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં સુધી ઠીક છે પણ આ જ નોટોથી લાંચ રિશ્વતનું આદાન-પ્રદાન થાય છે અને આ જ નોટોથી મોડલ બનીને રોલ મેળવવા તડપતી આજની રોલ-મોડલના દેહને ભોગવવા માટેની પેરવી થાય છે. જોયું તમે? તમારી વિદાયની સાથે ક્રમશ: અમારી રોલ-મોડલની વ્યાખ્યામાં પણ કેવું વિકૃત પરિવર્તન આવી ગયું છે?

ડૉલર સામે રૂપિયાના અવમૂલ્યનની છાશવારે બૂમરાણ મચતી રહે છે, પણ એ રૂપિયાની નોટ પર જેની તસ્વીર છે એ મહાત્માના આદર્શોના અમે કરેલા અવમૂલ્યન વિશે કોઈના પેટનું પાણી હાલતું નથી. તમારું સરળ, નિખાલસ, પારદર્શક વ્યક્તિત્વ અને રૂપિયાની નોટ પર તમારા અસ્તિત્વ વચ્ચેની વિસંગતિ જોઈને અમારા રુદિયામાં કાંટા ભોંકાય છે. 

ઈચ્છાશક્તિ ધરાવતો કોઈ લોખંડી મનોબળનો શાસક ભારતની ધુરા સંભાળે તેનાથી અમુક અંશે ફરક પડી શકે, પણ સામાજિક સ્તર પર જાગૃતિ લાવવામાં અને લોકોને જવાબદાર નાગરિક બનાવવા માટે એ શાસક એકલા હાથે કેટલા મોરચે લડી શકે? કોઈપણ પ્રકારના રાજકીય પીઠબળ, વિચારધારાથી અલિપ્ત, કોઈપણ રાજકીય પક્ષ કે સંગઠનથી સ્વતંત્ર અને માત્ર નિ:સ્વાર્થ સેવાભાવનાથી સામાજીક કલ્યાણના કાર્યો કરે, લોકોને નૈતિક મૂલ્યોના અધ:પતન સામે લડવા માટે દોરીસંચાર આપી શકે એવી કોઈ સશક્ત કરિશ્માઈ સખ્શિયત તો જોઈશે ને?

'મારું જીવન એ જ મારો સંદેશ' એવું કહીને પછી અંદરખાનેથી સ્થાપિત હિતો સાથે મળીને લાભ-લોભનાં રસગુલ્લાં ખાતાં દોગલા માણસો અમે બહુ જોયા છે. તમારી હયાતીમાં તમારી સાથે સ્વાતંત્ર્ય ચળવળમાં હોંશેહોશે ભાગ લઈને અને તમારી વિદાય પછી સત્તાલાલસાથી ભૂરાયા બનેલા એ જ લોકો સામે તમારાથી પ્રભાવિત જયપ્રકાશ નારાયણે ચળવળ કરી અને પછી વર્ષો બાદ અણ્ણા હજારે-અરવિંદ કેજરીવાલે અવાજ ઉઠાવ્યો. પણ આ બધા લોકસેવકો ભ્રષ્ટાચારના કાળાડિબાંગ જંગલમાં ક્ષણિક ઝબકી જતાં આગિયાની જેમ ક્ષણિક જુવાળને કાયમી જનચેતનામાં તબદીલ ન કરી શક્યા. જે ધ્યેયહીનતા અને દિશાહીનતા વર્ષો પહેલાં હતી, એ જ આજે પણ છે. જે અસ્પૃશ્યતા અને દીનતા ગઈ કાલે હતી એ આજે પણ છે. હતાશા, નિરાશાનાં કાળાડિબાંગ વાદળોને વિખેરીને આશાના કિરણોનો સંચાર કરતાં સોનેરી સૂર્ય બનીને તમે ફરીથી આવશો, બાપુ?

Sunday, September 14, 2014

દાઉદાહરણ: ભવિષ્યમાં દાઉદ ઈબ્રાહિમના અપહરણ માટેનો શબ્દ

અંગત પળો: જેમાં સૌથી વધુ દખલ થવાની શક્યતા હોય એને અંગત પળો કહે છે.

આગળપડતું: આગળ જઈને ગબડી પડતું હોય એવું.

ઍકડેમિક્સ: એવા બોચિયા વિદ્વાનોનું ક્ષેત્ર જેમાં એકેય દિ મિક્સ થવાનું મન ન થાય !

એક્સ-પોઝ: પ્રચલિત અર્થ તો અંગપ્રદર્શન કરવું કે ઉઘાડું કરવું એવો છે, પણ ભૂતકાળમાં કોઈ સરસ પોઝ આપ્યો હોય એવા ફોટાને એક્સ-પોઝ કહી શકાય.

કાળજું: કાળજીનું નાન્યતર સ્વરૂપ.

ચૂંક: અમુક બાબતો ચૂકી જવાથી પેટમાં થતી વેદના.

જ્યોતિષ: પ્રતિભા હોય પણ સફળતા ન મળતી હોવાથી સંશયાત્મા બની ગયેલા લોકોને સધિયારો આપતું અને પ્રતિભા વિના અનાયાસ સફળ થઈ ગયેલા લોકોને સફળતા ટકાવી રાખવાના ઉપાયો બતાવતું શાસ્ત્ર.

ઢગું: 'ગૂઢ' બાબતોમાં સમજણ ન પડતી હોય એવી વ્યક્તિ.

દાઉદાહરણ: ભવિષ્યમાં દાઉદ ઈબ્રાહિમના અપહરણ માટે આ શબ્દ પ્રયોજી શકાય.

નંગપ્રદર્શન: જાતજાતના નંગો પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે એને નંગપ્રદર્શન કહે છે.

પડદાં: ઘરમાં શું ગોલમાલ ચાલી રહી છે એ બહારના લોકો ન જોઈ શકે માટે બારીઓ પર કરવામાં આવતી એક વ્યવસ્થા.

પરિવર્તન: કુદરતનું પરી જેવું વર્તન! કુદરત પરીની જેમ એક જાદુઈ છડી ફેરવી દે છે અને દુનિયા બદલાઈ જાય છે.

પુરુષત્વ: પુરુષના વ્યક્તિત્વમાં પૂરેપૂરું સત્ત્વ હોય એવી સ્થિતિ.

પ્રસ્તાવ: ભવિષ્યમાં લગ્ન થશે અને ગર્ભ રહેશે ત્યારે પ્રસવ વખતે કેવી પીડા ભોગવવી પડશે એ વિચારથી કોઈ યુવતીને તાવ આવી જાય એને પ્રસ્તાવ કહે છે.

બંડકોષ: સ્થાપિત હિતો સામે બંડ પોકારતી બળવાખોર સ્ત્રીઓના શરીરમાં બંડકોષ વધારે હોય છે.

બુનિયાદ: બૂ એટલે કે ખરાબ ગંધની યાદ આવવી.

બેકારી: તમારામાં ક્ષમતા છે એવો વિશ્વાસ બધાં આપતા હોય પણ નોકરી આપવાની મમતા કોઈ દેખાડતું ન હોય એવી સ્થિતિ.

મહાનુભાવ: મહાન હસ્તીનો થયેલો મહાન અનુભવ?

મીમાંસાહારી: માંસ ખાતી વ્યક્તિ માંસાહારી કહેવાય. પોતાની આસપાસ બનતી ઘટનાઓની મીમાંસા કરવાના શોખીનને મીમાંસાહારી કહી શકાય.

યમી (Yummy): ખાવા-પીવાની એવી વસ્તુ જેને જોઈને સંયમી પણ ચળી જાય.

યાદગીરી: મન જ્યારે અમુક બાબતો યાદ રાખવાની દાદાગીરી કરે તેને યાદગીરી કહે છે.

વેમ્પાયર: ક્રિકેટમાં ખોટો નિર્ણય આપીને ચાહકોનો રોષ વહોરી લેતો અમ્પાયર.

સીટી સ્કૅન: ઍક્ઝેક્ટલી કયા રોમિયોએ સીટી મારી છે એ સ્કેન કરવાનું મશીન.

સેલ્ફીકાર: સાહિત્ય સર્જન કરનારને સાહિત્યકાર કહેવાય તો સેલ્ફી લેવાના શોખીનને સેલ્ફીકાર કહી શકાય.

શેરડો: શેરડીનું પુંલ્લિંગ સ્વરૂપ. 

સૌરભ શાહના ત્રણ નિબંધસંગ્રહો : કંઈક ખૂટે છે/પ્રિય જિંદગી/મનની બાયપાસ સર્જરી

હા, મને ખબર છે કે આ ભાઈ એક જમાનામાં જબરદસ્ત એન્ટી-બક્ષી ક્રુસેડ ચલાવતાં હતાં, પણ આ એકાદ માઈનસ પૉઈન્ટને અવગણતાં સૌરભ શાહની કલમમાં દમ છે અને હમણાં એ ફેસબુક પર પુન:સક્રિય થયા છે ત્યારે રોજ મૂકાતાં એમના વખાણવાલાયક લખાણો વાંચીને એમના ત્રણ નિબંધસંગ્રહો "કંઈક ખૂટે છે", "પ્રિય જિંદગી" અને "મનની બાયપાસ સર્જરી" વાંચવા માટે પ્રેરાયો અને સારું, ગુણવત્તાસભર વાંચ્યાનો આનંદ થયો. વિષયોનું વૈવિધ્ય સારું છે. કલમમાં ખેંચાણ છે. રોજનો એક નિબંધ વાંચવો એવું નક્કી કરેલું એને બદલે એક અઠવાડિયામાં ત્રણેય નિબંધ સંગ્રહો વંચાઈ ગયાં. દરેક પુસ્તકની શરૂઆત ગુજરાતના અગ્રણી લેખકો, કલાકારો દ્વારા સૌરભ શાહના લખાણના વખાણની પ્રતિક્રિયાઓથી થાય છે. 

કુલ સિત્તેર લેખો ધરાવતાં ત્રણ પુસ્તકોમાંથી થોડું આચમન કરીએ:



'કંઈક ખૂટે છે' પુસ્તકમાં પુસ્તકોના અર્પણની દુનિયામાં ખ્યાતનામ ગુજરાતી અને અન્ય લેખકોએ પોતપોતાના પુસ્તકો કોને અર્પણ કર્યા છે એની રસપ્રદ વિગતો છે. આ લેખનો એક નાનકડો નમૂનો અહીં વાંચી શકાશે:


અર્પણના બધાં ઉદાહરણોમાં મને રાધેશ્યામ શર્માએ 'ફેરો' નવલકથામાં લખેલી અર્પણપંક્તિ સૌથી વધારે ગમી. શર્માજીએ લખ્યું છે: "જેમનાથી પ્રભાવિત થયા વિના જેમને રંગે રંગાયો એ સુરેશ જોષીને અને જેમના રંગે રંગાયા વિના જેમનાથી પ્રભાવિત થયો તે નિરંજન ભગતને.

પ્રવાસ વર્ણનો વિશેના અદભુત માહિતીપ્રચૂર લેખમાં લગભગ બધાં જ પ્રમુખ પ્રવાસલેખકોના પુસ્તકો વિશે વાત કરી છે. જેમનું નામ પહેલી વાર આ લેખથી જાણ્યું એવા શિક્ષણકાર જયેન્દ્ર ત્રિવેદી વિશે લેખક લખે છે: 'નિસર્ગલીલા અનંત' એમનો સંસ્મરણાત્મક નિબંધસંગ્રહ છે જેમાં પ્રગટ થતી એમની નિરીક્ષણવૃત્તિ તથા ભારવિહીન લેખનશૈલી વાચકને તરત જકડી લે છે. 'યાત્રા: અંદરની અને બહારની' એમનો ટ્રાવેલોગ છે અને ભોળાભાઈ પટેલે ઉદાર કલમે આ પુસ્તકની દીર્ઘ પ્રસ્તાવના લખી છે. જયેન્દ્ર ત્રિવેદીની યાત્રાકથામાં બહારની યાત્રાને બદલે લેખકની અંદરની યાત્રા ટપકી પડે છે ત્યારે એ વાચકને ખલેલ પહોંચાડે છે. પ્રવાસવર્ણનોમાં વારંવાર પ્રવેશી જતો લેખકનો નોસ્ટેલ્જિયા, પોતાના ભૂતકાળ સાથેની રતિ, પ્રવાસવર્ણને પર્સનલ બનાવવાને બદલે રસક્ષતિ ઊભી કરે છે. 'યાત્રા:અંદરની અને બહારની' પુસ્તકનું પુનર્લેખન તથા પુન:સંપાદન કરીને એમાંથી બે અલગ અલગ પુસ્તકો બનાવવામાં આવે તો પિત્ઝાનો ઑર્ડર આપનાર વાચકને પિત્ઝા અને મસાલા ડોસાનો ઑર્ડર આપનારને મસાલા ડોસા મળી જ રહે. સંભાર સાથે પિત્ઝા ખાવામાં કે ટૉમેટો કેચઅપ સાથે મસાલા ડોસા ખાવામાં બહુ ઓછાને મઝા પડે.

જયેન્દ્ર ત્રિવેદીના ઉપરોક્ત બંને પુસ્તકો ઉપરાંત વિદુરવાણી ઑનલાઈન મંગાવવા હોય તો નીચેની લિંક પર મળી શકશે: (નિસર્ગલીલા અનંતના વખાણ વાંચીને મેં મંગાવ્યું છે.)

http://www.amazon.in/s/ref=nb_sb_noss?url=search-alias%3Daps&field-keywords=jayendra+trivedi

ચંદ્રકાંત બક્ષીના પ્રવાસ વર્ણનો વિશે લેખકશ્રીના વિચારો આ લિંક પરથી જાણી શકાશે:

http://bakshinama.blogspot.in/2014/08/blog-post_37.html

ઈનામોના સ્વીકાર-અસ્વીકાર વિશેનાં લેખમાં બક્ષીબાબુ વિશે તેઓ લખે છે કે ચંદ્રકાન્ત બક્ષીએ એક જમાનામાં એમની 'પેરેલિસિસ' નામની નવલકથાને મળેલું ત્રીજું અડધું ઈનામ નહોતું લીધું. આ મુદ્દા પર તેઓ આખી જિંદગી નામના મેળવતા રહ્યા.  જો કે આ વિધાન સાથે સંમત થઈ શકાતું નથી કારણ કે 'મહાજાતિ ગુજરાતી' લેખમાળાને 1985માં પ્રથમ ઈનામ આપવામાં આવ્યું ત્યારે એનો સૌજન્યપૂર્ણ સૈદ્ધાંતિક અસ્વીકાર કરીને બક્ષીબાબુએ આ નિવેદન પ્રકટ કર્યું હતું: "હું ચોક્કસ માનું છું કે ઈનામ એવા લેખકને આપવું જોઈએ કે જે જવાન હોય, જેની એકાદ કે બેચાર કૃતિઓ પ્રગટ થઈ ગઈ હોય, જેને જીવનના આ તબક્કે મૂલ્યાંકન, આદર, પુરસ્કાર અને બે હજાર રૂપિયા કામ આવી શકે પણ મારી કક્ષાએ પહોંચ્યા પછી (1985માં મારી ઉંમર 53 વર્ષ, લખેલાં પુસ્તકોની સંખ્યા: 54) એને પહેલાં નંબરના સરકારી સર્ટિફિકેટની બિલકુલ જરૂર હોતી નથી. પચીસ, ત્રીસ વર્ષ પહેલાં આ બધાનું કદાચ થોડું પણ મહત્ત્વ મારે માટે હોત, આજે નથી...મારા તરફથી એક જ પ્રાર્થના કરવાની છે કે ભવિષ્યમાં મને ગુજરાતી સાહિત્ય અકાદમીના કોઈ નંબરી ઈનામ માટેની સ્પર્ધામાં ગણશો નહીં. મને દોષભાવના થઈ રહી છે કે મેં કોઈ યુવા દલિત કવિ કે ઊગતી લેખિકા કે સમર્થ થઈ શકે એવા કોઈ કલાકારના હક પર તરાપ મારીને એને વંચિત રાખ્યો છે...મારે પહેલા નંબરના ઈનામની જરૂર નથી, ખરેખર.'

ડિક્શનરી વિશેના લેખમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ શબ્દકોષોની દુનિયા વિશે સરસ માહિતી આપી છે. અમુક શબ્દોના અર્થ આપણા મનમાં કેટલાં ખોટી રીતે રૂઢ થઈ ગયા હોય છે એની ઝલક તમને નીચેની લિંક પરથી મળી શકશે:

http://mehtanehal.blogspot.in/2014/08/blog-post_12.html

મુહમ્મદ મુસ્તફા ખાં 'મદ્દાહ' સંકલિત 'ઉર્દૂ-હિન્દી શબ્દકોશ'માંથી માહિતી મળે છે કે ઇતિહાસ કે ગઈ કાલની વાત તરીકે આપણે જે શબ્દ જાણીએ છીએ તે તવારીખ નામનો અરબી શબ્દ વાસ્તવમાં તારીખનું બહુવચન છે. ખૂબ બધી તારીખો એટલે ઇતિહાસ!

વાચક ભાગી ગયો છે કે લેખક ખાલી થઈ ગયો છે એવા એક લેખમાં સરસ વાત કરી છે: વાચક ક્યારેય મરી પરવારતો નથી. હા, લેખક મરી પરવારે એ શક્ય છે. લેખક જ્યારે જિંદગીમાં રસ લેવાનું ઓછું કરી નાખે છે ત્યારે આપોઆપ એનાં ઈનપુટ્સ ઘટી જાય છે. છેવટે આની અસર એના આઉટપુટ પર પડે છે. આઉટપુટની ક્વૉલિટી-ક્વૉન્ટિટી બેઉ કંગાળ થતી જાય છે. કૂવામાં હોય તો હવાડામાં આવે એવો સીધો હિસાબ છે પણ કૂવામાં ક્યારે હોય? જ્યારે એમાં ઊંડાણ હોય, એમાંનો કચરો સતત સાફ થતો હોય અને સૌથી મહત્ત્વની વાત એ કે એના તળને બીજાં અનેક પાતાળ ઝરણાંનો લાભ મળતો હોય. આ તમામ શરતોનું પાલન ન કરી શકતો કૂવો ખાલી થઈને સુકાઈ ગયા પછી ફરિયાદ કરે કે હવે પાણી પીવા કેમ કોઈ આવતું નથી, એ જ રીતે ઊંચા ઊંચા સાહિત્યકારોએ ચર્ચા ઉપાડી છે: વાચકો ક્યાં ગયા બધા? 

લોકપ્રિયતાનો અંત એ જ સાહિત્યિકતાનો આરંભ છે? એ લેખના અંશો: જે લખાણમાં અમુક તત્ત્વો હોય એ જ શિષ્ટ સાહિત્ય એવા ભાગલા પાડતી અનેક થિયરીઓ પશ્ચિમી પંડિતોએ ઘડી કાઢી. ફ્રૅન્ચ, જર્મન અને સ્પેનિશમાંથી અંગ્રેજીમાં રૂપાંતરિત થતી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં આવતી આવી થિયરીઓ કે આવા સાહિત્યિક સિદ્ધાંતોને માપદંડ બનાવીને આપણા દેશી વિવેચકો નક્કી કરવા લાગ્યા કે કઈ કૃતિ લોકપ્રિય છે, કઈ શિષ્ટ છે. દેશી વિવેચકો પાસે મૌલિક વિચારણાનો છાંટોય નથી હોતો. વિદેશી વાતોને ચાટી ચાટીને તેઓ પોતાના અધકચરા જ્ઞાનને વધુ ગૂંચવણભર્યું બનાવે છે અને એની ક્લિષ્ટ રજૂઆત દ્વારા પોતાના થોડાક ડઝન વાચકો-શ્રોતાઓને વધુ ગૂંચવી મારે છે. સાહિત્યના સિદ્ધાંતો શીતળાની રસી જેવા નથી હોતા કે જે અમેરિકામાં કારગત નીવડે તે જ આફ્રિકામાં પણ સફળ નીવડી શકે. સાહિત્ય સામાજિક સંદર્ભોને લઈને સર્જાતું હોય છે. દરેક દેશ-કાળને એનો પોતાનો ઇતિહાસ, એની પોતાની સંસ્કૃતિ હોય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સર્જાયેલા યુરોપિયન સાહિત્યને વાંચ્યા પછી વિવેચકોએ જે થિયરી ઊભી કરી એના આધારે તમે સ્વાતંત્ર્યની લડત દરમિયાન સર્જાયેલા ગુજરાતી સાહિત્યનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકો? એમના સાહિત્યિક સિદ્ધાંતો એમના સાહિત્ય પૂરતા સીમિત હોય. 

ગુજરાતી બાળસાહિત્ય વિશેના એક લેખમાં લેખક સરસ કટાક્ષ કરે છે: 'અદેખો ચકલો'માં મૉર્નિંગ ઍલાર્મની ફરજ બજાવતા કૂકડાની ઈર્ષ્યા કરતો ચકલો એક દિવસ પોતે કૂકડાની જવાબદારી ઉપાડે છે ત્યારે એના ગળામાંથી માંડ ઝીણું ઝીણું ચીં...ચીં... નીકળે છે. ચકલાનું ઍલાર્મ કોઈ સાંભળતું નથી અને જંગલની દુનિયાનું રુટિન ખોરવાઈ જાય છે! (પોતાને બહુ ગ્રેટ માનતા ચકલાઓ માત્ર ગુજરાતી ભાષાના બાળસાહિત્યમાં જ નથી હોતા, પુખ્ત સાહિત્યમાં પણ હોય છે.)

નવલકથા લેખન વિશેના એક ખાસ લેખમાં નવલકથાકાર બનવા માંગતા લેખક વિશે કંઈક આવી વાત છે: વર્ષો પહેલાં એક નવોદિત લેખક મળવા આવ્યો હતો. એ નવલકથાકાર બનવા માંગતો હતો. મેં પૂછ્યું કે તેં કઈ કઈ નવલકથાઓ વાંચી છે? એણે કહ્યું કે મને વાંચવા કરતાં લખવાનો શોખ છે! ચક્કર આવી જાય એવો જવાબ હતો. ગુજરાતી ભાષાની ભારતીય ભાષાઓની અને વિશ્વસાહિત્યની શ્રેષ્ઠ નવલકથાઓ વાંચ્યા વિના લેખક બનવા નીકળી પડનારાઓ સૂંઠના ગાંગડાય વિના ગાંધી થઈ જવા માગે છે. ઉત્તમ નવલકથાઓ વાંચ્યા પછી તમે પોતે એ કક્ષાનું સાહિત્ય સર્જી શકશો એવી કોઈ ગૅરન્ટી નથી. પણ વાંચ્યું હશે તો મનમાં એક માપદંડ ઊભો થશે અને 1થી 100ના આંક પર તમારી પોતાની કૃતિ કયા માર્ક સુધી પહોંચે છે તેની તમને ખબર પડશે, સુધરવાની તક મળશે.

પતિ દેશપાંડે અને પત્ની ઉપદેશપાંડે એ શીર્ષકના લેખમાં વિખ્યાત મરાઠી હાસ્ય લેખક પુ.લ.દેશપાંડે વિશે એમની પત્નીએ લખેલાં સંસ્મરણોનો સરસ ચિતાર આપ્યો છે. અન્ય એક લેખમાં મનોજ ખંડેરિયાના કાવ્ય 'આ સીધી વાટ છોડીને, ચાલ્યા જવાનો સાવ'નો વિસ્તારપૂર્વક રસાસ્વાદ કરાવ્યો છે.

'નારીવાદી લેખિકાઓ પુરુષની માન્યતા મેળવવા તડપે છે' એવા એક લેખમાં પોતાની અવગણના થતી હોવાનો ગુજરાતી લેખિકાઓને જે વાંધો પડ્યો છે એના વિશે સરસ રજૂઆત થઈ છે. લેખક લખે છે: વર્ષા અડાલજાને બાદ કરો તો કઈ લેખિકાએ કેટલું પ્રદાન કર્યું ગુજરાતી સાહિત્યમાં? ચાર કવિતાઓ લખવાથી કે ઉમાશંકર જોશીએ ખભા પર ટપલી મારી હોવાથી તમે કવયિત્રી થઈ જાઓ ખરાં? દીર્ઘ ઉપાસના, પાકું હોમવર્ક, હન્ડ્રેડ પર્સેન્ટ ડેડિકેશન અને અબોવ ઑલ ટેલન્ટ, ક્રિયેટિવિટી તથા ઓરિજિનાલિટી - આ બધું જ સાહિત્યસર્જનમાં જોઈએ. અને એ પછીય તમને ભોજિયોભાઈ પણ ગુજરાતીમાં ન ઓળખે એવુંય બને. 

આ લેખનો સૂર એવો છે કે કોઈ માનનીય વિવેચક સાહિત્યની વાત કરતી વખતે લેખિકાને યાદ ન કરે તેનાથી તમે હાંસિયામાં ધકેલાઈ જાઓ છો? રૅકગ્નિશન માટે આવા વલખાં શોભે નહીં.આ લેખમાં આગળ સૌરભભાઈ વિનોદિની નીલકંઠ (રમણભાઈ નીલકંઠના પુત્રી) અને સરોજ પાઠકને ઓવરરેટેડ લેખિકાઓ ગણાવતાં કહે છે: વિનોદિનીબહેનનાં માતાપિતા રમણભાઈ નીલકંઠ અને વિદ્યાગૌરી નીલકંઠ તથા દાદા મહિપતરામ રૂપરામ નીલકંઠ ખૂબ જ આગળ પડતા તથા જાણીતા અને પ્રભાવશાળી કેળવણીકાર તથા સાહિત્યકાર એટલે મોટા કુટુંબને હિસાબે વિનોદિનીબહેનને પણ અન્ય સાહિત્યકારો ખમ્મા ખમ્મા કરતા થઈ ગયા. સરોજબહેનનું જે કંઈ મર્યાદિત સર્જન છે તેમાંથી કાયમી યાદ રહે એવું જૂજ છે. આમ છતાં લેખન કરતાં વધારે પોતાની લાઈફસ્ટાઈલને કારણે સરોજ પાઠક સાહિત્યમાં વધુ ચર્ચાતાં રહ્યાં.

મનની બાયપાસ સર્જરી અને પ્રિય જિંદગી પુસ્તકોમાં માટલાના ઊંધિયાની મહેફિલ, મુંબઈ છોડીને બીજે ક્યાં રહેવા જઈ શકાય, ગુજરાતી ફિલ્મી ગીતો વિશેની અલભ્ય માહિતી, ચાણક્ય નીતિના અત્યારે લાગુ પડી શકે અને આઉટડેટેડ થઈ ગયા હોય એવા સૂત્રો, ઈન્કમ ટૅક્સ રિટર્ન, સાચી ભૂખની વ્યાખ્યા, ફોન પર વાત કરવાની મૅનર્સ, જનરલ નૉલેજ અને જનરલ ઈન્ફર્મેશન વચ્ચેનો ભેદ, જ્યોતિષશાસ્ત્રની નિરર્થકતા, ફાંસીની સજા, ઈચ્છામૃત્યુ સહિતના ઘણાં વૈવિધ્યસભર વિષયો આવરી લેવામાં આવ્યા છે.

સમગ્રપણે જોતાં, ત્રણેય નિબંધસંગ્રહો સૌરભભાઈના સૂક્ષ્મ અવલોકન અને રજૂઆતના ઊંડાણને કારણે એકથી વધારે વખત નિરાંતે વાંચવા ગમે એવાં છે. જતાં જતાં ત્રણેય પુસ્તકોમાંથી કેટલાક વિચારોદ્દીપક ક્વોટેબલ ક્વોટ્સનું આચમન કરીએ:

(1) શહેરો વિના દેશનો ઉદ્ધાર નથી થવાનો અને ગામડાઓ પછાત વર્ગની વસાહતો છે અને તે રાષ્ટ્રના નક્શા પર ફૂટી નીકળેલાં ગૂમડાં છે એવો ખ્યાલ પહેલેથી જ રોપવામાં આવે છે.

(2) સુરેશ દલાલે એક વખત કહ્યું હતું કે હરીન્દ્ર દવેને દરેક વ્યક્તિ અને દરેક ચીજમાં માત્ર સારું જ જોવાની ટેવ, એ તો બૅડમિન્ટનને પણ ગુડમિન્ટન કહીને બોલાવે.

(3) ગાંધીજીની જેમ મોરારજી દેસાઈ પણ પાકા સત્યવાદી. પરંતુ વાજબીપણું અને વાસ્તવિકતાને ઓળખીને સ્વીકારવાની દ્રષ્ટિ - આ બે ગુણ ગાંધીજીમાં વધુ. મોરારજીભાઈમાં આ ગુણો પૂરતા પ્રમાણમાં નહીં જેને કારણે તેઓ જક્કી કે જિદ્દી રાજપુરુષ તરીકે ખોટી રીતે વગોવાયા અને જાહેરજીવનની સફળતા પણ એમને મોડી તથા અપૂરતી મળી.

(4) ખૂબ જાણીતાં થયેલાં પુસ્તક વિશે ટીકા કરતાં પહેલાં એક સારા વાચક હોવાની પાત્રતા ટીકાકારમાં હોવી જોઈએ. કોઈ સારા દિગ્દર્શકની ફિલ્મ બકવાસ છે એવું બોલતાં પહેલાં ફિલ્મદર્શનની આપણી રુચિ ઘડાયેલી છે કે નહીં એ વિશે વિચારવું પડે. અન્યથા, એ ટીકાનું મૂલ્ય હાથ લૂછીને કચરાના ડબ્બામાં ફેંકી દેવાતા પેપર નૅપ્કિન જેટલું જ રહેવાનું.

(5) કશુંક સ્પર્શે ત્યારે ગમી જાય ને એ ઓસરી જાય ત્યારે કશુંક ખૂટતું હોય એવું ન લાગે ત્યારે જ ઉદાસીનતાનો સૌથી ઊંચો તબક્કો સર્જાય.

(6) વાત માત્ર અસાધ્ય રોગોની નથી. જેને નખમાંય રોગ ન હોય એવી વ્યક્તિને પણ જીવનમાંથી રસ ઊડી જઈ શકે છે. જે નથી કોઈ અંડરવર્લ્ડના ચક્કરમાં ફસાઈ, કે જે નથી કોઈ દેવામાં ડૂબી ગઈ, જે નથી કોઈ સંબંધોથી તૂટી ગઈ એવી વ્યક્તિને પણ વિચાર આવી શકે છે કે હવે મારે પૂર્ણવિરામ લાવી દેવું છે આ આયખાનું.

(7) ખગોળશાસ્ત્રનો ઉપયોગ લોકો પોતાનાં સાંત્વન, મનોરંજન કે ધંધા માટે કરતા થઈ જાય ત્યારે જ્યોતિષશાસ્ત્રનો જન્મ થાય છે.

(8) પહેલાં બચત કર્યા પછી તમામ પૈસા રોકડા આપીને ગાડી ખરીદીને ફેરવો અને પહેલાં ગાડી ફેરવવાનો આનંદ માણી લીધા પછી ત્રણ વરસ સુધી કમરતોડ હપ્તા ભર્યા કરો - આ બે પરિસ્થિતિ વચ્ચે જેટલો તફાવત છે એટલો જ ફરક કામ પછીના આરામ અને કામ પહેલાંના આરામમાં છે.

(9) ભૂતકાળનું કામકાજ જરા વિચિત્ર છે. ઈચ્છવા છતાં એ ભૂલી શકાતો નથી અને ઇચ્છવા છતાં એ પાછો પણ આવી શકતો નથી.

(10) ઈનામો વિશેનું એક સત્ય બદલાવાનું નથી. સાચા સાહિત્યકારને ઈનામો ન મળે તો પણ સાહિત્યકાર ભુલાઈ જતા નથી. ખોટા સાહિત્યકારને અઢળક ઈનામો મળે એ પછી પણ એ કોઈને યાદ રહેતા નથી.